લોહીની ઉણપ દૂર કરવા અપનાવો રુજુતા દિવેકરની આ ખાસ ટિપ્સ: હિમોગ્લોબિન વધારવાના સરળ કુદરતી રસ્તા
લોહીમાં હિમોગ્લોબિનનું કામ શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું છે. જો તમે વારંવાર થાક અનુભવતા હોવ અથવા તમારી ત્વચા નિસ્તેજ દેખાતી હોય, તો સમજી લેવું કે શરીરમાં લોહીની ઉણપ હોઈ શકે છે. રુજુતા દિવેકર માને છે કે મોંઘા સપ્લીમેન્ટ્સ લેવા કરતા ઘરગથ્થુ અને પરંપરાગત ખોરાક વધુ અસરકારક સાબિત થાય છે.
૧. દરરોજ એક તાજું અને મોસમી ફળ ખાઓ
ડાયટિશિયન રુજુતા દિવેકરના મતે, હિમોગ્લોબિન લેવલ સુધારવા માટે દરરોજ એક તાજું ફળ ખાવું અનિવાર્ય છે. અત્યારે ઉનાળાની સીઝન છે, તેથી તમે કેરી ખાઈ શકો છો. કેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ તે પોષક તત્વોથી ભરપૂર છે. આ સિવાય જામફળ અને કાજુના ફળ (Cashew fruit) પણ વિટામિન-સીનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન-સી શરીરમાં આયર્નને શોષવામાં મદદ કરે છે, જેનાથી લોહી ઝડપથી વધે છે.
૨. કુદરતી પીણાં: દહીં, છાશ અને લસ્સી
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે લોહી વધારવા માટે દહીં અને છાશ રામબાણ ઈલાજ છે. રુજુતા જણાવે છે કે લંચ કે બ્રેકફાસ્ટમાં છાશ અથવા લસ્સી લેવાથી શરીરમાં વિટામિન B12 વધે છે. જ્યારે શરીરમાં B12 અને સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે, ત્યારે આયર્નનું શોષણ (Iron Absorption) સરળ બને છે અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે.
૩. કઠોળ અને ફળીઓનો સમાવેશ કરો
શાકાહારી લોકો માટે કઠોળ આયર્ન અને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તમારી ડાયટમાં અડદ, કુલથ, રાજમા, વટાણા અને ચણા જેવા કઠોળનો સમાવેશ કરો. આ ખોરાકમાંથી જરૂરી એમિનો એસિડ્સ, ફાઈબર અને વિટામિન-બી મળે છે, જે લોહીના નવા કોષો બનાવવામાં મદદરૂપ થાય છે.
૪. પરંપરાગત સુપરફૂડ: ચણા અને ગોળ
ભારતમાં સદીઓથી ચણા અને ગોળ ખાવાની પરંપરા છે. રુજુતા દિવેકર કહે છે કે આયર્ન વધારવા માટે આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. ગોળમાં પુષ્કળ આયર્ન હોય છે અને ચણા પ્રોટીન આપે છે. જો તમે નિયમિત પણે મર્યાદિત માત્રામાં ચણા-ગોળ ખાશો, તો એનિમિયાની સમસ્યા મૂળમાંથી દૂર થઈ શકે છે. ખાસ કરીને સાંજના નાસ્તામાં આ એક હેલ્ધી વિકલ્પ છે.
૫. રસોઈમાં કરો આ મહત્વનો ફેરફાર
ખોરાક શું ખાવો તેની સાથે તે શેમાં રાંધવો તે પણ મહત્વનું છે. રુજુતા સલાહ આપે છે કે શરીરમાં આયર્નનું પ્રમાણ વધારવા માટે લોખંડના વાસણો (જેમ કે લોખંડની કડાઈ કે તવો) નો ઉપયોગ શરૂ કરો. લોખંડના વાસણમાં રાંધવાથી ખોરાકમાં કુદરતી રીતે આયર્ન ભળે છે.
આ બાબતોથી સાવધાન રહો
માત્ર સારું ખાવાથી લોહી નથી વધતું, કેટલીક ખરાબ આદતો આયર્નને શરીરમાં શોષાતા અટકાવે છે:
વધારે કોફી કે ચા: જો તમે ભોજન પછી તરત જ બ્લેક કોફી કે ચા પીવો છો, તો તે આયર્નના શોષણમાં રુકાવટ પેદા કરે છે.
વ્યસન: તમાકુ, દારૂ અને સિગારેટ લોહીમાં આયર્નનું સ્તર ઘટાડે છે.
મીલ સ્કીપ કરવું: ઘણા લોકો વજન ઘટાડવા માટે જમવાનું છોડી દે છે અને માત્ર જ્યુસ કે સ્મૂધી પર રહે છે. રુજુતા કહે છે કે આનાથી પણ આયર્નનું શોષણ અટકે છે. હંમેશા ભરપૂર ભોજન લો.

