શું તમે જાણો છો? મધ્યમ ઉંમરમાં પેટનો ઘેરાવો તમારા મગજની ઉંમર નક્કી કરે છે!
સામાન્ય રીતે જ્યારે પણ આપણે વધતા જતાં પેટ કે ચરબીની વાત કરીએ છીએ, ત્યારે આપણું ધ્યાન માત્ર ફિટનેસ, સુંદર દેખાવ અથવા હૃદયની બીમારીઓ પર જ હોય છે. આપણે વિચારીએ છીએ કે પેટ વધવાથી માત્ર કપડાં ટાઈટ થશે કે ડાયાબિટીસનું જોખમ વધશે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા પેટ પર જમા થયેલી ચરબી તમારા મગજની ઉંમર નક્કી કરી શકે છે?
તાજેતરમાં ‘નેચર કોમ્યુનિકેશન્સ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસે વિજ્ઞાન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ સંશોધન મુજબ, તમારા મગજની કાર્યક્ષમતા અને તેના બુઢાપાનો સીધો સંબંધ તમારા પેટની આંતરિક ચરબી સાથે છે.
પેટની ચરબી અને મગજની ઉંમર: શું કહે છે વિજ્ઞાન?
આ કોઈ સામાન્ય સર્વે નથી, પરંતુ વર્ષો સુધી ચાલેલી એક ગહન તપાસ છે. આ અભ્યાસમાં મધ્યમ વયના (Middle Age) 533 પુરુષો અને મહિલાઓને સામેલ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ સંશોધન પૂરા 16 વર્ષ સુધી ચાલ્યું હતું. આ લાંબા સમયગાળા દરમિયાન, વૈજ્ઞાનિકોએ સમયાંતરે સહભાગીઓના પેટ અને મગજના MRI સ્કેન કર્યા.
સંશોધકોએ જોયું કે જે લોકોના પેટ પર ચરબીનું પ્રમાણ ઓછું હતું, તેમના મગજના ટિશ્યુ (પેશીઓ) અન્ય લોકોની સરખામણીએ ઘણા ધીમા દરે સંકોચાતા હતા. સામાન્ય રીતે, જેમ જેમ ઉંમર વધે છે તેમ મગજ સંકોચાવા લાગે છે, જેને ‘બ્રેઈન એટ્રોફી’ કહેવામાં આવે છે. પરંતુ પેટની ઓછી ચરબી ધરાવતા લોકોમાં મગજની આ રચના લાંબા સમય સુધી સુરક્ષિત જોવા મળી હતી. એટલે કે, જો તમારું પેટ અંદર છે, તો તમારું મગજ લાંબા સમય સુધી યુવાન અને તેજ રહેશે.
પેટની અંદરની ચરબી અને મગજ વચ્ચેનો ‘છુપો’ સંબંધ
હવે પ્રશ્ન એ થાય કે પેટ અને મગજ વચ્ચે આવો તે વળી કેવો સંબંધ? આ સંશોધને એક ખૂબ જ મહત્વની કડી શોધી કાઢી છે, અને તે છે: ગ્લુકોઝ કંટ્રોલ અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા.
વૈજ્ઞાનિકોના મતે, જ્યારે પેટમાં આંતરિક ચરબી (Visceral Fat) વધે છે, ત્યારે તે શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની પ્રતિક્રિયાને અસર કરે છે. શરીરમાં સુગર લેવલનું સંતુલન બગડે છે, જે મગજ સુધી પહોંચતા પોષક તત્વો અને સિગ્નલ્સમાં અવરોધ પેદા કરે છે. જ્યારે શરીરમાં ગ્લુકોઝનું સંચાલન યોગ્ય રીતે થાય છે, ત્યારે મગજને પૂરતી ઉર્જા મળે છે અને તેની કાર્યક્ષમતા જળવાઈ રહે છે.
બૌદ્ધિક ક્ષમતા પર અસર
માત્ર મગજની રચના જ નહીં, પરંતુ વ્યક્તિની વિચારવાની, સમજવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પર પણ પેટની ચરબીની અસર જોવા મળી છે. રિસર્ચમાં સાબિત થયું છે કે મધ્યમ વયમાં જે લોકોએ પોતાની ફિટનેસ જાળવી રાખી હતી, તેમની યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતા (IQ) વૃદ્ધાવસ્થામાં પણ અન્ય લોકો કરતા ઘણી સારી હતી. મગજની મુખ્ય સંરચનાઓ સુરક્ષિત રહેવાથી ડિમેન્શિયા (ભૂલવાની બીમારી) અને અલ્ઝાઈમર જેવી બીમારીઓનું જોખમ પણ ઘટી જાય છે.
સંશોધકોનો આશાવાદી દ્રષ્ટિકોણ
આ સંશોધનના મુખ્ય લેખક આઇરિસ શાઈ કહે છે કે આ તારણો અત્યંત સકારાત્મક છે. તેમના મતે, આપણે મગજને ઘરડું થતું અટકાવી શકીએ છીએ અને તે આપણા પોતાના હાથમાં છે. મધ્યમ વય એવો સમય છે જ્યારે આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી શકીએ છીએ. જો આપણે આપણા ખોરાક પર નિયંત્રણ રાખીએ, ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરીએ અને કસરત દ્વારા પેટની ચરબી ઘટાડીએ, તો આપણે આપણા મગજને ‘રીચાર્જ’ કરી રહ્યા છીએ.
આ એક એવો ટાર્ગેટ છે જેને માપી શકાય છે. તમે રોજ અરીસામાં જોઈ શકો છો કે તમારી મહેનત રંગ લાવી રહી છે કે નહીં. પેટનો ઘેરાવો ઓછો કરવો એ માત્ર દેખાવ સુધારવા માટે નથી, પરંતુ આવનારા વર્ષોમાં તમારી સ્મરણશક્તિ અને બુદ્ધિને ધારદાર રાખવા માટેનો એક વીમો છે.

