બાલેન શાહ સરકારને મોટો ફટકો: નેપાળની સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી રાજનીતિ પરના પ્રતિબંધને ફગાવ્યો
નેપાળના લોકપ્રિય અને ચર્ચિત મેયર બાલેન શાહને કાયદાકીય મોરચે મોટો ઝટકો લાગ્યો છે. નેપાળની સર્વોચ્ચ અદાલતે સિવિલ સર્વિસ ટ્રેડ યુનિયનો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંગઠનોને વિખેરી નાખવાના બાલેન સરકારના નિર્ણય પર વચગાળાની રોક લગાવી દીધી છે. મેયર બાલેન શાહે વટહુકમ દ્વારા આ સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો હતો, જેને હવે કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
મેયર બાલેન શાહનો તર્ક: પક્ષપાત દૂર કરવાનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટના આ આદેશો એવા સમયે આવ્યા છે જ્યારે કર્મચારીઓ અને વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. બાલેન શાહે સોશિયલ મીડિયા પર પોતાના આ નિર્ણયનો બચાવ કરતા લખ્યું હતું કે, “શાળાઓ અને સરકારી કચેરીઓમાં પક્ષના ઝંડાઓ પર પ્રતિબંધ લગાવવાથી કોઈના અધિકારો છીનવાઈ જશે નહીં. તેના બદલે, તેનાથી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની વ્યાવસાયિક સ્વતંત્રતા વધુ મજબૂત બનશે.”
તેમનો મુખ્ય હેતુ શિક્ષણ અને અમલદારશાહીમાં રાજકીય પ્રભાવને ખતમ કરવાનો હતો. બાલેન શાહના મતે, આ સંગઠનો રાજકીય પક્ષોના ‘સ્લીપર સેલ’ તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે બદલી અને બઢતી (પ્રમોશન) જેવી પ્રક્રિયાઓ કોઈ પક્ષ સાથેના જોડાણને બદલે વ્યક્તિની લાયકાત અને કામના આધારે થવી જોઈએ.
કર્મચારીઓ અને વિદ્યાર્થી નેતાઓએ વિરોધ કેમ કર્યો?
બાલેન શાહના આ તર્કને કર્મચારી અને વિદ્યાર્થી નેતાઓએ સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. નેપાળ સિવિલ સર્વિસ એમ્પ્લોઇઝ એસોસિએશનના ચેરમેન ઉત્તમ કટવાલે જણાવ્યું હતું કે, રજિસ્ટર્ડ ટ્રેડ યુનિયનોને પક્ષ આધારિત સંગઠનો કહેવા તે તદ્દન ખોટું છે.
તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “અમે કોઈ પક્ષના પ્રતિનિધિ નથી, પરંતુ અમે સિવિલ સેવકો છીએ જે કાયમી સરકાર તરીકે કામ કરીએ છીએ. અમે રાજ્યના નામે શપથ લીધા છે.” બીજી તરફ, વિદ્યાર્થી નેતાઓએ પણ અવાજ ઉઠાવતા કહ્યું કે, સરકારનો હેતુ જો શિક્ષણ સુધારવાનો હોય તો તેમણે સંગઠનો ખતમ કરવાને બદલે કેમ્પસની રાજનીતિને યોગ્ય રીતે ‘રેગ્યુલેટ’ કરવી જોઈએ.
લોકશાહી અને અધિકારો વચ્ચેનો જંગ
નેપાળમાં બાલેન શાહ એક એવા નેતા તરીકે ઉભરી આવ્યા છે જે પરંપરાગત રાજનીતિથી હટીને કડક નિર્ણયો લેવા માટે જાણીતા છે. જોકે, સુપ્રીમ કોર્ટના આ સ્ટે (રોક) બાદ હવે ફરી એકવાર ચર્ચા જાગી છે કે સંસ્થાઓમાં સુધારા લાવવા માટે લોકશાહી ઢબે ચૂંટાયેલા સંગઠનોને નાબૂદ કરવા કેટલા યોગ્ય છે?
હાલ પૂરતું, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને મોટી રાહત મળી છે, જ્યારે બાલેન સરકાર માટે આ કાયદાકીય લડાઈ હવે વધુ કપરી બની શકે છે.

