કીમોથેરાપીના દિવસો ગયા? હવે આ નવી ટેકનોલોજીથી માત્ર 7 મિનિટમાં કેન્સરના કોષોનો થશે નાશ!
ભારતમાં કેન્સરની સારવાર ક્ષેત્રે એક ક્રાંતિકારી અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ફેફસાના કેન્સરથી પીડાતા દર્દીઓ માટે માત્ર ૭ મિનિટમાં આપી શકાય તેવા એક ખાસ ઈન્જેક્શનની શરૂઆત કરવામાં આવી છે. ‘ટેસેન્ટ્રિક’ (Tecentriq) નામની આ દવા રોશ ફાર્મા ઈન્ડિયા (Roche Pharma India) કંપની દ્વારા ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ ઈન્જેક્શનનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરના દર્દીઓ માટે ઈમ્યુનોથેરાપીની પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ અને અનુકૂળ બનાવવાનો છે.
અત્યાર સુધી દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલના બેડ પર સુઈ રહીને આઈવી (IV – નસ દ્વારા) ઈન્જેક્શન લેવું પડતું હતું, પરંતુ આ નવું ઈન્જેક્શન ત્વચાની નીચે (Subcutaneous) આપવામાં આવે છે, જેમાં માંડ ૭ મિનિટ જેટલો સમય લાગે છે. આ આધુનિક સારવાર ખાસ કરીને ‘નોન-સ્મોલ સેલ લંગ કેન્સર’ (NSCLC) થી પીડિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે, જે ભારતમાં ફેફસાના કેન્સરનો સૌથી સામાન્ય પ્રકાર છે.
જો કે, આ આધુનિક મેડિકલ ટેકનોલોજીની સાથે એક મોટો પડકાર તેની કિંમતનો છે. આ ઈન્જેક્શનના એક ડોઝની કિંમત આશરે રૂ. ૩.૭ લાખ છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ સારવાર અત્યંત ખર્ચાળ સાબિત થઈ રહી છે.
કેન્સરની આ નવી શૉટ (ઈન્જેક્શન) કેમ અલગ છે?
પરંપરાગત રીતે કેન્સરના દર્દીઓને જ્યારે ઈમ્યુનોથેરાપી આપવામાં આવે છે, ત્યારે તેમને હોસ્પિટલ અથવા સ્પેશિયલ કેન્સર ક્લિનિકમાં કલાકો સુધી વિતાવવા પડે છે. નસ દ્વારા અપાતી ગ્લુકોઝની બોટલની જેમ આ દવા ધીમે-ધીમે શરીરમાં પહોંચાડવામાં આવતી હતી, જેના કારણે દર્દી શારીરિક અને માનસિક રીતે થાકી જતો હતો. હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો રહેતો હતો.
નવા લોન્ચ થયેલા સબક્યુટેનિયસ (ત્વચાની નીચે અપાતા) ઈન્જેક્શનથી આખી સ્થિતિ બદલાઈ ગઈ છે. આ દવા સીધી ત્વચાની નીચે, સામાન્ય રીતે સાથળના ભાગમાં આપવામાં આવે છે. આખી પ્રક્રિયા માત્ર સાત મિનિટમાં પુરી થઈ જાય છે. આનાથી હોસ્પિટલમાં લાંબો સમય રોકાવું પડતું નથી, દર્દીઓનો વેઇટિંગ પિરિયડ ઘટે છે અને હોસ્પિટલો પરનું ભારણ પણ ઓછું થાય છે. તબીબોના મતે, આ ઝડપી પ્રક્રિયાથી દર્દીઓનો માનસિક તણાવ પણ ઘણો ઓછો થઈ જશે.
કીમોથેરાપી અને ઈમ્યુનોથેરાપી વચ્ચેનો તફાવત
ઘણા લોકો કીમોથેરાપી અને ઈમ્યુનોથેરાપીને એક જ સમજતા હોય છે, પરંતુ બંનેની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ છે. કીમોથેરાપીમાં શક્તિશાળી દવાઓનો ઉપયોગ થાય છે જે શરીરમાં કેન્સરના કોષો પર સીધો હુમલો કરે છે. આ પ્રક્રિયામાં કેન્સરના કોષોની સાથે શરીરના તંદુરસ્ત કોષોને પણ નુકસાન થાય છે, જેના કારણે દર્દીના વાળ ખરી જવા, અતિશય નબળાઈ આવવી, અને ઉલટી થવા જેવા ગંભીર સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે.
બીજી તરફ, ઈમ્યુનોથેરાપી એક અલગ અને વધુ સુરક્ષિત અભિગમ ધરાવે છે. તે સીધા કોષો પર હુમલો કરવાને બદલે દર્દીની પોતાની રોગપ્રતિકારક શક્તિ (Immune System) ને મજબૂત કરે છે અને તેને કેન્સર સામે લડવા માટે તૈયાર કરે છે. આ પદ્ધતિ વધુ ચોક્કસ હોવાથી શરીરના અન્ય તંદુરસ્ત ભાગોને ઓછું નુકસાન થાય છે અને દર્દીઓને કીમોથેરાપી જેટલી ગંભીર આડઅસરો ભોગવવી પડતી નથી.
આ ઈન્જેક્શન કઈ રીતે કામ કરે છે?
નવા કેન્સર શૉટમાં ‘એટેઝોલિઝુમેબ’ (Atezolizumab) નામની સક્રિય દવા રહેલી છે. આ દવા શરીરમાં રહેલા ‘PD-L1’ નામના પ્રોટીનને બ્લોક (બંધ) કરવાનું કામ કરે છે. સામાન્ય રીતે, કેન્સરના કોષો ખૂબ જ ચાલાક હોય છે. તેઓ પોતાના બચાવ માટે આ PD-L1 પ્રોટીનનો એક કવચ તરીકે ઉપયોગ કરે છે, જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમને ઓળખી શકતી નથી અને કેન્સરના કોષો શરીરમાં છુપાઈને વધતા રહે છે.
જ્યારે આ નવું ઈન્જેક્શન દર્દીને આપવામાં આવે છે, ત્યારે તે PD-L1 પ્રોટીનને નિષ્ક્રિય કરી દે છે. આ કવચ હટી જતાં જ શરીરના રક્ષક કોષો (Immune Cells) કેન્સરના કોષોને સરળતાથી ઓળખી લે છે અને તેમના પર કુદરતી રીતે હુમલો કરીને તેમનો નાશ કરવાનું શરૂ કરે છે. તબીબો જણાવે છે કે જે દર્દીઓના ટ્યુમર (ગાંઠ) માં PD-L1 પ્રોટીનનું પ્રમાણ વધારે હોય, તેમના પર આ સારવાર સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.
કયા દર્દીઓને આ સારવાર મળી શકે?
આ ઈન્જેક્શન મુખ્યત્વે ‘નોન-સ્મોલ સેલ લંગ કેન્સર’ (NSCLC) ના દર્દીઓ માટે જ બનાવવામાં આવ્યું છે. ભારતમાં ફેફસાના કેન્સરના કુલ કેસોમાંથી મોટાભાગના કેસ આ જ પ્રકારના હોય છે. જો કે, હોસ્પિટલમાં આવતા દરેક દર્દીને સીધું આ ઈન્જેક્શન આપી શકાતું નથી. સારવાર શરૂ કરતા પહેલાં ડોક્ટરો દર્દીના બાયોપ્સી રિપોર્ટ અને અન્ય ટેસ્ટ દ્વારા તપાસ કરે છે કે તેના શરીરમાં કેન્સરના કોષો પર PD-L1 પ્રોટીનનું સ્તર કેટલું છે.
નિષ્ણાતોના અંદાજ મુજબ, ભારતમાં ફેફસાના કેન્સરથી પીડાતા દર્દીઓમાંથી લગભગ અડધા (૫૦%) દર્દીઓ આ સારવાર માટે પાત્ર ઠરી શકે છે. ક્લિનિકલ ટ્રાયલ્સ અને સંશોધનોમાં જાણવા મળ્યું છે કે આ થેરાપીથી દર્દીઓનો જીવનકાળ વધ્યો છે અને કેન્સર આગળ વધવાની ઝડપ ધીમી પડી છે. દર્દીની સ્થિતિ અને કેન્સર કયા સ્ટેજ પર છે તેના આધારે આ ઈન્જેક્શન એકલું અથવા અન્ય સારવાર જેમ કે કીમોથેરાપી સાથે જોડીને આપી શકાય છે.
આટલી ઊંચી કિંમત પાછળનું કારણ શું છે?
ભારતમાં આ સારવારની ચર્ચા જેટલી તેની ઝડપ માટે થઈ રહી છે, તેટલી જ ચર્ચા તેની કિંમત વિશે પણ થઈ રહી છે. એક સિંગલ ડોઝની કિંમત આશરે રૂ. ૩.૭ લાખ છે. સામાન્ય રીતે એક દર્દીને તેની સંપૂર્ણ સારવાર દરમિયાન આવા ઓછામાં ઓછા છ ડોઝની જરૂર પડે છે. આ હિસાબે માત્ર ઈન્જેક્શનનો જ કુલ ખર્ચ ૨૨ થી ૨૫ લાખ રૂપિયા સુધી પહોંચી જાય છે. આ આંકડો ભારતના સામાન્ય કે મધ્યમ વર્ગના પરિવારની આખી જિંદગીની કમાણી બરાબર હોઈ શકે છે.
કેન્સરના નિષ્ણાતો (ઓન્કોલોજિસ્ટ્સ) નું કહેવું છે કે ઈમ્યુનોથેરાપીની દવાઓ હંમેશાં મોંઘી હોય છે કારણ કે તેના સંશોધન, ક્લિનિકલ ટ્રાયલ્સ અને બાયોટેકનોલોજી આધારિત ઉત્પાદનમાં કરોડો ડોલરનો ખર્ચ થાય છે. ભારતમાં અત્યારે પણ કોઈપણ આધુનિક ઈમ્યુનોથેરાપીનો એક સાયકલનો ખર્ચ ૧.૫ લાખથી ૪ લાખ રૂપિયાની વચ્ચે જ હોય છે. આથી, આ દવા આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી હોવાથી તેની કિંમત પણ પ્રીમિયમ રાખવામાં આવી છે.
દર્દીઓ માટે આર્થિક રાહતના પ્રયાસો
સામાન્ય લોકો પરથી આ આર્થિક બોજ ઓછો કરવા માટે દવા બનાવતી કંપની રોશ (Roche) દ્વારા ‘બ્લુ ટ્રી’ (Blue Tree) નામનો એક ખાસ પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ (દર્દી સહાયતા કાર્યક્રમ) શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત પાત્રતા ધરાવતા દર્દીઓને દવાની કિંમતમાં અમુક અંશે સબસિડી કે રાહત આપવામાં આવે છે.
આ ઉપરાંત, રાહતના બીજા એક સમાચાર એ છે કે આ દવાને કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના એટલે કે ‘CGHS’ (Central Government Health Scheme) અંતર્ગત પણ આવરી લેવામાં આવી છે. આ યોજના હેઠળ આવતા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આ સારવાર મેળવ્યા બાદ રિઇમ્બર્સમેન્ટ (ખર્ચ પરત મેળવવાની સુવિધા) નો લાભ લઈ શકશે.

