ટાઇપ-૨ ડાયાબિટીસનો તોળાતો ખતરો: હાઈ રિસ્ક ધરાવતા લોકો માટે મેટફોર્મિન અને લાઈફસ્ટાઈલ બદલાવનું સચોટ કનેક્શન
આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલી અને ખોટા ખાનપાનના કારણે ડાયાબિટીસ રોગ એક મહામારીનું સ્વરૂપ લઈ રહ્યો છે. જોકે, મોટાભાગના લોકો ટાઇપ-૨ ડાયાબિટીસનો શિકાર બને તે પહેલાં એક ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે, જેને તબીબી ભાષામાં ‘પ્રી-ડાયાબિટીસ’ (Pre-diabetes) કહેવામાં આવે છે. પ્રી-ડાયાબિટીસ એટલે એવી શારીરિક સ્થિતિ જેમાં વ્યક્તિનું બ્લડ સુગર લેવલ સામાન્ય કરતાં વધુ હોય છે, પરંતુ તેને પૂર્ણ સ્વરૂપે ડાયાબિટીસ તરીકે વર્ગીકૃત કરવા જેટલું ઊંચું હોતું નથી.
ઘણા દર્દીઓને પ્રશ્ન થાય છે કે ડાયાબિટીસ ન હોવા છતાં ડોક્ટરો તેમને ‘મેટફોર્મિન’ (Metformin) નામની દવા કેમ પ્રિસ્ક્રાઇબ કરે છે? મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટોલોજીસ્ટ ડૉ. પ્રણવ ઘોડીએ આ ગંભીર વિષય પર વૈજ્ઞાનિક પ્રકાશ પાડ્યો છે.
પ્રી-ડાયાબિટીસમાં મેટફોર્મિન આપવાનું અસલી કારણ શું?
ડૉ. પ્રણવ ઘોડીના જણાવ્યા અનુસાર, પ્રી-ડાયાબિટીસના તબક્કે માનવ શરીર ‘ઇન્સ્યુલિન પ્રતિકાર’ (Insulin Resistance) ના સ્પષ્ટ સંકેતો દર્શાવે છે. એટલે કે સ્વાદુપિંડ (Pancreas) ઇન્સ્યુલિન તો બનાવે છે, પરંતુ શરીરના કોષો તેનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. આ સ્થિતિમાં મેટફોર્મિન દવા શરીરને ઇન્સ્યુલિનનો વધુ અસરકારક અને સક્ષમ રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, આ દવા આપણા યકૃત (Liver) દ્વારા લોહીમાં છોડવામાં આવતા વધારાના ગ્લુકોઝના ઉત્પાદનને પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે.
જે લોકો હાઈ-રિસ્ક કેટેગરીમાં આવે છે— જેમ કે જેમનું વજન સામાન્ય કરતા ઘણું વધારે (Obesity) છે, જેમના પરિવારમાં ડાયાબિટીસનો મેડિકલ ઇતિહાસ છે, અથવા જેમનું HbA1c (છેલ્લા ૩ મહિનાનું સરેરાશ સુગર લેવલ) સતત વધી રહ્યું છે, તેમના માટે મેટફોર્મિન આશીર્વાદરૂપ સાબિત થાય છે. જો આ દવાને હેલ્ધી લાઈફસ્ટાઈલ સાથે જોડવામાં આવે તો ભવિષ્યમાં ટાઇપ-૨ ડાયાબિટીસ થવાના જોખમને કાં તો ધીમું કરી શકાય છે અથવા તેને સંપૂર્ણપણે અટકાવી શકાય છે.
સુગર નોર્મલ થયા પછી શું મેટફોર્મિન બંધ કરી શકાય?
આ એક એવો સવાલ છે જે મોટાભાગના દર્દીઓ ડોક્ટરોને પૂછતા હોય છે. જ્યારે દર્દી નિયમિત દવા અને જીવનશૈલીમાં સુધારો કરે છે, ત્યારે તેનું બ્લડ સુગર લેવલ ઘણીવાર નોર્મલ થઈ જાય છે. પરંતુ, સુગર લેવલ નોર્મલ થતાં જ દર્દી પોતાની જાતે દવા બંધ કરવાની ભૂલ કરી બેસે છે.
ડૉ. ઘોડી આ બાબતે કડક ચેતવણી આપતા જણાવે છે કે, “ડોક્ટરની લેખિત સલાહ વિના અચાનક મેટફોર્મિન બંધ કરવાથી બ્લડ સુગર લેવલ ફરીથી આઉટ ઓફ કંટ્રોલ થઈ શકે છે. દવાનો ડોઝ ઘટાડવો, બદલવો કે તદ્દન બંધ કરવાનો અંતિમ નિર્ણય માત્ર બ્લડ સુગરના રીપોર્ટ પર જ નહીં, પરંતુ દર્દીના વજન નિયંત્રણ, તેની શારીરિક સક્રિયતા અને એકંદર મેટાબોલિક હેલ્થ પર આધાર રાખે છે. તેથી કોઈપણ ફેરફાર હંમેશા નિષ્ણાત ડોક્ટરની દેખરેખ હેઠળ જ થવો જોઈએ.”
શું મેટફોર્મિન પ્રી-ડાયાબિટીસને જડમૂળથી મટાડી શકે?
તબીબી વિજ્ઞાન અનુસાર, મેટફોર્મિન આ સ્થિતિને કાયમી ધોરણે અથવા જડમૂળથી મટાડતી નથી. તે માત્ર બ્લડ સુગરના સ્તરને મેનેજ કરવામાં અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી (Insulin Sensitivity) સુધારવામાં વચગાળાની મદદ કરે છે. પરંતુ શરીરની અંદર રહેલી ઇન્સ્યુલિન પ્રતિકારની અંતર્ગત પ્રકૃતિ અંદરખાને ચાલુ જ રહે છે. આથી જ આ સ્થિતિ પર કાયમી કાબૂ મેળવવા માટે માત્ર દવાની ગોળી પર નિર્ભર રહેવાના બદલે આજીવન સ્વસ્થ આહાર (Healthy Diet), રોજિંદી કસરત અને વજનને કાબૂમાં રાખવાની લાંબા ગાળાની ટેવો કેળવવી અનિવાર્ય છે.
દવાની કોઈ આડઅસર (Side Effects) થઈ શકે ખરી?
જ્યારે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ યોગ્ય માત્રામાં મેટફોર્મિન લેવામાં આવે ત્યારે તે સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. જો કે, શરૂઆતના દિવસોમાં કેટલાક દર્દીઓને હળવી પેટની ગરબડ, ગેસ અથવા પાચન સંબંધિત નાની સમસ્યાઓ થઈ શકે છે, જે સમય જતાં આપોઆપ ઠીક થઈ જાય છે. આ દવા લાંબા સમય સુધી લેવાની હોવાથી, તે શરીર પર કેટલી સારી રીતે અસર કરી રહી છે તે જાણવા તેમજ શરીરમાં વિટામીન-B12 ના સ્તરનું મૂલ્યાંકન કરવા માટે દર ૩ થી ૬ મહિને નિયમિત બ્લડ ચેકઅપ કરાવવું હિતાવહ છે.
દવાઓ સિવાય કઈ બાબતોનું ધ્યાન રાખવું?
ડાયાબિટીસથી બચવા માટે માત્ર ગોળીઓ ગળવી એ પૂરતું નથી. તબીબોના મતે, દવા એ સારવારનો માત્ર એક ભાગ છે. અસલી પ્રગતિ ત્યારે જ થશે જ્યારે દર્દી રોજિંદી ૪૦ મિનિટની કસરત, કાર્બોહાઇડ્રેટ મુક્ત સંતુલિત આહાર, મગજ પરનો તણાવ (Stress) ઓછો કરવો અને ૭ થી ૮ કલાકની પૂરતી ઊંઘ જેવી તંદુરસ્ત આદતોને પોતાના જીવનનો હિસ્સો બનાવશે.

