શેરબજારમાં ફ્રન્ટ-રનિંગથી રળ્યા ૩૦ કરોડ: સેબીના ૧૪૬ પાનાના આદેશમાં થયો દુબઈ કનેક્શનનો સનસનાટીભર્યો ખુલાસો!
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના બહુચર્ચિત ફ્રન્ટ-રનિંગ કૌભાંડમાં મૂડી બજારના નિયામક સેબી (SEBI) એ મોટી અને આકરી કાર્યવાહી કરી છે. સેબીએ શુક્રવારે જાહેર કરેલા અંતિમ આદેશમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના પૂર્વ ચીફ ડીલર વીરેશ જોશીને સિક્યોરિટીઝ માર્કેટમાંથી ૭ વર્ષ માટે બાન કરી દીધા છે. આ સાથે જ સેબીએ તેમના પર ₹૩ કરોડનોંગી મસમોટો દંડ પણ ફટકાર્યો છે.
આ સમગ્ર કૌભાંડમાં માર્કેટ રેગ્યુલેટરે માત્ર મુખ્ય આરોપી જ નહીં, પરંતુ તેમની સાથે સંકળાયેલા અન્ય ૨૦ વ્યક્તિઓ સામે પણ કડક પગલાં લીધાં છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં તેમની ભૂમિકાના આધારે આ તમામ ૨૦ લોકોને ૩ થી ૭ વર્ષ સુધી શેરબજારમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, જ્યારે તેમના પર ₹૧૦ લાખથી લઈને ₹૧ કરોડ સુધીનો આર્થિક દંડ લાદવામાં આવ્યો છે.

શું છે સમગ્ર કૌભાંડ અને ક્યારે બહાર આવ્યું?
આ મામલાની શરૂઆત સેબી દ્વારા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ટ્રેડિંગમાં શંકાસ્પદ ફ્રન્ટ-રનિંગ પ્રવૃત્તિઓની તપાસથી થઈ હતી. સેબીએ ફેબ્રુઆરી ૨૦૨૩માં એક વચગાળાનો આદેશ અને શો-કોઝ નોટિસ જારી કરીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગેરકાયદેસર ફ્રન્ટ-રનિંગ સોદા ૧ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ વચ્ચેના સમયગાળામાં કરવામાં આવ્યા હતા. સેબીના અંદાજ મુજબ, આરોપીઓએ ભેગા મળીને આ ગેરરીતિ દ્વારા આશરે ₹૩૦.૫૫ કરોડનો ગેરકાયદેસર નફો કમાયો હતો. નિયામકે વચગાળાના આદેશ સમયે જ આ તમામ કમાણી જપ્ત (Impound) કરવાનો આદેશ આપ્યો હતો.
ફ્રન્ટ-રનિંગ શું છે અને કેવી રીતે આચરાયું?
શેરબજારમાં ‘ફ્રન્ટ-રનિંગ’ એ એક ગેરકાયદેસર અને ગંભીર ગુનો માનવામાં આવે છે. જ્યારે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કે મોટું સંસ્થાકીય રોકાણકાર (Institutional Investor) બજારમાં કોઈ શેર ખરીદવા કે વેચવાનો મોટો ઓર્ડર મૂકવાનું હોય, ત્યારે તેનાથી બજારમાં તે શેરના ભાવમાં મોટો ફેરફાર થાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ પાસે આવા મોટા ઓર્ડરની અગાઉથી ગોપનીય માહિતી આવી જાય, ત્યારે તે પોતાના કે સગા-સંબંધિઓના ખાતામાં પહેલાં સોદો કરી લે છે અને બાદમાં ફંડનો ઓર્ડર મૂકાતાં ભાવ બદલાય ત્યારે નફો કમાઈને બહાર નીકળી જાય છે. આ ગેરકાયદેસર પ્રક્રિયાને ફ્રન્ટ-રનિંગ કહેવામાં આવે છે.
૧૪૬ પાનાના આદેશમાં સેબીનો ખુલાસો: દુબઈ કનેક્શન
સેબી દ્વારા જાહેર કરવામાં આવેલા ૧૪૬ પાનાના વિસ્તૃત આદેશમાં વીરેશ જોશીની ભૂમિકા અંગે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. ચીફ ડીલર તરીકે ફરજ બજાવતા હોવાથી વીરેશ જોશી પાસે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના આગામી મોટા સોદાઓની તમામ ગોપનીય અને સંવેદનશીલ માહિતી રહેતી હતી.
તેમણે આ બિન-જાહેર માહિતીનો દુરુપયોગ કરીને દુબઈ સ્થિત પ્રિજેશ કુરાની નામના વ્યક્તિને આપી હતી. પ્રિજેશે આ માહિતીના આધારે પોતાના પરિવારના સભ્યો, સહયોગીઓ અને વિવિધ સંસ્થાઓના નામે ખોલેલા મલ્ટિપલ ટ્રેડિંગ અકાઉન્ટ્સ દ્વારા એક્સિસ ફંડના સોદા બજારમાં મુકાય તે પહેલાં જ સોદાઓ પાર પાડીને કરોડો રૂપિયાનો ગેરકાયદેસર નફો રળ્યો હતો.

અગાઉના પ્રતિબંધનો સમય બાદ મળશે
સેબીએ પોતાના આદેશમાં સ્પષ્ટતા કરી છે કે વચગાળાના આદેશ હેઠળ જે વ્યક્તિઓ અગાઉથી જ સિક્યોરિટીઝ માર્કેટમાંથી બહાર રહ્યા છે, તે સમયગાળો અત્યારના નવા આદેશમાં ગણતરીમાં લેવામાં આવશે.
આનો અર્થ એ થયો કે ફેબ્રુઆરી ૨૦૨૩માં જારી કરાયેલા વચગાળાના આદેશથી લઈને અત્યાર સુધી આરોપીઓએ જે પ્રતિબંધનો સમય વીતાવ્યો છે, તેને હવે ફાળવવામાં આવેલી કુલ સજાના સમયગાળામાંથી બાદ કરવામાં આવશે. બાકી રહેતા સમય માટે જ પ્રતિબંધ લાગુ રહેશે.
રોકાણકારોના વિશ્વાસ અને બજારની પારદર્શિતા પર અસર
મ્યુચ્યુઅલ ફંડ એ દેશના સામાન્ય રોકાણકારોનો વિશ્વાસ છે, જ્યાં લોકો પોતાની પરસેવાની કમાણી રોકે છે. આવી સ્થિતિમાં ફંડના જ જવાબદાર પદ પર બેઠેલા અધિકારી દ્વારા આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવે ત્યારે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ અને રોકાણકારોના વિશ્વાસને મોટો ધક્કો પહોંચે છે.
સેબીની આ આકરી અને દાખલારૂપ કાર્યવાહીથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે શેરબજારમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનૈતિક કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં. નાના અને સામાન્ય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે રેગ્યુલેટર કડક પગલાં લેવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.