મોબાઈલ, લેપટોપથી લઈને ડેટા સેન્ટર સુધી… સરકારે ટેક્સના નિયમો બદલીને આપ્યા ચોંકાવનારા સંકેતો!
લોકસભામાં 6 ઓગસ્ટના રોજ વિપક્ષના હોબાળા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ખરડો પસાર કરવામાં આવ્યો છે, જે દેશની આર્થિક વ્યવસ્થા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના નિયમોમાં મોટા ફેરફારો લાવી શકે છે. નાણા પ્રધાન નિર્મલા સીથારમણ દ્વારા રજૂ કરાયેલા ‘ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ (અમેન્ડમેન્ટ) બિલ, 2026’ ને ગૃહમાં કોઈપણ ચર્ચા વગર ધ્વનિ મતથી પસાર કરી દેવામાં આવ્યું છે. આ બિલ દ્વારા સરકાર ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007’, ‘ઇન્કમ ટેક્સ એક્ટ, 2025’ અને ‘ફાઇનાન્સ એક્ટ, 2026’ માં સુધારા કરવા જઈ રહી છે.
આ નવો કાયદો પાસ થવાથી સામાન્ય નાગરિકોના ખિસ્સાથી લઈને વિદેશી રોકાણકારો, ફંડ મેનેજર્સ અને ડાયમંડ માર્કેટ સુધી વ્યાપક અસરો જોવા મળશે. ખાસ કરીને યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાની કાનૂની જોગવાઈ અને સુરત-મુંબઈના હીરા ઉદ્યોગ માટે કરમુક્તિની જાહેરાત આ બિલના કેન્દ્રબિંદુ સમાન છે.

UPI અને RuPay ટ્રાન્ઝેક્શન પર ચાર્જ: મફત ડિજિટલ પેમેન્ટના દિવસો પૂરા થશે?
આ બિલની સૌથી વધુ ચર્ચા જે બાબત માટે થઈ રહી છે તે છે યુપીઆઈ (UPI) અને રુપે (RuPay) ડેબિટ કાર્ડ પેમેન્ટ પર ચાર્જ વસૂલવાની મંજૂરી. અત્યાર સુધી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઝીરો-MDR (મેરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ફ્રેમવર્ક લાગુ કર્યું હતું. આનો અર્થ એ થતો હતો કે બેંકો અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ (જેમ કે PhonePe, Google Pay, Paytm) ગ્રાહકો કે વેપારીઓ પાસેથી UPI ટ્રાન્ઝેક્શન માટે કોઈ ફી વસૂલી શકતા નહોતા.
જો કે, નવા બિલ દ્વારા સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ અને ઇન્કમ ટેક્સ એક્ટ વચ્ચેની કાનૂની કડીને હટાવી દીધી છે. આ સુધારાથી સરકારને હવે એવો કાનૂની અધિકાર મળી ગયો છે કે તેઓ આગામી સમયમાં અમુક ચોક્કસ પ્રકારના UPI અથવા RuPay ટ્રાન્ઝેક્શન પર મરચન્ટ ચાર્જ (MDR) લગાવી શકે છે.
સરકારનું આ પગલું કેમ? સરકાર અને રિઝર્વ બેંકનું માનવું છે કે સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટનું જે મોટું નેટવર્ક ઊભું થયું છે, તેને લાંબા ગાળા સુધી સુરક્ષિત અને કાર્યક્ષમ રાખવા માટે બેંકો અને પેમેન્ટ કંપનીઓ પાસે કમાણીનું સાધન હોવું જરૂરી છે. જો કે, બિલમાં સ્પષ્ટ કરાયું છે કે સરકાર નોટિફિકેશન બહાર પાડીને નક્કી કરશે કે કયા ટ્રાન્ઝેક્શન અથવા કયા ડિજિટલ મોડ સંપૂર્ણપણે મફત રહેશે. આનો ઉદ્દેશ્ય સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ પર બોજ નાખ્યા વિના બેંકો માટે એક ટકાઉ મોડલ બનાવવાનો છે.
વિદેશી ભંડોળ (Offshore Funds) અને ફંડ મેનેજર્સ માટેના નિયમો સરળ બન્યા
ભારતને વૈશ્વિક મૂડી, મેન્યુફેક્ચરિંગ અને બિઝનેસ માટે એક આકર્ષક કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્યથી આ બિલમાં વિદેશી ફંડ્સ માટેના નિયમો ખૂબ જ હળવા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ગ્લોબલ ફંડ મેનેજર્સ જો ભારતમાં આવીને કામ કરે, તો એવો ડર રહેતો હતો કે તે ફંડની વૈશ્વિક આવક પર પણ ભારતમાં ટેક્સ લાગી શકે છે. આ માટે ખૂબ જ કડક નિયમો હતા.
નવા સુધારા મુજબ, આ શરતોની યાદી ટૂંકી અને સરળ કરવામાં આવી છે જેથી વિદેશી ફંડ મેનેજર્સ ભારતમાં (ખાસ કરીને ગિફ્ટ સિટી – IFSC ગાંધીનગર સહિત દેશના કોઈપણ ભાગમાં) સરળતાથી શિફ્ટ થઈ શકે. આ પગલાથી વૈશ્વિક સ્તરે હાઈ-વેલ્યુ રોજગારીની તકો ભારતમાં ઊભી થશે. ટેક્સ નિષ્ણાતોના મતે, આ ફેરફારથી વિદેશી પ્રાઈવેટ ઈક્વિટી (PE) ફર્મ્સ અને ઓફશોર ફંડ્સ ભારતમાં પોતાની ઓફિસ ખોલવા માટે પ્રોત્સાહિત થશે.
રીઅલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણકારો (REITs અને InvITs) ને મોટી રાહત
નાના રોકાણકારો જે બિઝનેસ ટ્રસ્ટ જેવા કે REITs (રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) અને InvITs (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ) માં નાણાં રોકે છે, તેમના માટે આ બિલ ખુશખબર લઈને આવ્યું છે. સામાન્ય રીતે આ ટ્રસ્ટો સામાન્ય લોકો પાસેથી પૈસા ઉઘરાવીને રિયલ એસ્ટેટ કે હાઇવે જેવા પ્રોજેક્ટ્સમાં રોકે છે અને થતો નફો રોકાણકારોને ‘ડિવિડન્ડ’ (નફાભાગ) તરીકે વહેંચે છે.
જૂના નિયમો મુજબ, આ ડિવિડન્ડ રોકાણકારો માટે ત્યારે જ ટેક્સ-ફ્રી રહેતું હતું જો ઓપરેટિંગ કંપની જૂની ટેક્સ વ્યવસ્થામાં રહે. પરંતુ હવે કંપનીઓ નવી અને સરળ ટેક્સ સિસ્ટમ તરફ વળી રહી હોવાથી રોકાણકારોને ડિવિડન્ડ પર ટેક્સ ચૂકવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ બિલ દ્વારા સરકારે સ્પષ્ટ કર્યું છે કે કંપની ગમે તે ટેક્સ સિસ્ટમ અપનાવે, રોકાણકારોને મળતું ડિવિડન્ડ ટેક્સ-ફ્રી જ રહેશે, જેનાથી રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે.

સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગ માટે 15 વર્ષની ટેક્સ મુક્તિ
ગુજરાતના સુરત અને મહારાષ્ટ્રના મુંબઈના હીરા ઉદ્યોગ માટે આ બિલ એક મોટો માઇલસ્ટોન સાબિત થશે. વૈશ્વિક કાચા હીરા (Rough Diamonds) ના વેપારનો મોટો હિસ્સો ભારતમાં લાવવા માટે સરકારે ઐતિહાસિક જાહેરાત કરી છે.
અત્યાર સુધી વિદેશી ડાયમંડ માઇનર્સ (હીરાની ખાણ ધરાવતી કંપનીઓ) ને મુંબઈ અને સુરતના સ્પેશિયલ ઝોનમાં માત્ર કાચા હીરા પ્રદર્શિત (Display) કરવાની જ છૂટ હતી, વેચાણ પર ટેક્સ લાગતો હતો. પરંતુ હવે નવા બિલ મુજબ, વિદેશી ડાયમંડ માઇનર્સ, બ્રોકર્સ અને હરાજી કરતી સંસ્થાઓ જો સુરત કે મુંબઈના સ્પેશિયલ ઝોનમાંથી કાચા હીરાનું સીધું વેચાણ કરશે, તો તેમની આવક પર આગામી 15 વર્ષ સુધી સંપૂર્ણ ટેક્સ મુક્તિ આપવામાં આવશે. આનાથી સુરત વૈશ્વિક સ્તરે હીરાના કટિંગ અને પોલિશિંગ સાથે હવે ટ્રેડિંગનું પણ સૌથી મોટું હબ બનશે.
ડેટા સેન્ટર્સ અને ગ્લોબલ ક્લાઉડ કંપનીઓ માટે નિયમોનું સરલીકરણ
આજના ડિજિટલ યુગમાં ડેટા સેન્ટર્સ દેશની કરોડરજ્જુ સમાન છે. બજેટ 2026-27 માં વિદેશી ક્લાઉડ કંપનીઓને ભારતીય ડેટા સેન્ટર્સ વાપરવા બદલ 2047 સુધી ટેક્સ મુક્તિ અપાઈ હતી, પણ તેના નિયમો ખૂબ જ જટિલ હતા.
નવા સુધારા બિલમાં સરકારે આ મંજૂરીઓની જટિલ પ્રક્રિયાઓ હટાવી દીધી છે. હવે વિદેશી કંપનીઓ ભારતીય ડેટા સેન્ટર્સને માત્ર પોતાની માલિકીના રાખવાને બદલે લીઝ (ભાડા) પર પણ ચલાવી શકશે. આ ઉદાર નિયમોને કારણે ભારતમાં મોટા પાયે ‘AI ડેટા સિટીઝ’ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા શહેરો) નું નિર્માણ થશે અને અબજો ડોલરનું વિદેશી રોકાણ આ ક્ષેત્રમાં આવશે.
ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ઉત્પાદનને વેગ: ટેક્સ મુક્તિ 2041 સુધી લંબાવાઈ
ભારતમાં મોબાઈલ ફોન, લેપટોપ, પર્સનલ કમ્પ્યુટર અને સર્વર જેવા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું ઉત્પાદન વધારવા માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે. જે વિદેશી કંપનીઓ ભારતીય ફેક્ટરીઓને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે મશીનરી અને ટૂલ્સ સપ્લાય કરે છે, તેમની આવક પર મળતી ટેક્સ મુક્તિને બીજા 10 વર્ષ માટે એટલે કે વર્ષ 2040-41 સુધી લંબાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત, ભારતના કસ્ટમ્સ બોન્ડેડ વેરહાઉસમાં ઈલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સ સંગ્રહિત કરીને સ્થાનિક ઉત્પાદકોને સપ્લાય કરતી વિદેશી કંપનીઓની આવકને પણ 15 વર્ષ માટે સંપૂર્ણ ટેક્સ મુક્ત કરવામાં આવી છે. આનાથી ભારતમાં જ મોબાઈલ અને લેપટોપના સ્પેરપાર્ટ્સ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ બનશે, જેનાથી ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન વધુ મજબૂત થશે.