સામાન્ય નાગરિકો માટે UPI ટ્રાન્ઝેક્શન રહેશે તદ્દન મફત: નાણાં મંત્રાલયે કરી સ્થિતિ સ્પષ્ટ, માત્ર મોટા વેપારીઓ માટે લાગુ થઈ શકે છે નજીવો ચાર્જ
દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લઈને ચાલી રહેલી વિવિધ અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય યુઝર્સ માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત જ રહેશે. લોકસભામાં ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (PSS) એક્ટ ૨૦૦૭’ માં સુધારો કરવાનું મહત્વપૂર્ણ બિલ પસાર થયાના એક દિવસ બાદ નાણાં મંત્રાલય દ્વારા આ નિર્ણય અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.
નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પર્સન-ટુ-પર્સન (P2P) એટલે કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને કરવામાં આવતી તમામ યુપીઆઈ લેવડ-દેવડ સંપૂર્ણ ફ્રી રહેશે અને તેના પર કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

મોટા વેપારીઓ પર જ લાગુ થઈ શકે છે મર્યાદિત ચાર્જ
સરકારના જણાવ્યા અનુસાર, નાના વેપારીઓ અને સામાન્ય દુકાનદારો માટે પણ યુપીઆઈ સેવાઓ મફત જ રહેશે. જોકે, આગામી દિવસોમાં ચોક્કસ મર્યાદાથી વધુ મોટો વ્યવસાય કરતા પસંદગીના વેપારીઓ પર જ નજીવો ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગુ કરવાનો વિચાર કરવામાં આવી શકે છે. આ ચાર્જ પણ અત્યંત ઓછો હશે અને સામાન્ય રીતે ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી થતી લેવડ-દેવડ પર લાગતા ચાર્જ કરતાં ઘણો નીચો રાખવામાં આવશે.
મંત્રાલયે ઉમેર્યું કે જો કોઈ ચાર્જ નક્કી કરવામાં આવે, તો પણ તે એક નિશ્ચિત સીમાથી ઉપરના ટ્રાન્ઝેક્શન પર જ તબક્કાવાર લાગુ થશે. તમામ વેપારીઓ કે તમામ પ્રકારના યુપીઆઈ પેમેન્ટ પર એક સાથે આ ચાર્જ ઝીંકવામાં આવશે નહીં.

નવા કાયદાકીય ફેરફારનું મુખ્ય કારણ
પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટમાં સુધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય યુપીઆઈ નેટવર્કની લાંબા ગાળાની સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં જે ઉછાળો આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી અને છેતરપિંડી રોકવા માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત મોટા રોકાણની જરૂરિયાત ઊભી થઈ છે.
સરકારના મતે, યુપીઆઈ સિસ્ટમના ભવિષ્યના ગ્રોથ માટે માત્ર સરકારી સબસિડી પર નિર્ભર રહેવું યોગ્ય નથી. એક એવું ટકાઉ રેવન્યુ મોડલ વિકસાવવું જરૂરી છે જેનાથી વધુ ને વધુ પેમેન્ટ પ્રોવાઇડર્સ અને ફિનટેક કંપનીઓ સ્પર્ધાત્મક રીતે કામ કરવા માટે પ્રોત્સાહિત થાય.
બહારના દબાણના દાવા પાયાવિહોણા
નાણાં મંત્રાલયે તે અહેવાલો અને આક્ષેપોને પણ સખત શબ્દોમાં ફગાવી દીધા છે જેમાં દાવો કરાયો હતો કે આ ફેરફાર કોઈ આંતરરાષ્ટ્રીય કે વિદેશી દબાણ હેઠળ કરવામાં આવી રહ્યા છે. મંત્રાલયે આ દાવાઓને સંપુર્ણપણે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા.
સરકારે ઉમેર્યું કે જો ભારતીય નીતિઓ પર કોઈ બહારનું દબાણ હોત, તો સરકારે વર્ષ ૨૦૧૬માં સ્વદેશી યુપીઆઈ સિસ્ટમ લોન્ચ જ કરી ન હોત અથવા જાન્યુઆરી ૨૦૨૦થી નાગરિકો અને વેપારીઓ માટે આ સેવાને મફત બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો ન હોત. ભારતનું આ નાણાકીય માળખું સંપૂર્ણપણે સ્વેચ્છાએ અને ડિજિટલ ઇન્ડિયાને વધુ મજબૂત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે.