નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિર્માણધીન સ્મારકની મુલાકાત લઈ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી; સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા નિર્દેશ
સંસ્કારી નગરી વડોદરા માત્ર તેના સાંસ્કૃતિક વારસા માટે જ નહીં, પરંતુ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનના અત્યંત મહત્વપૂર્ણ વળાંક માટે પણ જાણીતું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના જીવનમાં સામાજિક વિષમતા, છૂતાછૂત અને કુરિવાજો દૂર કરી સામાજિક સમરસતા સ્થાપવા માટે વડોદરાના પ્રખ્યાત કમાટીબાગ (સયાજીબાગ) ખાતે આવેલા વડના વૃક્ષ નીચે બેસીને એક અપ્રતિમ અને ઐતિહાસિક સંકલ્પ લીધો હતો.
બાબાસાહેબના આ પવિત્ર અને પ્રેરણાદાયી સ્થળને ચિરંજીવ રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા કમાટીબાગ – કલ્યાણનગર ખાતે ભવ્ય અને આધુનિક “સંકલ્પભૂમિ સ્મારક”નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક પ્રકલ્પની વર્તમાન સ્થિતિ અને કામગીરીની પ્રગતિ જાણવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં સ્થળ મુલાકાત લીધી હતી અને સંબંધિત અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
કામગીરીની પ્રગતિ અંગેની આંકડાકીય અને તકનીકી સમીક્ષા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં સ્મારકની નિર્માણધીન સુવિધાઓ અને વિવિધ ફેઝની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચસ્તરીય પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક લાઈબ્રેરી, આકર્ષક ઈન્ટીરીયર, મ્યુઝિયમ ડિઝાઈન, ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિશાળ પ્રતિમા અને સમગ્ર સંકુલની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સહિતની તમામ આધુનિક સુવિધાઓ માટે સુનિશ્ચિત જોગવાઈઓ કરવામાં આવી છે.
બેઠક દરમિયાન અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે, સંકલ્પભૂમિ સ્મારક ખાતે ફેઝ-૨ અંતર્ગત હાથ ધરવામાં આવેલી મ્યુઝિયમ ડિઝાઈન, ક્યુરેશન, ઓડિટોરિયમ ડેવલપમેન્ટ, સ્ટેચ્યુ પ્લેસમેન્ટ, ઈન્ટીરીયર અને ફર્નિચરનું મોટાભાગનું કામ હવે આખરી તબક્કામાં પહોંચી ગયું છે. ટૂંક સમયમાં જ આ સ્મારક દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
હાયપર રીઅલીસ્ટિક સેટ્સ અને અદ્યતન એનિમેટ્રોનિક્સ ટેકનોલોજી
મ્યુઝિયમમાં આવનારા મુલાકાતીઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને તેમના વિચારોને વધુ નજીકથી અનુભવી શકે તે માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં મ્યુઝિયમની અંદર વોલ મ્યુરલ્સ (Wall Murals), માનવસહજ લાગતા મેનિકવિન્સ (Mannequins) અને હાયપર રીઅલીસ્ટિક સેટ્સનું થીમ આધારિત ફાઇનલ પ્લેસિંગ અને ફિનિશિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ ઉપરાંત, સ્મારકમાં નિર્માણ પામેલા ભવ્ય ઓડિટોરિયમમાં સાઉન્ડ ક્વોલિટી ઉત્તમ રહે તે માટે એકાઉસ્ટિક પેનલિંગ (Acoustic Paneling), આકર્ષક ફોલ્સ સિલિંગ અને અદ્યતન એનિમેટ્રોનિક્સ ઇન્સ્ટોલેશન તથા તેનું પ્રોગ્રામિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ નવીન ટેકનોલોજીના ઉપયોગથી મુલાકાતીઓને એક અદ્ભુત અને જીવંત અનુભવ પ્રાપ્ત થશે.
ડિજિટલ મલ્ટીમીડિયા અનુભવ અને ૧૨ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા
આજના આધુનિક યુગને અનુરૂપ સ્મારકના મ્યુઝિયમમાં આવતા દેશ-વિદેશના સૈલાનીઓ માટે ડિજિટલ અને મલ્ટીમીડિયા અનુભવ પૂરો પાડવાનું વિશેષ આયોજન કરાયું છે. જે અંતર્ગત ટીવી પ્રોગ્રામિંગ, આકર્ષક લાઈટિંગ પ્રોગ્રામિંગ, ઓડિયો ગાઈડ, ક્યુ.આર. સ્કેનર (QR Scanner) અને સમર્પિત મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવાનું કામ હાલ ઝડપથી પ્રગતિ હેઠળ છે.
આ સ્મારકના કેન્દ્ર સ્થાને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨ ફૂટ ઊંચી ભવ્ય અને પ્રતિષ્ઠિત પ્રતિમાનું નિર્ધારિત સ્થળ પર પ્લેસમેન્ટ કરી દેવામાં આવ્યું છે. આ પ્રતિમાના મુખ્ય પ્લેટફોર્મનું ફિનિશિંગ અને બાબાસાહેબના સંકલ્પ અંગેની વિગતો દર્શાવતી તક્તિ લગાવવાની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.
કમાટીબાગ ખાતે વધારાની સુવિધાઓ અને સખી મંડળને રોજગારીનું પ્રોત્સાહન
સ્મારકની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સગવડતામાં વધારો કરવા માટે કમાટીબાગ ખાતે રૂ. ૩᱖ લાખના અંદાજિત ખર્ચે વિશેષ સુશોભન અને પ્લેટફોર્મ બનાવવા માટેની વહિવટી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સરકારના મહિલા સશક્તિરણના અભિગમને સાકાર કરતાં, આ સ્મારકના કેફેટેરિયાનું સંચાલન સ્થાનીય ‘મૈત્રી સખી મંડળ’ને સોંપવા માટે નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક મહિલાઓને રોજગારીની તકો પ્રાપ્ત થશે. આ ઉપરાંત, મ્યુઝિયમના સુચારુ અને વ્યવસાયિક સંચાલન માટે અગાઉથી જ નિષ્ણાત એજન્સીની પસંદગી કરીને જરૂરી તાલીમ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક નિર્દેશો અને અધિકારીઓની ઉપસ્થિતિ
સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠકના અંતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબંધિત અધિકારીઓ, મ્યુનિસિપલ ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, આ સ્મારક માત્ર એક મકાન નથી પણ લાખો લોકોની આસ્થા અને સામાજિક ક્રાંતિનું પ્રતિક છે. તેથી, બાકી રહેલી તમામ કામગીરી ઉચ્ચ ગુણવત્તા સાથે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે.
આ અગત્યની સમીક્ષા બેઠકમાં રાજ્ય મંત્રી ડો. મનીષાબેન વકીલ, સચિવ હર્ષદ પટેલ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, કલેકટર ડો. અનિલ ધામેલિયા, અગ્રણી જયપ્રકાશ ભાઈ સોની સહિત વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.