શું તમારા પગ પણ વારંવાર ઠંડા કે સુન્ન થઈ જાય છે? ડૉક્ટરે આપી હૃદયરોગ અંગે મોટી ચેતવણી!
આપણે દરરોજ શરીરના ઘણા બધા અંગોની સંભાળ રાખીએ છીએ, પરંતુ ઘણીવાર પગની નાની-મોટી તકલીફોને અવગણી દઈએ છીએ. વાસ્તવમાં, આપણા પગ માત્ર ચાલવા, ઊભા રહેવા કે સક્રિય રહેવા માટે જ ઉપયોગી નથી, પરંતુ તે આપણા હૃદયના સ્વાસ્થ્ય અને રક્તપરિભ્રમણ (Blood Circulation) ના સ્થિતિ અંગે પણ ઘણા મહત્વના સંકેતો આપે છે.
લાંબા સમય સુધી ઊભા રહેવાથી, પ્રવાસ કરવાથી, ભારે કસરત કરવાથી કે કોઈ નાની-મોટી ઈજાના કારણે પગમાં દુખાવો અથવા સોજો આવવો સામાન્ય બાબત હોઈ શકે છે. પરંતુ, જો આ ફેરફારો સતત રહેતા હોય અથવા વગર કોઈ સ્પષ્ટ કારણે થતા હોય, તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ અને તુરંત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પગમાં આવતો સતત સોજો હૃદયની પમ્પિંગ ક્ષમતા ઘટી હોવાનો સંકેત હોઈ શકે છે, જ્યારે ચાલતી વખતે પગમાં થતો દુખાવો ધમનીઓ સાંકડી થવા અને લોહીનો પુરવઠો ઓછો થવા તરફ ઈશારો કરે છે.

પગ આપણને કયા ચેતવણીરૂપ સંકેતો આપે છે?
ડૉ. પુણ્ય પ્રતાપના જણાવ્યા અનુસાર, “આપણું હૃદય અને રક્તવાહિનીઓ સાથે મળીને આખા શરીરમાં, જેમાં પગ પણ શામેલ છે, ઓક્સિજનયુક્ત લોહી પહોંચાડવાનું કામ કરે છે. જો હૃદયની લોહી પમ્પ કરવાની ક્ષમતા નબળી પડે અથવા રક્ત પુરવઠામાં કોઈ અવરોધ આવે, તો દર્દીઓને પગના પંજા અને ઘૂંટી (Ankles) આસપાસ સોજો, પગમાં ભારેપણું, થાક અથવા શ્વાસ ચઢવા જેવી તકલીફો અનુભવાઈ શકે છે.”
તેઓ વધુમાં ઉમેરે છે કે, “ચાલતી વખતે પિંડીઓમાં અસહ્ય દુખાવો અને સ્નાયુઓ ખેંચાવા (Cramps) અને આરામ કરવાથી તેમાં રાહત મળવી – આ લક્ષણ પેરિફેરલ આર્ટેરિયલ ડિસીઝ (PAD) નું હોઈ શકે છે. આવા લક્ષણોનો અર્થ એવો નથી કે દરેક વખતે હૃદયરોગ જ હોય, પરંતુ તેને ક્યારેય અવગણવા ન જોઈએ.”
શું સોજા વાળા પગ હૃદયની સમસ્યાનો સંકેત આપે છે?
પગના સોજા વિશે વાત કરતા ડૉ. પ્રતાપ જણાવે છે કે, જ્યારે શરીરમાં પેશીઓ (Tissues) ની અંદર પ્રવાહી (Fluid) જમા થવા લાગે છે, ત્યારે ખાસ કરીને ઘૂંટી અને પંજાની આસપાસ સોજો દેખાય છે. આ તકલીફ હૃદયની નબળાઈ, નસોમાં વધતા દબાણ અથવા પગના નીચેના ભાગમાં પ્રવાહી રોકાઈ રહેવાને કારણે થઈ શકે છે.
જોકે, પગમાં સોજો આવવાના અન્ય કારણો પણ હોઈ શકે છે, જેમ કે કિડની કે લીવરની તકલીફ, કેટલીક દવાઓની આડઅસર, અથવા લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી કે ઊભા રહેવું. તેથી, જાતે જ અનુમાન લગાવવાને બદલે ચોક્કસ કારણ જાણવા માટે યોગ્ય તબીબી તપાસ કરાવવી ખૂબ જરૂરી છે.

જો પગનો સોજો વારંવાર આવતો હોય, સતત વધતો જતો હોય, દૈનિક દિનચર્યામાં વિક્ષેપ પાડતો હોય અથવા સોજાની સાથે શ્વાસ ચઢવો, ભારે થાક લાગવો, અચાનક વજન વધવું કે સીધા સૂવામાં તકલીફ પડવી જેવા લક્ષણો દેખાય, તો તુરંત જ ઇમરજન્સી મેડિકલ મદદ લેવી જોઈએ.
પગના આ ૭ લક્ષણોને ભૂલથી પણ નજરઅંદાજ ન કરો
તમારા પગમાં નીચે દર્શાવેલા ૭ લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ દેખાય, તો તમારે તરત જ સાવધાન થઈ જવું જોઈએ:
૧. પંજા કે ઘૂંટીમાં સતત સોજો રહેવો: દિવસના અંતે કે લાંબા સમય સુધી સોજો ન ઉતરવો.
૨. ચાલતી વખતે દુખાવો: ચાલતી વખતે પગમાં કે પિંડીઓમાં દુખાવો કે આંકડી આવવી, જે આરામ કરવાથી શાંત થઈ જાય.
૩. પગ કે પંજા ઠંડા પડી જવા: હવામાન સામાન્ય હોવા છતાં પગના તળિયા અસામાન્ય રીતે ઠંડા રહેવા.
૪. ત્વચાના રંગમાં ફેરફાર: પગની તત્વચા પીળી, ઝાંખી કે લીલાશ/વાદળી પડતી દેખાવવી.
૫. પગમાં સુન્નતા કે નબળાઈ: પગમાં ઝીણી ઝીણી સોય વાગતી હોય તેવી અનુભૂતિ થવી કે પગ નબળા લાગવા.
૬. રૂઝ ન આવતા ઘા: પગ કે પંજા પર પડેલા ઘા અથવા ચાંદા ખૂબ ધીમે રુઝાવવા કે બિલકુલ ન રુઝાવવા.
૭. એક જ પગમાં અચાનક સોજો કે અસહ્ય દુખાવો: માત્ર એક જ પગમાં અચાનક તીવ્ર દુખાવો કે સોજો આવવો (જે ડીપ વેઇન થ્રોમ્બોસિસનો સંકેત હોઈ શકે છે).
કોણે સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે?
દરેક વ્યક્તિએ પોતાના શરીરના સંકેતો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ, પરંતુ કેટલાક લોકો માટે આ જોખમ વધુ રહેલું છે.
જે લોકોને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર (હાઈ બીપી), હાઈ કોલેસ્ટ્રોલ, મેદસ્વીતા (Obesity) ની સમસ્યા હોય, અથવા જેઓ ધૂમ્રપાન (Smoking) કરવાની ટેવ ધરાવે છે કે જેમના પરિવારમાં હૃદયરોગનો ઈતિહાસ (Family History) રહ્યો છે, તેમણે પોતાના પગમાં આવતા નાનામાં નાના ફેરફારો પર ખાસ નજર રાખવી જોઈએ.
પગ અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ડૉક્ટરની મહત્વપૂર્ણ સલાહ
તંદુરસ્ત પગ અને સ્વસ્થ હૃદય એકબીજા સાથે રક્તપરિભ્રમણ દ્વારા સીધા જોડાયેલા છે. ગંભીર લક્ષણોની રાહ જોયા વગર સમયસર ડૉક્ટરનો સંપર્ક કરવો એ જ સમજદારી છે. હૃદય અને પગના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ડૉ. પ્રતાપ નીચે મુજબના ઉપાયો રજૂ કરે છે:
-
નિયમિત કસરત: દરરોજ ૩૦ થી ૪૫ મિનિટ ચાલો, હળવી વર્કઆઉટ કરો કે યોગ કરો.
-
વજન નિયંત્રણ: શરીરનું વજન સંતુલિત રાખો જેથી પગ અને હૃદય પર વધારાનું દબાણ ન આવે.
-
દવાઓનું નિયમિત સેવન: બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે ડૉક્ટરે આપેલી દવાઓ સમયસર લો.
-
ખરાબ ટેવોનો ત્યાગ: ધૂમ્રપાન અને દારૂનું સેવન સંપૂર્ણપણે બંધ કરો, કારણ કે તે રક્તવાહિનીઓને ભારે નુકસાન પહોંચાડે છે.
-
સંતુલિત આહાર અને હેલ્થ ચેક-અપ: પૌષ્ટિક ખોરાક લો અને સમયાંતરે રૂટિન હેલ્થ ચેક-અપ કરાવતા રહો.
જો પગમાં દુખાવો, સોજો કે અચાનક કોઈ ફેરફાર દેખાય, તો જાતે કોઈ દેશી ઉપચાર કે ઘરગથ્થુ ઈલાજ કરવાને બદલે તબીબી માર્ગદર્શન લેવું જ હિતાવહ છે.