મિયામીમાં એમેઝોનનું બોઇંગ 767 જેટ ક્રેશ: પાયલટ-કો-પાયલટ સહિત અનેક લોકો ફસાયા, 5ના કમકમાટીભર્યા મોત
અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર એક અત્યંત ભયાનક અને મોટો વિમાન અકસ્માત સર્જાયો છે, જ્યાં એમેઝોનનું એક કાર્ગો વિમાન (Boeing 767-300) લેન્ડિંગ દરમિયાન અચાનક રનવેની બહાર નીકળી ગયું હતું. આ ગંભીર દુર્ઘટનામાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી અને ચારેય બાજુ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.

સાન જુઆનથી આવી રહ્યું હતું વિમાન
મિયામી-ડેડ કાઉન્ટીના અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિમાન પ્યુર્ટો રિકોના સાન જુઆન શહેરી વિસ્તારથી ઉડાન ભરીને મિયામી પહોંચ્યું હતું. રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે જ્યારે આ વિમાન મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું, ત્યારે કોઈ ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર તે કાબૂ બહાર થઈ ગયું અને રનવેની હદ વટાવીને સીધું બહાર આવી ગયું. રનવે છોડતાની સાથે જ આ વિમાન રોડ પર દોડી રહેલા વાહનો સાથે ધડાકાભેર અથડાયું, જેના કારણે ભીષણ આગ લાગી ગઈ.
વાહનો અને વિમાનની અંદર ફસાયેલા લોકો
મિયામી-ડેડ ફાયર રેસ્ક્યુ ચીફ રે જદલ્લાહે મીડિયાને જણાવ્યું હતું કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા લોકો તેમના વાહનોમાં ફસાયા હતા. વધુમાં, પાઇલટ અને કો-પાઇલટ કોકપીટમાં ખરાબ રીતે ફસાયા હતા અને મુશ્કેલ કામગીરી પછી બચાવ ટીમો દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ત્રણને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય બે લોકોને નાની ઇજાઓ થઈ હતી.
રસ્તા પર વિખેરાયેલો મલબો અને ઈંધણનું લીકેજ
અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો ક્લિપ્સમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર્ગો પ્લેનનો મલબો રસ્તા પર વેરાયેલો પડેલો છે અને આકાશમાં કાળા ધુમાડાનું મોટું મોજું ઉછળી રહ્યું છે. પ્લેનની મુખ્ય બોડીમાંથી સતત આગની લ્હોરો નીકળતી નજરે પડી. અકસ્માત સ્થળની આસપાસ ઘણી કારો અને મોટા ટ્રકો પણ ક્ષતિગ્રસ્ત હાલતમાં ઉભેલા જોવા મળ્યા.
ફાયર ચીફે સમાચાર એજન્સીને જણાવ્યું કે પ્લેન ક્રેશ થયાના કલાકો પછી પણ ફાયર વિભાગની ટીમો વિમાનમાંથી થઈ રહેલા ઈંધણના લીકેજને રોકવા અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી. મોટા પ્રમાણમાં ફ્યુલ લીક થવાને કારણે આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
તપાસ ચાલુ છે, ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી
હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ દર્દનાક અકસ્માત પાછળનું અસલી કારણ શું હતું. શું આ લેન્ડિંગ દરમિયાન વિઝિબિલિટી ઓછી હોવાને કારણે થયું, કે પછી વિમાનમાં કોઈ ખતરનાક ટેકનિકલ ખામી સર્જાઈ હતી? એવિએશન સેફટી એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે, જેથી જાણી શકાય કે આખરે રનવે પર એવું શું બન્યું જેણે પાંચ નિર્દોષ લોકોનો ભોગ લીધો.

રસ્તા પર વિખેરાયેલો મલબો અને ઈંધણનું લીકેજ