બ્રિક્સ સમિટમાં પીએમ મોદીનો ચીનને સ્પષ્ટ સંદેશ: ‘મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ હથિયાર તરીકે ન થવો જોઈએ’
નવી દિલ્હી ખાતે આયોજિત ૧૮મા બ્રિક્સ સમિટના અંતિમ દિવસે વૈશ્વિક આર્થિક સ્થિરતા અને દેશો વચ્ચેના સંબંધોને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. સમિટના સમાપન સત્ર દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં એક મોટું અને તીક્ષ્ણ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ વૈશ્વિક મંચ પરથી આકરા શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને આવશ્યક ખનિજો (Critical Minerals) નું શસ્ત્રીકરણ એટલે કે તેનો હથિયાર તરીકે ઉપયોગ કરવો તે તમામ દેશોની સહિયારી પ્રગતિમાં ભારે અવરોધ ઊભો કરી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ દેશે પોતાના વ્યૂહાત્મક સંસાધનો કે ટેકનોલોજીકલ પ્રભુત્વનો ઉપયોગ બીજા દેશો પર રાજકીય કે આર્થિક દબાણ લાવવા માટે ન કરવો જોઈએ. બ્રિક્સ જૂથનો મૂળ હેતુ સમગ્ર વિશ્વમાં સમાન વિકાસ અને ખુલ્લા સહયોગનું વાતાવરણ ઊભું કરવાનો છે.
ભારતના પ્રમુખપદ હેઠળ ચાર મુખ્ય સ્તંભો પર ભાર
પોતાના સમાપન ભાષણમાં વડાપ્રધાન મોદીએ ભારતના સફળ બ્રિક્સ પ્રમુખપદની સિદ્ધિઓને રેખાંકિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય સભ્યતા હંમેશા માનવ વિકાસ અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચેના યોગ્ય સંતુલનને મહત્વ આપે છે. ભારતના પ્રમુખપદ દરમિયાન બ્રિક્સનું તમામ ધ્યાન ચાર મુખ્ય સ્તંભો પર કેન્દ્રિત રહ્યું છે: સ્થિતિસ્થાપકતા (Resilience), નવીનતા (Innovation), સહકાર (Cooperation) અને ટકાઉપણું (Sustainability).
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારતે તમામ સભ્ય દેશો સાથે મળીને જૂથના સહિયારા દ્રષ્ટિકોણને પરસ્પર ફાયદાકારક આર્થિક અને ટેકનોલોજીકલ સહયોગમાં રૂપાંતરિત કરવાનું કામ કર્યું છે.
બ્રિક્સ સહયોગ માત્ર સરકારો પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સના ભવિષ્ય અંગે વાત કરતાં એક નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, “બ્રિક્સ દેશો વચ્ચેનો પરસ્પર સહયોગ ફક્ત સરકારો, મંત્રીઓ કે અધિકારીઓની દ્વિપક્ષીય બેઠકો પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ.”
આ જૂથને વધુ વ્યાપક અને સમાવેશી બનાવવા માટે તેમાં ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, સંશોધકો (રિચર્ચર્સ), મહિલાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોનો સીધો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે. ટેકનોલોજીના ફાયદા છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક દેશ સાથે મળીને આગળ વધે તેવા સમાવેશી મોડલ પર કામ કરવાની જરૂર છે.
‘ચીન અને ભારત ભાગીદાર છે, હરીફ નહીં’: શી જિનપિંગ
સમિટ દરમિયાન ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધો અંગે પણ મહત્વના સંકેતો મળ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક સકારાત્મક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “ચીન અને ભારત એકબીજાના ભાગીદાર છે, હરીફ નથી.” તેમણે ઉમેર્યું હતું કે બંને દેશોની પ્રગતિ એકબીજાના વિકાસ માટે નવી તકોનું નિર્માણ કરે છે, કોઈ ખતરો નહીં.
ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકોએ બંને દેશો વચ્ચેના સંબંધોને પુનઃસ્થાપિત કરવામાં અને સરહદી તેમજ આર્થિક સ્થિરતા મજબૂત કરવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વૈશ્વિક સપ્લાય ચેઈન અને ક્રિટિકલ મિનરલ્સનું મહત્વ
હાલના સમયમાં ઈલેક્ટ્રિક વાહનો, સોલર પેનલ્સ, સેમિકન્ડક્ટર્સ અને હાઈ-ટેક ઈલેક્ટ્રોનિક્સમાં કોબાલ્ટ, લિથિયમ અને રેર અર્થ એલિમેન્ટ્સ જેવા મહત્વપૂર્ણ ખનિજોનો ઉપયોગ વધ્યો છે. ભૂતકાળમાં ચીન દ્વારા આવા ખનિજોના નિકાસ પર નિયંત્રણો મૂકવાના પ્રયાસો સામે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ જ સંદર્ભમાં પીએમ મોદીનું આ નિવેદન વૈશ્વિક સપ્લાય ચેઈનને સુરક્ષિત અને પારદર્શક રાખવા માટે અત્યંત સમયસૂચક માનવામાં આવી રહ્યું છે.
