ભારતના ઉત્કૃષ્ટ આતિથ્ય સત્કારથી ગદગદ થયા મલેશિયાના પીએમ, સોશિયલ મીડિયા પર શેર કરી પીએમ મોદી સાથેની તસવીરો
ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે આયોજિત બ્રિક્સ સમિટ ૨૦૨૬માં ભાગ લેવા માટે વિશ્વભરના અગ્રણી નેતાઓ ભારતના મહેમાન બન્યા છે. આ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનમાં હાજરી આપવા આવેલા મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઉષ્માભરી દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીએમ મોદી સાથેની ખાસ તસવીરો શેર કરીને ભારત તરફથી મળેલા ઉત્કૃષ્ટ આતિથ્ય સત્કાર અને આદર સત્કાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
મલેશિયન પ્રતિનિધિમંડળ નવી દિલ્હી પહોંચ્યા બાદ વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સીધા હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં પીએમ મોદીને પોતાના “પ્રિય મિત્ર” ગણાવ્યા હતા અને લખ્યું હતું કે, “ગઈકાલે રાત્રે નવી દિલ્હી આવ્યા બાદ મલેશિયન પ્રતિનિધિમંડળને મળેલા ઉત્તમ અને ભવ્ય સ્વાગત માટે મેં પીએમ મોદીનો આભાર માન્યો છે. અલહમદુલિલ્લાહ, અમે મલેશિયા અને ભારત વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સંબંધો અને ઉષ્માભર્યા લોકો-સાથે-લોકોના સંપર્કો પર આધારિત મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે પરસ્પર સંમતિ દર્શાવી છે.”
Memulakan pagi ini di New Delhi dengan bertemu Presiden Republik Islam Iran, Dr Masoud Pezeshkian bagi memperkukuh hubungan persahabatan Malaysia-Iran serta membincangkan hala tuju kerjasama kedua-dua negara dalam pelbagai bidang.
Dalam pertemuan ini, saya menyuarakan… pic.twitter.com/8rVFpKw6Vt
— Anwar Ibrahim (@anwaribrahim) September 12, 2026
સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત
આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક ભાગીદારીના ક્ષેત્રો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. પીએમ ઈબ્રાહિમે જણાવ્યું હતું કે, આ વાટાઘાટો ખાસ કરીને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહયોગ વધારવાના પ્રયાસો પર કેન્દ્રિત હતી. મલેશિયા અને ભારત બંને પાસે આધુનિક ટેકનોલોજી અને ઉત્પાદનના ક્ષેત્રમાં પૂરક શક્તિઓ છે. આ ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરીને બંને દેશો ઔદ્યોગિક સહયોગ, વૈશ્વિક સપ્લાય ચેઇન એકીકરણ, ટેકનિકલ પ્રતિભા વિકાસ અને પરસ્પર રોકાણના ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી શકે છે.
દ્વિપક્ષીય વેપાર અને મલેશિયન નિકાસ માટે નવી તકો
વેપારી સંબંધો અંગે વાત કરતા મલેશિયાના વડાપ્રધાને ભારતના વિશાળ અને ઝડપથી વિકસતા બજારનો લાભ લેવા માટેની આકાંક્ષા વ્યક્ત કરી હતી. તેમણે બેઠકમાં ભારતીય બજારમાં મલેશિયન નિકાસ ઉત્પાદનોના પ્રવેશને વધુ સરળ અને ઝડપી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેનાથી મલેશિયાની વિવિધ કંપનીઓને ભારતીય બજારમાં પોતાના વેપારનો વિસ્તાર કરવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.
બેઠકના અંતે તેમણે ઉમેર્યું હતું કે, “ઇન્શા-અલ્લાહ, મલેશિયા અને ભારત બંને દેશોના નાગરિકોના કલ્યાણ અને આર્થિક સમૃદ્ધિ માટે આ પરસ્પર ફાયદાકારક મિત્રતા અને ભાગીદારીને ભવિષ્યમાં પણ સતત મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.”
આ બેઠકથી દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો (ASEAN) અને ભારત વચ્ચેના આર્થિક તથા ટેકનોલોજીકલ સંબંધોને નવી દિશા અને બળ મળશે તેવી વેપાર નિષ્ણાતોની ધારણા છે.
