અમદાવાદમાં CAAના વિરોધ પ્રદર્શન સમયે થયેલ હિંસા મામલે ગૃહ મંત્રાલય નજર રાખી રહ્યું છે. સાથે જ ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે રાજ્ય સરકાર પાસેથી માહિતી મગાવી છે. તો આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ હિંસા પૂર્વ આયોજિત હતી. કેટલાક લોકોએ ઉશ્કેરણી કરી છે, અને ષડયંત્રકારીઓએ તોફાન કરાવ્યા છે. કેટલાક લોકો શાંતિ ડહોળવાનું કામ કરે છે. હજારોની સંખ્યામાં પથ્થરો કેમ મળી જાય? પ્લાસ્ટિકની કોથળીમાં પથ્થર લાવ્યા હતા તેમ ડે.CMએ જણાવ્યું હતું.
તો ગઈકાલે થયેલી હિંસા બાદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સમગ્ર શહેરમાં રાબેતા મુજબ ધંધા-રોજગાર ચાલુ થઈ ગયા છે. શાહઆલમ અને જમાલપુરમાં RAFની બે ટીમને તહેનાત કરવામાં આવી છે. તથા શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ચાંપતી નજર રાખી રહી છે. શાહ આલમ વિસ્તારમાં સેક્ટર 2 જેસીપી દ્વારા ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું હતું.
તો શાહ આલમમાં થયેલી હિંસા મામલે ક્રાઈમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમો તપાસમાં જોડાઈ છે. સીસીટીવી અને મીડિયા કવરેજનાં આધારે પોલીસની ટીમો તપાસ કરી રહી છે. પોલીસે પથ્થરમારો કરનારા નવા 32 લોકોને શોધી કાઢ્યા છે. તો બીજી બાજુ હિંસા બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. અને દરેક ધર્મનાં લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.
જ્યારે હિંસક વિરોધને પગલે ગુજરાતનાં ગૃહવિભાગનાં અધિક મુખ્ય સચિવની આગેવાનીમાં બેઠક મળી હતી. ગૃહ વિભાગે પથ્થરમારો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી અને ધરપકડનો આદેશ કર્યો છે. સીસીટીવી અને મોબાઈલ વીડિયો એકત્ર કરવાની કામગીરી કરાઈ રહી છે. અને કોઈપણ અસામાજિક તત્વોને કોઈપણ ભોગે ન છોડવા ગૃહવિભાગે સૂચના આપી છે. તો સીએમ રૂપાણીએ આ મામલે ગૃહ વિભાગ પાસેથી વિગતો મગાવી છે. અને અસામાજિક તત્વોને નહીં છોડવા માટે તાકીદ કરી છે.
તો હિંસામાં 3 મીડિયા કર્મી અને 24 પોલીસકર્મીઓ સહિત 28ને ઈજા પહોંચી હતી. જેમાં 25ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. જ્યારે 3 પોલીસકર્મી હજુ પણ સારવાર હેઠળ છે. અને તેમની હાલત ગંભીર ન હોઈ ચિંતા જેવી કોઈ વાત ન હોવાનું એલજી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેટે કહ્યુ હતું.