અલ્હાબાદ હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: “હિજાબ ઇસ્લામનો આવશ્યક ભાગ નથી”, શાળાઓમાં માત્ર યુનિફોર્મ ડ્રેસ કોડનું જ પાલન થશે
શૈક્ષણિક સંસ્થાઓમાં ગણવેશ અને ધાર્મિક પોશાકના વિવાદ પર અલ્હાબાદ હાઇકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. હાઇકોર્ટે શાળાઓમાં નિર્ધારિત યુનિફોર્મ ડ્રેસ કોડ સાથે હિજાબ પહેરવાની પરવાનગી માંગતી વિદ્યાર્થીનીની અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતા, સંસ્થાકીય શિસ્ત અને એકરૂપતા જાળવવી સર્વોપરી છે, અને શાળા દ્વારા નક્કી કરાયેલા ડ્રેસ કોડના નિયમોનું પાલન કરવું તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત રહે છે.
પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલનો કિસ્સો
આ સમગ્ર વિવાદ પ્રયાગરાજના અતરસૂયા સ્થિત જાણીતી ટાગોર પબ્લિક સ્કૂલ સાથે જોડાયેલો છે. સ્કૂલની ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સુકૈના રિઝવીએ તેની માતા મારફતે અલ્હાબાદ હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિજાબ પહેરવો એ તેમની ધાર્મિક પ્રથાનો એક ભાગ છે, તેથી શાળા ગણવેશ સાથે તેને હિજાબ પહેરવાની પરવાનગી આપવી જોઈએ.
જોકે, સુનાવણી દરમિયાન શાળા મેનેજમેન્ટે સંસ્થાના નિર્ધારિત યુનિફોર્મ નિયમોનો હવાલો આપીને આ માંગણીનો આકરો વિરોધ કર્યો હતો. શાળા પ્રશાસને કોર્ટને જણાવ્યું હતું કે શાળામાં તમામ વિદ્યાર્થીઓ માટે એકસમાન ડ્રેસ કોડ લાગુ છે અને શિસ્ત જાળવવા માટે કોઈ ચોક્કસ ધાર્મિક પોશાકની મંજૂરી આપી શકાય નહીં.

હાઇકોર્ટની ડબલ બેન્ચના મહત્વપૂર્ણ અવલોકનો
ન્યાયાધીશ જે.જે. મુનીર અને ન્યાયાધીશ ઇન્દ્રજીત શુક્લાની સંયુક્ત બેન્ચે આ અરજી પર વિસ્તૃત સુનાવણી હાથ ધરી હતી. બેન્ચે અરજી ફગાવતા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા:
૧. યુનિફોર્મ નીતિ સર્વોપરી: કોર્ટે સ્પષ્ટ કહ્યું કે શૈક્ષણિક સંસ્થાની યુનિફોર્મ નીતિ અને શિસ્ત સૌથી ઉપર છે. તમામ વિદ્યાર્થીઓ માટે એક જ ડ્રેસ કોડ લાગુ રહેશે અને ધાર્મિક માન્યતાઓના નામે તેમાંથી કોઈ છૂટછાટ કે વિચલન આપી શકાય નહીં.
૨. ઇસ્લામનો આવશ્યક ભાગ નથી: હાઇકોર્ટે પોતાના આદેશમાં ભારપૂર્વક જણાવ્યું કે હિજાબ પહેરવો એ ઇસ્લામિક આસ્થાનો કોઈ આવશ્યક કે અનિવાર્ય ધાર્મિક ભાગ નથી. કોર્ટે નોંધ્યું કે હિજાબ ન પહેરવાથી કોઈ મહિલાની આસ્થા કે ધાર્મિક ઓળખ જોખમમાં મુકાતી નથી.
૩. માત્ર એક જ વિદ્યાર્થીનીનો વિરોધ: બેન્ચે વર્ગખંડના ફોટોગ્રાફ્સ ચકાસ્યા બાદ નોંધ્યું કે અરજદાર વિદ્યાર્થીની સિવાય અન્ય કોઈ વિદ્યાર્થી હિજાબ પહેરતો નથી. અરજદાર જે ધાર્મિક સમુદાયમાંથી આવે છે, તે જ સમુદાયના અન્ય વિદ્યાર્થીઓ પણ સામાન્ય શાળા ગણવેશમાં જ અભ્યાસ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાનો સંદર્ભ
પોતાના ૨૧ ઓગસ્ટના નિર્ણયમાં બેન્ચે કર્ણાટક હિજાબ વિવાદમાં સુપ્રીમ કોર્ટના ૨૦૨૨ ના ચુકાદા અને વિવિધ હાઈકોર્ટો દ્વારા અગાઉ આપવામાં આવેલા આદેશોનો પણ સંદર્ભ લીધો હતો. કોર્ટે ઉમેર્યું હતું કે અગાઉ પણ જ્યારે પણ આ મુદ્દો ન્યાયતંત્ર સમક્ષ આવ્યો છે, ત્યારે અદાલતોએ સર્વસંમતિથી સ્વીકાર્યું છે કે હિજાબ એ ઇસ્લામની અનિવાર્ય ધાર્મિક પ્રથા નથી.
કોર્ટે આખરે તારણ કાઢ્યું કે અરજીમાં કરવામાં આવેલો દાવો માત્ર એક વ્યક્તિગત દલીલ છે અને તેને કાનૂની કે બંધારણીય સંરક્ષણ આપી શકાય નહીં. અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણચે પુનઃ સાબિત કર્યું છે કે શૈક્ષણિક પરિસરમાં વ્યક્તિગત કે ધાર્મિક માન્યતાઓ કરતાં સંસ્થાકીય શિસ્ત અને સમાનતાનો ગુણધર્મ વધુ મહત્વ ધરાવે છે.
