આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલે કેશલેસ સારવાર આપવાની ના પાડી? કચેરીના ધક્કા ખાધા વિના ફોનથી જ આ રીતે નોંધાવો ફરિયાદ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોને આર્થિક રીતે મદદરૂપ થવા અને આરોગ્ય સુવિધાઓ આપવા માટે આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક પરિવારને વાર્ષિક ₹૫ લાખ સુધીની મફત અને કેશલેસ સારવાર આપવાની જોગવાઈ છે. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે દર્દી પાસે માન્ય આયુષ્માન કાર્ડ હોય તેમ છતાં યોજના સાથે જોડાયેલી (એમ્પેનલ્ડ) ખાનગી કે સરકારી હોસ્પિટલ દ્વારા મફત સારવાર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવે છે અથવા દર્દી પાસેથી બળજબરીથી રોકડ નાણાં કે બિલની ચુકવણી કરાવવામાં આવે છે.
જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના ઘટે, તો નિરાશ થઈને સરકારી કચેરીઓના ધક્કા ખાવાની કે હેરાન થવાની બિલકુલ જરૂર નથી. તમે ઘરેબેઠા તમારા સ્માર્ટફોન કે સાદા ફોન દ્વારા પણ આવી દાદાગીરી કરતી હોસ્પિટલ સામે તાત્કાલિક ઓનલાઇન કે ઓફલાઇન ફરિયાદ નોંધાવી શકો છો.

ફરિયાદ કરતાં પહેલાં આટલી તૈયારીઓ અને પુરાવા એકઠા કરો
સરકાર પાસે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરાવવા માટે તમારી પાસે યોગ્ય પુરાવા હોવા અત્યંત જરૂરી છે. સત્તાવાર પોર્ટલ કે હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવતાં પહેલાં નીચે મુજબના દસ્તાવેજો સાચવી લેવા:
હોસ્પિટલ પ્રશાસન કે આયુષ્માન મિત્ર પાસે સારવાર ન આપવાનું કે કાર્ડ રિજેક્ટ કરવાનું ચોક્કસ કારણ લેખિતમાં માગો.
જે ડોક્ટર કે હોસ્પિટલ સ્ટાફે સારવાર આપવાનો ઇનકાર કર્યો હોય તેમનું નામ, તારીખ અને સમય નોંધો.
ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન (પર્ચી), લેબ ટેસ્ટ રિપોર્ટ્સ અને હોસ્પિટલ ફાઇલની સ્પષ્ટ ફોટોકોપી સાચવો.
જો હોસ્પિટલે તમારી પાસેથી બળજબરીથી પૈસા ચૂકવાવ્યા હોય, તો તે પેમેન્ટની અસલ રસીદ અને બિલ સાચવી રાખો.
હોસ્પિટલનું સાચું નામ, બ્રાન્ચ અને લોકેશન નોંધી રાખો.
તમારું આયુષ્માન કાર્ડ અને દર્દીના જરૂરી ઓળખકાર્ડ (જેમ કે આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ) સાથે રાખો.
cgrms.pmjay.gov.in પોર્ટલ પર ઓનલાઇન ફરિયાદ કરવાની રીત
જો તમારી પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટ સુવિધા હોય, તો તમે સરકારના સત્તાવાર સીજીઆરએમએસ (CGRMS) પોર્ટલ પર સીધી ઓનલાઇન ફરિયાદ દાખલ કરી શકો છો:
સૌપ્રથમ તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સત્તાવાર વેબસાઇટ cgrms.pmjay.gov.in ઓપન કરો.
હોમપેજ પર આપેલા ‘Register Your Grievance‘ વિકલ્પ પર ક્લિક કરો.
સ્ક્રીન પર યોજનાના વિકલ્પમાં PMJAY સિલેક્ટ કરીને આગળ વધો.
દર્દીનું નામ, સરનામું, ચાલુ મોબાઇલ નંબર અને આયુષ્માન કાર્ડની વિગતો ભરો.
ફરિયાદની કેટેગરીમાં ‘Hospital’ વિકલ્પ પસંદ કરીને સંબંધિત હોસ્પિટલનું નામ અને શહેરની વિગતો દાખલ કરો.
Grievance Description બોક્સમાં બનેલી ઘટનાની સંપૂર્ણ વિગત (જેમ કે સારવાર ના પાડવાનું કારણ, સ્ટાફનું નામ, તારીખ) સ્પષ્ટપણે લખો.
જે દસ્તાવેજો એકઠા કર્યા હોય (હોસ્પિટલની પર્ચી, બિલ કે રિજેક્શન સ્લિપ) તેને અપલોડ કરો.
ફોર્મ સબમિટ કર્યા બાદ સ્ક્રીન પર એક ફરિયાદ નંબર (Grievance Number) આવશે, જેને સાચવી લેવો. આ નંબરથી તમે ભવિષ્યમાં તમારી ફરિયાદનું સ્ટેટસ ટ્રેક કરી શકશો.

ઇન્ટરનેટ ન હોય તો ટોલ-ફ્રી નંબર ૧૪૫૫૫ પર કરો કોલ
જો તમારી પાસે ઇન્ટરનેટ કે સ્માર્ટફોન નથી, તો પણ તમે સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો. આ માટે તમારા ફોન પરથી આયુષ્માન ભારતનો રાષ્ટ્રીય ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ ડાયલ કરો. IVR પર તમારી અનુકૂળ ભાષા પસંદ કર્યા બાદ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવાનો વિકલ્પ પસંદ કરો.
એક્ઝિક્યુટિવને દર્દીનું નામ, આયુષ્માન કાર્ડ નંબર અને જે હોસ્પિટલમાં સારવાર નથી મળી તે હોસ્પિટલનું નામ અને શહેર જણાવો. ત્યારબાદ સમગ્ર ઘટના અને સ્ટાફના વર્તન અંગેની વિગતો આપો. જો હોસ્પિટલે પૈસા લીધા હોય તો બિલની માહિતી નોંધાવો. ફરિયાદ નોંધાયા બાદ એક્ઝિક્યુટિવ તમને એક કમ્પ્લેઇન્ટ નંબર આપશે. આ જ નંબરથી તમે ભવિષ્યમાં આ જ હેલ્પલાઇન પર કોલ કરીને તમારી ફરિયાદ પર શું કાર્યવાહી થઈ તેની જાણકારી મેળવી શકશો.
