વિકાસ સાથે વિરાસતના જતનનો સંદેશ: અમદાવાદ પ્રોપર્ટી શોમાં મુખ્યમંત્રીનું પ્રેરક ભાષણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ક્રેડાઈ અમદાવાદ-ગાઈહેડ દ્વારા આયોજિત ૨૦મા પ્રોપર્ટી શો ‘ઓલિમ્પિયાડ’નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રીએ આ પ્રોપર્ટી શોના ઉદ્ઘાટન સાથે ‘આ અમદાવાદાનો દસકો છે’ શિર્ષક ધરાવતી ફિલ્મ પણ લોન્ચ કરી હતી. આગામી ૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન ચાલનારા આ એક્ઝિબિશનમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અદ્યતન પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે.
કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક છે કારણ કે આજના પવિત્ર દિવસે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ છે. સોમનાથ મંદિર ભારતની અજેય આસ્થા અને આત્મવિશ્વાસનું કેન્દ્ર છે. જે રીતે વિદેશી આક્રમણો છતાં આપણી સંસ્કૃતિ અડીખમ રહી છે, તે જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત વૈશ્વિક સ્તરે પોતાનું ગૌરવ વધારી રહ્યું છે.
વિકાસની સાથે વિરાસતનું જતન અનિવાર્ય
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ હંમેશા વિકાસની સાથે વારસાના જતન પર ભાર મૂક્યો છે. મંદિરો આપણી શ્રદ્ધાના કેન્દ્રો છે, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સતત મહેનત અને પ્રમાણિકતા જાળવી રાખવી એ આપણી સાચી સંસ્કૃતિ છે. તેમણે રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસને બિરદાવતા કહ્યું કે સતત પ્રયત્નશીલ રહેતી સંસ્થાઓ જ પડકારો સામે વિજય મેળવીને પ્રગતિ કરી શકે છે.
સામાન્ય માનવીના ઘરનું સપનું થયું સાકાર
પ્રધાનમંત્રીની સંવેદનશીલતાનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સરકારની પ્રાથમિકતા હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાનની રહી છે. સત્તા સંભાળ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં જ પાકા મકાનોની યોજનાને મંજૂરી આપવી એ જનકેન્દ્રી શાસનનું ઉદાહરણ છે. આજે આધુનિક સુવિધાઓ સાથેના આવાસો ઉપલબ્ધ થવાથી સામાન્ય નાગરિકોનું જીવનધોરણ સુધર્યું છે અને તેમના જીવનમાં સુખ-શાંતિનો વધારો થયો છે.
અમદાવાદાના વિકાસથી આર્થિક શક્તિ વધશે
આગામી દશકને અમદાવાદના વિકાસનો દાયકો ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રોપર્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ ગુજરાતને આર્થિક રીતે વધુ મજબૂત બનાવશે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સામે લડવા માટે તેમણે વરસાદી પાણીના સંગ્રહ અને પર્યાવરણના જતન સાથેના વિકાસ પર ભાર મૂક્યો હતો. વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનો ફાળો અત્યંત મહત્વનો સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વિવિધ મહાનુભાવોની કાર્યક્રમમાં ઉપસ્થિતિ
પ્રોપર્ટી શોના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ શેખર પટેલ તેમજ ક્યુસીઆઈના અધ્યક્ષ જક્ષય શાહ સહિત રિયલ એસ્ટેટ ક્ષેત્રના અનેક દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનોએ પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપીને રોકાણકારોને પ્રોત્સાહિત કર્યા હતા.



