બંગાળની 4000 મસ્જિદોમાંથી શું ખરેખર લાઉડસ્પીકર હટાવી દેવાયા છે? હાઈકોર્ટની સુનાવણીમાં આવ્યો નવો મોડ
પશ્ચિમ બંગાળમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાનો મુદ્દો હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં એવી અફવાઓ અને દાવાઓ વાયરલ થઈ રહ્યા હતા કે રાજ્યમાં હજારો મસ્જિદો પરથી વિવાદિત રીતે લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલો ગુરુવારે કોલકાતા હાઈકોર્ટની દરબારમાં પહોંચ્યો હતો. જોકે, સુનાવણી દરમિયાન એક નાટકીય વળાંક આવ્યો જ્યારે અરજદાર પક્ષ કોર્ટ સમક્ષ પોતાના દાવાના સમર્થનમાં કોઈ પણ નક્કર પુરાવા રજૂ કરી શક્યો નહીં. બીજી તરફ, રાજ્ય સરકારે આ અરજીને માત્ર અફવાઓ અને સંભળાયેલી વાતો પર આધારિત ગણાવીને અરજદાર પર ભારે દંડ ફટકારવાની માંગ કરી છે.
હાઈકોર્ટમાં શું થઈ દલીલો?
ગુરુવારે (૧૩ ઓગસ્ટ) કોલકાતા હાઈકોર્ટમાં વકીલ દાનિશ ફારૂકી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર ઉગ્ર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદાર પક્ષ તરફથી દેશના વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનરજી કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ સુરજીત મિત્રા અને વધારાના મહાધિવક્તા બિલવાદલ ભટ્ટાચાર્યએ પક્ષ રજૂ કર્યો હતો.
બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન કલ્યાણ બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યના સરકારી અધિકારીઓ અને પોલીસ તંત્ર કોઈ પણ લેખિત આદેશ વગર મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે આ પ્રકારની કાર્યવાહી ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૫ હેઠળ નાગરિકોને મળેલા ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ખુલ્લું ઉલ્લંઘન છે. તેમણે કોર્ટને જણાવ્યું કે આ ઘટના સમગ્ર બંગાળમાં બની રહી છે.
અરજદાર પક્ષ પુરાવા આપવામાં નિષ્ફળ, સરકારે કરી દંડની માંગણી
જ્યારે કલ્યાણ બેનરજીએ દાવો કર્યો કે આખા બંગાળમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવાઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારના એડવોકેટ જનરલ સુરજીત મિત્રાએ આકરો વાંધો ઉઠાવ્યો હતો. તેમણે અરજદાર પક્ષને સીધો સવાલ કર્યો, “તમે ચોક્કસ આંકડો કે નામ આપો કે કઈ મસ્જિદ પરથી લાઉડસ્પીકર હટાવાયા છે? રાજ્ય સરકારના કયા અધિકારીઓ મસ્જિદની અંદર ગયા હતા?”
સુરજીત મિત્રાએ કોર્ટ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ અરજી માત્ર અફવાઓ અને સંભળાયેલી વાતો (Hearsay) પર આધારિત છે. અરજીમાં કોઈ પણ મસ્જિદના ઈમામનું નિવેદન કે સોગંદનામું જોડવામાં આવ્યું નથી, કે ન તો તથ્યો સાથે જણાવવામાં આવ્યું છે કે કયા-કયા વિસ્તારોમાં આ ઘટનાઓ બની છે. તેમણે જજને અપીલ કરી હતી કે જો અરજદાર પક્ષ પોતાના દાવાના પુરાવા રજૂ ન કરી શકે, તો પબ્લિક ટાઈમ વેસ્ટ કરવા બદલ તેમના પર ભારે દંડ ફટકારવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ પાયાવિહોણી અરજીઓ ન કરે.
જજનો સવાલ: “કેટલા હટાવ્યા, એ તો જણાવો?”
આ મહત્વપૂર્ણ મામલાની સુનાવણી હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તાપબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ અતિરૂપ બેનરજીની ખંડપીઠ સમક્ષ થઈ રહી હતી. બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાજ્ય સરકારના વકીલને સંબોધીને કહ્યું કે, “અમે તમારી દલીલો સાથે સંમત થઈએ છીએ, પરંતુ સરકાર તરીકે તમે જ સ્પષ્ટ કરો કે વાસ્તવમાં કેટલા લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે?”
જસ્ટિસ ચક્રવર્તીએ એડવોકેટ જનરલને પૂછ્યું, “શું તમે એવું કહેવા માગો છો કે રાજ્યમાં એક પણ લાઉડસ્પીકર હટાવાયું નથી?” આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારના વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ સંબંધિત વિભાગો પાસેથી સત્તાવાર માહિતી એકઠી કરીને આગામી સુનાવણીમાં કોર્ટ સમક્ષ રજૂ કરશે.
અરજદાર પક્ષે પોતાની અંતિમ દલીલમાં કહ્યું હતું કે જે મસ્જિદોમાં અવાજના પ્રદૂષણના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યાંથી પણ લાઉડસ્પીકર હટાવવા ગેરકાયદેસર છે, કારણ કે લાઉડસ્પીકર દ્વારા અઝાન આપવી એ ધાર્મિક પ્રક્રિયાનો એક ભાગ છે.
અવાજ પ્રદૂષણ અને વાસ્તવિક આંકડાનું ગણિત
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે બંગાળના સ્થાનિક મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે અવાજના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રાજ્યમાં વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અહેવાલો મુજબ, નિયમોનું ઉલ્લંઘન કરનાર આશરે ૧૨૭૯ મસ્જિદો અને ૧૯૯ મંદિરો પરથી સાઉન્ડ સિસ્ટમ અને લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા હતા.
જોકે, આ કાર્યવાહી કોઈ ચોક્કસ ધર્મ સામે નહીં પરંતુ ધ્વનિ પ્રદૂષણના કાયદાના અમલીકરણ માટે કરવામાં આવી હોવાનું કહેવાતું હતું. રાજ્ય સરકારે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું, જેના કારણે ૪૦૦૦ મસ્જિદો જેવો મોટો આંકડો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને અંતે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો.

