સોમાલિયા નજીક તુર્કીના શસ્ત્રો ભરેલું કાર્ગો જહાજ હાઇજેક: 6 ભારતીય નાવિકો સહિત ક્રૂ મેમ્બર્સનું અપહરણ
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પરથી ફરી એકવાર હાઈજેકિંગના મોટા સમાચાર સામે આવ્યા છે. સોમાલિયાના પુન્ટલેન્ડ કિનારા નજીક આશરે આઠ સશસ્ત્ર ચાંચિયાઓએ તુર્કીના આધુનિક શસ્ત્રો અને સંચાર સાધનોથી ભરેલા એક કાર્ગો જહાજને પોતાના કબજામાં લઈ લીધું છે. આ ઘટના ઘટીને ચાર દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, અપહરણ કરાયેલા ૧૦ સભ્યોના ક્રૂમાં સામેલ ૬ ભારતીય નાવિકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. જહાજ પર સોમાલિયા સ્થિત તુર્કીના સૈન્ય તાલીમ કેન્દ્ર માટે ખાસ હથિયારો, સેટેલાઇટ સિસ્ટમ અને અત્યાધુનિક કોમ્યુનિકેશન સાધનો મોકલવામાં આવી રહ્યા હતા.
ઘટનાનો વિગતવાર ક્રમ અને હાઇજેકિંગની પદ્ધતિ
મળતી માહિતી મુજબ, કેમરૂનના ધ્વજ હેઠળ જઈ રહેલા કાર્ગો જહાજ ‘M/V LUTUF’ પર સોમાલિયાના એઇલ જિલ્લામાં આવેલા મરાયા કિનારાથી આશરે ૩.૫ નોટિકલ માઈલ દૂર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો. ૮ જેટલા સશસ્ત્ર લૂંટારૂઓએ જહાજ પર અચાનક ધસી આવીને તેને પોતાના નિયંત્રણમાં લીધું હતું અને બાદમાં તેને નુગાલ કિનારા તરફ વાળી દીધું હતું.

સ્થાનિક સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એ જ દરિયાઈ ચાંચિયાઓનું જૂથ હોવાની શંકા છે જેણે આ જ વર્ષે ૨૬ એપ્રિલે ‘M/V Sward’ નામના જહાજનું અપહરણ કર્યું હતું. આ જૂથ દરિયાઈ વિસ્તારમાં ભારે સશસ્ત્ર હુમલાઓ કરવા માટે જાણીતું છે.
મોગાદિશુ તરફ જઈ રહ્યો હતો હથિયારોનો જથ્થો
‘પોલર મુવમેન્ટ શિપિંગ’ કંપનીના માલિકીના આ જહાજ પર લાદવામાં આવેલો સામાન ખૂબ જ સંવેદનશીલ હતો. આ જહાજ સોમાલિયાની રાજધાની મોગાદિશુ ખાતે આવેલા તુર્કીના લશ્કરી તાલીમ કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. તેમાં તુર્કીના આધુનિક સૈન્ય હથિયારો ઉપરાંત લશ્કરી ઉપયોગ માટેના સેટેલાઈટ અને હાઇ-ટેક કમ્યુનિકેશન ઉપકરણો ભરેલા હતા.
જહાજ પર રહેલા ૧૦ સભ્યોના ક્રૂમાં નીચે મુજબના નાગરિકોનો સમાવેશ થાય છે:
૬ ભારતીય નાવિકો
૧ તુર્કીનો નાગરિક
૧ જ્યોર્જિયાનો નાગરિક
૨ સરબિયન સુરક્ષા ગાર્ડ
ઘટનાના આટલા દિવસો વીતી ગયા હોવા છતાં તુર્કી સરકાર કે સંબંધિત સૈન્ય અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ડ્રોન દ્વારા સર્વેલન્સ અને શંકાસ્પદ હવાઈ હુમલો
હાઇજેકિંગની ઘટના સામે આવ્યા બાદ તુર્કીની નૌકાદળ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. તુર્કીના બે યુદ્ધજહાજ, હેલિકોપ્ટર અને ડ્રોન સમગ્ર વિસ્તારની કડક સર્વેલન્સ કરી રહ્યા છે.

આ દરમિયાન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પણ બની હતી. અહેવાલો મુજબ, ચાંચિયાઓ સુધી સ્થાનિક નશીલો પદાર્થ ‘ખત’ પહોંચાડવા માટે એક નાની હોડી જહાજ તરફ ગઈ હતી. હોડી કિનારે પાછી ફરી કે તુરંત જ તેના પર અજાણ્યા સ્ત્રોત દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૪ લોકોના મોત થયા હતા અને ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, આ હુમલો કોણે કર્યો અને માર્યા ગયેલા લોકો ચાંચિયા જ હતા કે કેમ, તેની હજુ સુધી કોઈ સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.
ચિંતાજનક પરિસ્થિતિ અને ભારતીય નાવિકોની સુરક્ષા
ચાર દિવસ કરતા વધુ સમય વીતી જવા છતાં જહાજની ચોક્કસ લોકેશન અને ભારતીય નાવિકો સહિત તમામ ક્રૂ સભ્યોની સલામતી અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ભારતીય નાવિકોના પરિવારોમાં ભારે ચિંતાનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને ભારતીય વિદેશ મંત્રાલય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
