શું ભારત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકશે? ૩૭,૫૦૦ કરોડના પ્લાન વચ્ચે ઊભો થયો આ મોટો પડાકાર
ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા અને કોલસામાંથી કેમિકલ બનાવવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય વચ્ચે એક મોટો પેચ ફસાયો છે. કેન્દ્ર સરકારની રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહક યોજના (Incentive Scheme) હોવા છતાં, દેશની અગ્રણી ઉર્જા અને ઔદ્યોગિક કંપનીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર નાણાકીય સબસિડી અથવા વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) થી વાત નહીં બને. જ્યાં સુધી સરકાર ઉત્પાદિત સિન્થેટિક ગેસ અને રસાયણોની ‘ખરીદીની પાકી ગેરંટી’ (Assured Offtake Guarantee) ન આપે, ત્યાં સુધી મોટા રોકાણો શક્ય નથી.
રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુની પડતર ધરાવતા દરેક મોટા કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટમાં ભારે કેપિટલ અને બજારની માંગનું મોટું જોખમ જોડાયેલું છે. આવી સ્થિતિમાં, લાંબા ગાળાના ખરીદ કરાર, ખાણ અથવા પોર્ટ પાસે જમીનનું ફાળવણી અને ટ્રાન્સપોર્ટેશન સપોર્ટ (Freight Support) વિના ખાનગી ક્ષેત્ર આટલી મોટી મૂડી રોકતા અચકાઈ રહ્યું છે. આયાતી નેચરલ ગેસ, ખાતર અને કેમિકલ્સ પર દેશની નિર્ભરતા ઘટાડવાના આ મહા-મિશનને સફળ બનાવવા માટે હવે ઉદ્યોગ જગતે સરકારના પાલામાં બોલ ફેંકતા મજબૂત નીતિગત સુરક્ષાની માંગ કરી છે.

ઉદ્યોગ જગતને સરકાર પાસેથી જોઈએ છે ખરીદીનું કમિcommitment
એનર્જી ઈન્ડસ્ટ્રી સરકાર પાસે કોલ ગેસિફિકેશન પ્રોજેક્ટ્સ માટે પાક્કા ઓફટેક કમિcommitment (એટલે કે ઉત્પાદિત માલના વેચાણની ગેરંટી) ની માંગ કરી રહી છે. તેમનો તર્ક છે કે માત્ર VGF સબસિડી આપવાથી જંગી રોકાણ ધરાવતા પ્લાન્ટ્સમાં પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ખેંચી લાવવું શક્ય બનશે નહીં.
ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે સરકારની નાણાકીય મદદ છતાં, જો પ્રોજેક્ટ ડેવલપર્સને આ વાતની કોઈ ગેરંટી વગર હજારો કરોડ રૂપિયા લગાવવા પડે કે ગેસમાંથી બનેલી પ્રોડક્ટ્સ કોણ ખરીદશે, કેટલી માત્રામાં ખરીદશે અને કયા ભાવે ખરીદશે, તો રોકાણ કરવાનો કોઈ અર્થ સરતો નથી. અહેવાલમાં એક સિનિયર ઈન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, જો તમે રૂ. ૧૦,૦૦૦ કરોડ જેવી મોટી રકમ રોકી રહ્યા હોવ અને ઉત્પાદન વેચવા માટે કોઈ નિશ્ચિત બજાર કે ગ્રાહક ન હોય, તો આખો બિઝનેસ મોડેલ જ ખોરવાઈ જાય છે.
લોજિસ્ટિક્સ અને ફ્રેટ સપોર્ટની પણ કરી માંગ
કોલ ગેસિફિકેશન એક એવી ટેકનોલોજીકલ પ્રક્રિયા છે જેમાં ઘન કોલસાને સિન્થેટિક ગેસ (Syngas) માં રૂપાંતરિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ કેમિકલ્સ, ખાતર અને પાવર સેક્ટરમાં થાય છે. આ બાબતો એવા સમયે સામે આવી છે જ્યારે કેન્દ્ર સરકાર રૂ. ૩૭,૫૦૦ કરોડની સ્કીમ દ્વારા દેશમાં સરફેસ કોલ અને લિગ્નાઈટ ગેસિફિકેશનને પ્રોત્સાહન આપીને કોલસામાંથી કેમિકલ બનાવવાનું ઈકોસિસ્ટમ તૈયાર કરવા જઈ રહી છે.
ઉદ્યોગો માત્ર વેચાણની ગેરંટી જ નહીં, પણ અન્ય સવલતોની પણ માંગ કરી રહ્યા છે:
ફ્રેટ સપોર્ટ: ખાતર (Fertilizer) અને સ્ટીલ પ્લાન્ટ્સને ગેસ સપ્લાય કરતા પ્રોજેક્ટ્સ માટે ટ્રાન્સપોર્ટેશન અથવા ફ્રેટ સપોર્ટ આપવામાં આવે.
જમીનની ફાળવણી: કોલસાની ખાણો (Mine-head) અથવા બંદરો (Ports) ની આસપાસ જમીનની યોગ્ય ફાળવણી કરવામાં આવે, જેથી કાચા માલના લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટાડી શકાય.
ઉદ્યોગપતિઓનું માનવું છે કે ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સનો અતિશય ખર્ચ આ પ્રોજેક્ટ્સની આર્થિક સંભાવનાઓ (Economic Viability) ને વધુ નબળી પાડી શકે છે.

માત્ર કેપિટલ સબસિડી પૂરતી નથી: ભવિષ્યના પડકારો
જોકે, સરકારની નવી નીતિ હેઠળ પ્લાન્ટ અને મશીનરીની કોસ્ટના ૨૦ ટકા સુધી નાણાકીય પ્રોત્સાહન (Financial Incentive) આપવાની જોગવાઈ છે. પરંતુ ઈન્ડસ્ટ્રીના આગેવાનોનું કહેવું છે કે માત્ર કેપિટલ સબસિડી આપવાથી તે પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા માર્કેટ અને માંગના જોખમો ઉકેલાતા નથી, જેમાં શરૂઆતમાં ભારે મોટું રોકાણ કરવું પડે છે અને જેને પૂર્ણ થવામાં વર્ષોનો સમય લાગે છે.
ઓડિશામાં તાપચર ફર્ટિલાઈઝર પ્રોજેક્ટ (Talcher Fertilizer Project) નો ભૂતકાળનો અનુભવ પણ દર્શાવે છે કે કોલ ગેસિફિકેશન ટેકનોલોજી અને તેના આર્થિક પાસાઓમાં કેટલા મોટા પડકારો રહેલા છે. આથી, જ્યાં સુધી સરકાર પોતે ગ્રાહક બનીને અથવા નીતિગત નિયમો બનાવીને ગેસ ખરીદીની બાંહેધરી નહીં આપે, ત્યાં સુધી ભારતનું આ મહા-મિશન ઝડપથી આગળ વધવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
