પીએફ ખાતાધારકો માટે મોટા સમાચાર: અટવાયેલા ₹૯,૩૩૦ કરોડ પાછા મેળવવા શરૂ થશે ‘ઈ-પ્રાપ્તિ’ પોર્ટલ
નોકરી બદલ્યા પછી પોતાના જૂના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાનું ભૂલી ગયેલા કે જૂની મેમ્બર આઈડી ન મળવાને કારણે હેરાન થતા લાખો કર્મચારીઓ માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ટૂંક સમયમાં એક ખાસ ડિજિટલ પ્લેટફોર્મ ‘ઈ-પ્રાપ્તિ’ (E-PRAAPTI) લોન્ચ કરવા જઈ રહ્યું છે. ઓગસ્ટ ૨૦૨૬ ના અંત સુધીમાં શરૂ થનારા આ નવા પોર્ટલનો મુખ્ય હેતુ વર્ષોથી બંધ કે નિષ્ક્રિય પડેલા પીએફ ખાતાઓમાં જમા થયેલા કરોડો રૂપિયા સાચા દાવેદારો સુધી સરળતાથી પહોંચાડવાનો છે.
દેશમાં ૩૦ લાખથી વધુ નિષ્ક્રિય ખાતા, કરોડો રૂપિયાનો ક્લેમ બાકી
ઈપીએફઓના નિયમો મુજબ, જો કોઈ પીએફ ખાતામાં સળંગ ૩৬ મહિના એટલે કે ત્રણ વર્ષ સુધી નવું યોગદાન જમા ન થાય, તો તેવા ખાતાને ‘ઈનઓપરેટિવ’ (નિષ્ક્રિય) જાહેર કરવામાં આવે છે. મોટાભાગે કર્મચારીઓ જ્યારે નોકરી બદલે છે ત્યારે જૂના પીએફ ખાતાને વર્તમાન યુએએન (UAN) સાથે જોડવાનું ભૂલી જાય છે અથવા તેમની પાસે જૂની મેમ્બર આઈડી (MID) હોતી નથી.
આંકડાઓ અનુસાર, હાલમાં દેશભરમાં ૩૦.૯૧ લાખથી વધુ આવા નિષ્ક્રિય પીએફ ખાતાઓ નોંધાયેલા છે, જેમાં અંદાજીત ₹૯,૩૩૦ કરોડ જેટલી માતબર રકમ દાવેદાર વિના પડી રહી છે. આ મોટી રકમનો કાયમી અને સલામત ઉકેલ લાવવા માટે સંસ્થા પોતાની આઈટી સિસ્ટમને અપગ્રેડ કરીને નવું પોર્ટલ બનાવી રહી છે.
શું છે ‘E-PRAAPTI’ પોર્ટલ અને તે કેવી રીતે કામ કરશે?
‘ઈ-પ્રાપ્તિ’ એક અત્યાધુનિક ઓનલાઈન પોર્ટલ હશે, જ્યાં કર્મચારીઓ પોતાના જૂના કે ભૂલાઈ ગયેલા પીએફ ખાતાઓને શોધી શકશે અને તેને વર્તમાન સક્રિય યુએએન સાથે સરળતાથી જોડી શકશે. આ પોર્ટલ આધાર બાયોમેટ્રિક અને ઓટીપી આધારિત ઓળખ ચકાસણી પર કામ કરશે. આ સિસ્ટમ અમલમાં આવવાથી કર્મચારીઓએ કચેરીઓના ધક્કા ખાવાની કે કાગળો સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
વપરાશકર્તાઓએ સૌથી પહેલા પોર્ટલ પર આધાર દ્વારા લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તેઓ પોતાની જૂની વિગતો દર્શાવશે. જો સિસ્ટમમાં જૂની મેમ્બર આઈડી અને વર્તમાન યુએએનનો મેળ બેસી જશે, તો જૂનું ખાતું આપોઆપ સક્રિય એકાઉન્ટ સાથે મર્જ થઈ જશે. જો કોઈ કર્મચારી પાસે યુએએન ન હોય, તો આ પોર્ટલ નવું યુએએન જનરેટ કરવામાં પણ મદદ કરશે. જે લોકોને પોતાની જૂની મેમ્બર આઈડી યાદ જ નથી, તેમના આવેદન જે-તે પ્રાદેશિક ઈપીએફઓ કાર્યાલય દ્વારા ચકાસીને આગળ વધારવામાં આવશે.
પ્રથમ તબક્કામાં કોને થશે સૌથી વધુ ફાયદો?
શરૂઆતી તબક્કામાં આ સુવિધાનો લાભ એવા કર્મચારીઓને ઝડપથી મળશે જેમની પાસે પોતાની જૂની મેમ્બર આઈડી ઉપલબ્ધ છે. ત્યારબાદ બીજા તબક્કામાં જે કર્મચારીઓ પાસે જૂનો કોઈ રેકોર્ડ નથી, તેમની માહિતી મેન્યુઅલી વેરિફાઈ કરીને પ્રોસેસ કરવામાં આવશે. આ સુવિધાથી લાખો મધ્યમવર્ગીય કર્મચારીઓને તેમની કમાણીના અટવાયેલા નાણાં પરત મેળવવામાં મોટી સફળતા મળશે.