ગુજરાત રાજકારણ: સ્થાનિક ચૂંટણીઓ પહેલા AAPને મોટો ઝટકો, રાજુ કરપડા આજે ‘કમલમ’માં ધારણ કરશે કેસરિયો
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના દિગ્ગજ નેતા અને કિસાન સેલના પૂર્વ પ્રમુખ રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. બપોરે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે તેઓ કેસરી ખેસ ધારણ કરશે.
ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં પ્રવેશ
મળતી વિગતો અનુસાર, રાજુ કરપડા માત્ર એકલા જ નહીં પરંતુ તેમના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. આજે બપોરે અંદાજે 1:00 વાગ્યે 200થી વધુ ગાડીઓના કાફલા સાથે તેઓ કમલમ પહોંચશે. આ એક પ્રકારનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે, જેનાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ભાજપ પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે.
ભાજપ સોંપી શકે છે મોટી જવાબદારી
રાજુ કરપડાની ગણના એક સક્રિય અને જમીની નેતા તરીકે થાય છે. તેઓ AAPમાં કિસાન સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ખેડૂતોમાં સારી પેઠ ધરાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ તેમને પ્રચારની મોટી અને મહત્વની જવાબદારી સોંપી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત મતદારોને રીઝવવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવશે.
AAP સાથેનો છેડો કેમ ફાડ્યો?
રાજુ કરપડા છેલ્લા પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ચોટીલા બેઠક પરથી AAPની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ પક્ષની આંતરિક કામગીરીથી નારાજ હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી.
ચર્ચા એવી પણ છે કે: પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સાથેના મતભેદોને કારણે તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. સોશિયલ મીડિયા પર રાજીનામું મૂક્યા બાદ અનેક અટકળો ચાલી રહી હતી, જેનો આજે ભાજપમાં જોડાઈને અંત આવશે.
સૌરાષ્ટ્રના રાજકારણ પર શું અસર પડશે?
રાજુ કરપડા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે પણ સેવા આપી ચૂક્યા હોવાથી, તેમના ભાજપમાં જવાથી AAPને સૌરાષ્ટ્રના સંગઠનમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે. બીજી તરફ, ભાજપ માટે આ ‘માસ્ટર સ્ટ્રોક’ સાબિત થઈ શકે છે, કારણ કે તે ગ્રામીણ સ્તરે વિરોધ પક્ષના મજબૂત ચહેરાઓને પોતાની તરફ ખેંચવામાં સફળ રહી છે.

