શું નોએલ ટાટા અને ચંદ્રશેખરન વચ્ચે જંગ શરૂ થયો? જૂન મહિનાની મીટિંગ નક્કી કરશે ટાટા સામ્રાજ્યનું ભવિષ્ય
રતન ટાટાના નિધન બાદ દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિક જૂથ, ટાટા ગ્રુપ (Tata Group) માં બધું બરાબર ચાલી રહ્યું નથી. સત્તાના ગલિયારા અને શક્તિ સંતુલનને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે સપાટી પર આવવા લાગી છે. સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે ટાટા સંસના ચેરમેન એન. ચંદ્રશેખરન (N Chandrashekhran) ત્રીજી વખત આ પદનું નેતૃત્વ કરવાની ઓફર ઠુકરાવી શકે છે.
સૂત્રોનો દાવો છે કે ચંદ્રશેખરન હવે ટાટા સંસના ચેરમેન પદ પર રહેવા ઈચ્છુક નથી. જોકે, તેઓ જૂથને અધવચ્ચે છોડશે નહીં; તેઓ ભવિષ્યની વિકાસ યોજનાઓ (Future Growth Plan) નો વિગતવાર નકશો તૈયાર કરશે અને ખોટ કરતી કંપનીઓને નફામાં લાવવા માટે ડેડલાઇન નક્કી કરશે.
ચંદ્રશેખરન અસહજ થયા: સન્માન અને દબાણ વચ્ચે ફસાયેલી ખુરશી
ટાટા ગ્રુપમાં એન. ચંદ્રશેખરનને એવા લીડર તરીકે જોવામાં આવે છે જેમણે મુશ્કેલ સમયમાં ગ્રુપને સ્થિરતા આપી. આજે પણ આખા ગ્રુપમાં તેમનું ઘણું સન્માન છે. પરંતુ તાજેતરના દિવસોમાં ટાટા ટ્રસ્ટ્સની અંદર જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેણે ચંદ્રશેખરન માટે સ્થિતિ ઘણી અસહજ બનાવી દીધી છે.
રિપોર્ટ્સ મુજબ, ટ્રસ્ટીઓ વચ્ચે મંતવ્યો વિભાજિત છે. ચંદ્રશેખરનના કાર્યકાળમાં કેટલીક પસંદગીની કંપનીઓના નબળા પ્રદર્શન અંગે હવે સવાલો ઉઠવા લાગ્યા છે અને તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે જ્યારે તમારા કામ પર આ રીતે આંગળીઓ ઉઠવા લાગે, ત્યારે પદ પર ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. આ જ કારણ છે કે તેઓ ‘ત્રીજી તક’ થી પાછા હટી શકે છે.
ખોટમાં ચાલતી 4 કંપનીઓ: ચંદ્રશેખરન માટે સૌથી મોટો પડકાર
ચંદ્રશેખરનના કાર્યકાળમાં ટાટા ગ્રુપએ ઘણા નવા ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું, પરંતુ તેમાંથી ચાર મુખ્ય વ્યવસાયોમાં મોટું નુકસાન જોવા મળ્યું છે. આ ખોટને કારણે જ નોએલ ટાટા અને અન્ય ટ્રસ્ટીઓને સવાલ પૂછવાની તક મળી છે:
-
એર ઇન્ડિયા (Air India): 2022 માં ટાટા પાસે પાછા આવ્યા પછી આ કંપની સતત ખોટમાં છે. તેને સુધારવા માટે મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પરિણામો હજુ અપેક્ષા મુજબ નથી.
-
ટાટા ડિજિટલ (Tata Digital): ‘સુપર એપ’ ન્યૂ (Neu) સાથે ડિજિટલ માર્કેટમાં પગપેસારો કરવાનો પ્રયાસ સફળ રહ્યો નથી અને તેમાં મોટા પ્રમાણમાં કેશ બર્ન (નાણાંનો વ્યય) થયો છે.
-
ટાટા પ્રોજેક્ટ્સ (Tata Projects): ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની આ કંપની પણ નાણાકીય દબાણનો સામનો કરી રહી છે.
-
ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics): ચિપ મેન્યુફેક્ચરિંગ જેવા નવા ક્ષેત્રમાં ઉતરવાનો ખર્ચ ઘણો વધારે છે, જેના કારણે હાલમાં ખોટ વધી રહી છે.
નોએલ ટાટાનું ‘શિસ્ત’ વિરુદ્ધ ચંદ્રશેખરની ‘ગ્રોથ’
ટાટા ટ્રસ્ટ્સ (જેની પાસે ટાટા સંસમાં લગભગ 66% હિસ્સો છે) ના ચેરમેન નોએલ ટાટા હવે સંપૂર્ણપણે નિયંત્રણ પોતાના હાથમાં લેતા દેખાઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં મળેલી બોર્ડ મીટિંગ, જેમાં ચંદ્રશેખરનની ત્રીજી ટર્મ પર મહોર લાગવાની હતી, તે નોએલ ટાટાના હસ્તક્ષેપને કારણે ટાળી દેવામાં આવી હતી.
નોએલ ટાટાનું વલણ સ્પષ્ટ છે: તેઓ નાણાકીય શિસ્ત (Financial Discipline) અને સંસાધનોના સચોટ ઉપયોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. બીજી તરફ, ચંદ્રશેખરનનું ફોકસ હંમેશા વિસ્તરણ અને આક્રમક ગ્રોથ પર રહ્યું છે. દ્રષ્ટિકોણનો આ તફાવત હવે એક મોટા વિરોધાભાસમાં ફેરવાઈ ગયો છે.
જૂનની બેઠક નક્કી કરશે ભવિષ્ય
ટાટા સંસના ચેરમેન તરીકે ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી 2027 સુધી છે. પરંતુ ટાટા ટ્રસ્ટ્સની આગામી બેઠક જૂનમાં થવાની છે, જેને ગ્રુપના ઇતિહાસની સૌથી મહત્વની બેઠકોમાંની એક માનવામાં આવે છે.
આ મીટિંગમાં તમામ ટ્રસ્ટીઓ નવા વ્યવસાયોમાં લગાવવામાં આવેલા ફંડ અને ખોટ ઘટાડવાના પ્લાનની કડક શબ્દોમાં સમીક્ષા કરશે. જો ચંદ્રશેખરન આ બેઠકમાં ટ્રસ્ટીઓને સંતુષ્ટ નહીં કરી શકે, તો ટાટા ગ્રુપમાં મોટા નેતૃત્વ પરિવર્તનનો પાયો નંખાઈ શકે છે.

