શું દાવા વગરના પૈસા અન્ય યોજનાઓમાં વપરાશે? નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આપ્યો લોકસભામાં જવાબ
દેશની અગ્રણી સરકારી નાણાકીય સંસ્થાઓ જેવી કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અને એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) માં વર્ષોથી જમા થયેલા અને દાવા વગર પડેલા (Unclaimed) હજારો કરોડ રૂપિયાના ભવિષ્યને લઈને ચાલતી તમામ અટકળોનો હવે અંત આવ્યો છે. દેશના નાગરિકો અને મીડિયા ક્ષેત્રે એવી ચર્ચાઓ અને ચિંતાઓ વ્યાપેલી હતી કે લાંબા સમયથી પડતર રહેલી આ જંગી રકમને કેન્દ્ર સરકાર અન્ય કોઈ સરકારી કે કલ્યાણકારી યોજનાઓ તરફ ટ્રાન્સફર કરી દેશે. જોકે, સરકારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સત્તાવાર નિવેદન આપીને આ અંગે ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે.
સંસદમાં નાણા મંત્રાલયનો સત્તાવાર જવાબ
લોકસભામાં રજૂ કરાયેલા એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, EPFO અથવા LIC માં દાવા વગર પડેલી રકમનો ઉપયોગ અન્ય કોઈ પણ સરકારી યોજના કે પ્રોજેક્ટ માટે કરવાનો સરકારનો કોઈ વિચાર કે પ્રસ્તાવ નથી.
તેમણે વીમા ક્ષેત્રના કાયદાકીય માળખાની વિગતો આપતાં સમજાવ્યું હતું કે, ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) ના સ્પષ્ટ નિયમો અનુસાર આ તમામ કામગીરી થાય છે. આ કાનૂની જોગવાઈઓ મુજબ, જો કોઈ વીમા પોલિસી પર સતત ૧૦ વર્ષ સુધી કોઈ દાવેદાર સામે ન આવે કે કોઈ દાવો કરવામાં ન આવે, તો તે રકમને વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભંડોળ (Senior Citizens’ Welfare Fund) માં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ નિયમબદ્ધ કાનૂની પ્રક્રિયા સિવાય આ નાણાંને અન્ય કોઈ યોજના તરફ વાળી શકાય નહીં.
નાણાંનો આંકડો અને વાસ્તવિક સ્થિતિ
સરકાર દ્વારા સંસદ સમક્ષ રજૂ કરવામાં આવેલા અધિકૃત આંકડા અનુસાર, બંને સંસ્થાઓ પાસે થઈને કુલ ₹૧૬,૬૪૯ કરોડથી વધુની રકમ દાવા વગર કે નિષ્ક્રિય સ્થિતિમાં પડેલી છે.
EPFO અંગે મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, કાયદાકીય શબ્દોમાં પીએફ ખાતાઓ માટે “દાવા વગરના ખાતા” જેવી કોઈ સત્તાવાર શ્રેણી નથી હોતી, પરંતુ આ ખાતાઓને “નિષ્ક્રિય ખાતા” (Inoperative Accounts) તરીકે ગણવામાં આવે છે. સત્તાવાર ડેટા મુજબ, હાલમાં આવા નિષ્ક્રિય EPF ખાતાઓમાં કુલ ₹૯,૩૩૦.૫૬ કરોડની આશ્ચર્યજનક રકમ જમા છે.
બીજી તરફ, દેશની સૌથી મોટી વીમા કંપની LIC ના આંકડા અનુસાર, ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં કંપની પાસે કુલ ₹૭,૩૧૮.૫૦ કરોડની રકમ દાવા વગરની બેલેન્સ તરીકે પડેલી હતી. આ કુલ રકમનું વિશ્લેષણ કરીએ તો તેમાંથી ₹૫,૫૬૪.૫૫ કરોડ મૂળ પોલિસીધારકોના જમા નાણાં છે, જ્યારે બાકીના ₹૧,૭૫૩.૯૫ કરોડ તે રકમ પર સમય જતાં ચડેલું વ્યાજ છે.
મૂળ માલિકો સુધી નાણાં પહોંચાડવા સરકારી પહેલ
સરકારે સંસદને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર, LIC અને EPFO સંયુક્ત રીતે આ દાવા વગરના નાણાં તેમના કાયદેસરના માલિકો અથવા તેમના વારસદારો (નોમિની) સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે સક્રિયતાથી કાર્ય કરી રહ્યા છે.
આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે LIC એ તેના સત્તાવાર વેબ પોર્ટલ પર એક વિશેષ વિન્ડો શરૂ કરી છે. આ સુવિધા દ્વારા સામાન્ય નાગરિકો પોતાની પોલિસી સંબંધિત સરળ વિગતો દાખલ કરીને અટવાયેલી કે દાવા વગરની રકમ શોધી શકે છે.
બીજી તરફ, EPFO એ પણ એક સરાહનીય પહેલ હાથ ધરી છે. પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા નિષ્ક્રિય ખાતાઓ માટે એક ખાસ પાયલોટ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ₹૧,૦૦૦ કે તેથી ઓછી બેલેન્સ ધરાવતા નાના નિષ્ક્રિય ખાતાઓની રકમ કોઈ પણ જટિલ કાગળકામ વગર સીધી જ ખાતાધારકના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.
સરકારનો મુખ્તવ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સામાન્ય નાગરિકોના મહેનતથી કમાયેલા આ નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને યોગ્ય ચકાસણી બાદ વગર કોઈ વિલંબે તેના સાચા લાભાર્થીઓ સુધી પહોંચી જાય.