માત્ર અજિત પવાર જ નહીં, સંજય ગાંધી અને માધવરાવ સિંધિયા સહિત આ રાજનેતાઓના પણ વિમાન અકસ્માતમાં થયા છે મોત: જુઓ સંપૂર્ણ યાદી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 66 વર્ષની વયે નિધન થયું છે. બુધવારે સવારે 8:45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું.
ભારતમાં સમયાંતરે થયેલા વિમાન અને હેલિકોપ્ટર અકસ્માતોમાં ઘણા મોટા રાજકીય નેતાઓ અને જાણીતી હસ્તીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરનો કિસ્સો અજિત પવારનો છે. આ ઘટનાઓએ માત્ર દેશને હચમચાવી દીધો નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે. ચાલો, તારીખ મુજબ આવી મોટી દુર્ઘટનાઓ પર નજર કરીએ:
જાન્યુઆરી 2026: અજિત પવાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 66 વર્ષની વયે અવસાન થયું. બુધવારે સવારે 8:45 કલાકે બારામતી એરપોર્ટ પર ઉતરાણ વખતે તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા હતા. પવાર પંચાયત ચૂંટણીના પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. મહારાષ્ટ્ર એવિએશન વિભાગના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ દરમિયાન રનવે સ્પષ્ટ દેખાયો ન હતો, ત્યારબાદ પાયલોટે પ્લેનને ફરીથી ઉપર ઉઠાવ્યું હતું, તે સમયે વિઝિબિલિટી લગભગ 2000 મીટર હતી.
જૂન 2025: વિજય રૂપાણી
અમદાવાદથી ઉડાન ભર્યાની થોડી જ વારમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા.
માર્ચ 2022: જી. એસ. બાલયોગી
તત્કાલીન લોકસભા અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના વરિષ્ઠ નેતા જી. એસ. બાલયોગીનું આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું.
ડિસેમ્બર 2021: જનરલ બિપિન રાવત
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બર, 2021ના રોજ તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું. આ અકસ્માતમાં તેમની પત્ની સહિત અન્ય ઘણા લોકોના પણ મોત થયા હતા.
એપ્રિલ 2011: દોરજી ખાંડુ
અરુણાચલ પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી દોરજી ખાંડુનું ચીન સરહદ નજીક એક અંતરિયાળ વિસ્તારમાં પવન હંસ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
સપ્ટેમ્બર 2009: વાય. એસ. રાજશેખર રેડ્ડી
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે જાણીતા વાય. એસ. રાજશેખર રેડ્ડી (YSR) નું નલ્લામાલા પહાડીઓમાં હેલિકોપ્ટર અકસ્માતમાં જીવ ગયો હતો.
માર્ચ 2005: ઓ. પી. જિંદાલ
ઉદ્યોગપતિ અને હરિયાણાના ઉર્જા મંત્રી ઓ. પી. જિંદાલનું ઉત્તર પ્રદેશના સહારનપુરમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું. આ અકસ્માતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેન્દ્ર સિંહનું પણ નિધન થયું હતું.
સપ્ટેમ્બર 2004: સાયપ્રિયન સંગમા
મેઘાલયના ગ્રામીણ વિકાસ મંત્રી સાયપ્રિયન સંગમા અને અન્ય 9 લોકોના પવન હંસ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયા હતા. આ અકસ્માત શિલોંગ પાસે બારપાણી તળાવ નજીક થયો હતો.
એપ્રિલ 2004: સૌંદર્યા
દક્ષિણ ભારતીય ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી કે. એસ. સૌમ્યા, જેઓ સૌંદર્યા તરીકે જાણીતા હતા, તેમનું 17 એપ્રિલ 2004ના રોજ વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
સપ્ટેમ્બર 2001: માધવરાવ સિંધિયા
કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાનું ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના ભોગાંવમાં ચાર્ટર્ડ વિમાન અકસ્માતમાં નિધન થયું હતું. તેઓ કાનપુરમાં એક રેલીને સંબોધવા જઈ રહ્યા હતા.
જૂન 1980: સંજય ગાંધી
પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું દિલ્હીમાં વિમાન અકસ્માતમાં મોત થયું હતું. તેમને તે સમયે રાજકારણનો ઉભરતો ચહેરો માનવામાં આવતો હતો.

