જિલ્લાની ગ્રામપંચાયતોમાં યોજાયેલી ગ્રામસભામાં પણ રક્તપિત નાબૂદીની પ્રતિજ્ઞા લેવાઈ
વલસાડ જિલ્લો રકત્તપિત્ત નાબુદીના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરીથી સ્પર્શ રકતપિત્ત જનજાગૃતિ અભિયાન (SLAC)નો પ્રારંભ થઈ ચૂકયો છે. આ અભિયાન તા. ૧૩ ફેબ્રુઆરી સુધી જિલ્લામાં ચાલશે.
જિલ્લા રક્તપિત અધિકારી ડો. જયશ્રી ચૌધરીએ રકત્તપિત્ત રોગના ચિન્હો અને લક્ષણો અંગે જનજાગૃતિ ફેલાવતા જણાવ્યું કે, રકતપિત્ત જંતુજન્ય રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શ જ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું, રકતપિત્ત હોઇ શકે છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. રકતપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરો અને તેમને મદદ કરો. રકત્તપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના/ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિના મૂલ્યે કરવામાં આવે છે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિર અને સ્વૈચ્છિક સંસ્થાના સંગઠનો દ્વારા પણ આ અભિયાન હેઠળ રકતપિત્તના દર્દીઓને શોધી તેઓને નિઃશૂલ્ક સારવાર આપી સ્વસ્થ કરવાનું અભિયાન પૂરપાટ ઝડપે જિલ્લામાં ચાલી રહ્યુ છે. આ અભિયાન હેઠળ દરેક ગામોમાં આયોજિત ગ્રામસભામાં પણ રક્ત્તપિતના કલંકને નાબૂદ કરવા માટે સહિયારો સંકલ્પ લેવામાં આવ્યો છે.
