વલસાડ જિલ્લામાં તા. ૮ ડિસે. થી શરૂ થયેલા રક્તપિત્ત દર્દી શોધ અભિયાન (LCDC)ની પૂર્ણાહૂતિ

2 Min Read

આ અભિયાન દરમિયાન કુલ ૧૮૨૭ ટીમ દ્વારા જિલ્લામાંથી રક્તપિત્તના નવા ૨૦૦ દર્દી શોધી કઢાયા

વલસાડ જિલ્લાના તમામ ગામોમાં આશા વર્કર અને આરોગ્ય ખાતાની ટીમ ઘરે-ઘર જઇ ઘરના દરેક સભ્યોની તપાસ કરી હતી. જેમાં કુલ ૧૯૨૩ જેટલા શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા. આ સમગ્ર અભિયાન દરમિયાન ગામના આગેવાનો અને લોકોમાં પણ આ રોગ પ્રત્યે વિશેષ જાગૃતિ જોવા મળતા આ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો હતો.

સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના આ અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં આરોગ્ય તંત્ર સતત કટિબદ્ધ છે. તા. ૦૮ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો હતો. કુલ ૧૮૨૭ જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં આશા અને પુરુષ વોલન્ટીયરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા સર્વે કરી રક્તપિત્તના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં જિલ્લામાંથી રક્તપિત્તના ૨૦૦ નવા દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ૯૧ દર્દીઓ ચેપી રક્તપિતના અને ૧૦૯ દર્દીઓ બીનચેપી રક્તપિતના મળી આવતાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

- Advertisement -

IMG 20260105 WA0001.jpg

રક્તપિત્તના વહેલી તકે નિદાનથી વિકલાંગતા નિવારી શકાય છે

- Advertisement -

વલસાડ જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો.જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, હાલમાં રક્તપિત્તના નવા ૨૦૦ દર્દી શોધવામાં સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ રોગ સમયસરના નિદાન અને નિયમિત પૂરતી સારવારથી સંપૂર્ણપણે મટી શકે છે. આ રોગ વારસાગત નથી અને MDT ખૂબ જ અસરકારક છે અને વહેલી તકે નિદાનથી વિકલાંગતા નિવારી શકાય છે. ચેપી રક્તપિત્તમાં ૧૨ માસ એટલે એક વર્ષ અને બીનચેપી રક્તપિત્તમાં ૬ માસ સારવાર જરૂરી છે.

Share This Article