પ્રદૂષણ રોકવા નવા વર્ષે માત્ર 35 મિનિટ આતશબાજીની મંજૂરી
નવા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડાઓથી થતા અવાજ અને વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ 31 ડિસેમ્બરની રાત્રે ફટાકડા ફોડવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિયમોનું પાલન તમામ નાગરિકો માટે ફરજિયાત રહેશે. ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
માત્ર 35 મિનિટ માટે ફટાકડા ફોડવાની મંજૂરી
જાહેરનામા અનુસાર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાત્રે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી, એટલે કે માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. આ સમયગાળા બહાર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. અવાજ અને હવા પ્રદૂષણ નિયંત્રણમાં રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરે કડક પગલાં લીધાં છે. આગ, અકસ્માત અને અશાંતિ ટાળવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. શહેરમાં માત્ર પર્યાવરણમૈત્રી ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
વિદેશી અને હાનિકારક ફટાકડાઓ પર પ્રતિબંધ
નવા નિયમો મુજબ લાયસન્સ ધરાવતા વેપારીઓ જ PESO દ્વારા માન્ય ગ્રીન ફટાકડા વેચી શકશે. ઓનલાઇન ફટાકડા વેચાણ તેમજ વિદેશી અને ચાઈનીઝ તુક્કલના વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક બેરીયમયુક્ત ફટાકડા અને ફટાકડાની લડીના ઉપયોગ પર પણ રોક લગાવવામાં આવી છે.
100 મીટર વિસ્તાર સાયલન્ટ ઝોન જાહેર
હોસ્પિટલ, શાળાઓ, કોલેજો અને ધાર્મિક સ્થળોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. આ વિસ્તારોને સાયલન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત પેટ્રોલ પંપ, ગેસ ગોડાઉન અને ગીચ બજાર વિસ્તારોમાં પણ આતશબાજી પર પ્રતિબંધ રહેશે. જાહેર સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે આ નિર્ણયનો મુખ્ય હેતુ છે.

