સોનાના શોખીનો માટે ખુશખબર: ઘરમાં પડેલા સોના પર બેંકની જેમ મળશે વ્યાજ, કેન્દ્ર સરકાર લાવશે સુધારેલી યોજના
ભારતીય પરિવારોમાં સોના પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. દરેક નાના-મોટા પ્રસંગે સોનું ખરીદવું એ આપણી પરંપરા અને રોકાણનો એક મુખ્ય હિસ્સો રહ્યો છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરની તિજોરીમાં કે બેંકના લોકરમાં ધૂળ ખાતું સોનું તમને દર મહિને નિયમિત કમાણી કરાવી આપી શકે છે? જી હા, દેશમાં સોનાની આકાશ આંબતી માંગ અને વિદેશોમાંથી થતી સતત આયાતને અટકાવવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ એક ક્રાંતિકારી પગલું ભરવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આગામી બે અઠવાડિયામાં ‘ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ’ (GMS) ની એક તદ્દન નવી અને અત્યંત આકર્ષક આવૃત્તિ રજૂ કરી શકે છે. આ નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ઘરોમાં રહેલા સોનાને દેશની નાણાકીય વ્યવસ્થામાં લાવીને દેશના અર્થતંત્રને મજબૂત કરવાનો છે. અંદાજ છે કે આ નવી સિસ્ટમ દ્વારા બજારમાં ૧,૦૦૦ ટનથી વધુ સોનું લાવી શકાશે.
હવે બેંકના ધક્કા નહીં ખાવા પડે, ઝવેરીઓ જ બનશે કલેક્શન પાર્ટનર
બિઝનેસ મીડિયા ‘મનીકન્ટ્રોલ’ ના અહેવાલ મુજબ, અગાઉની યોજનાની સરખામણીએ આ વખતે સરકાર એક બહુ જ મોટો અને વ્યાપારિક ફેરફાર કરવા જઈ રહી છે. સામાન્ય રીતે ભારતના લોકોને બેંકના નિયમો અને કાગળિયાં કરતાં પોતાના લોકલ જ્વેલર્સ (ઝવેરીઓ) પર વધુ વિશ્વાસ હોય છે અને તેમની સાથે પેઢીઓ જૂના સંબંધો હોય છે. લોકોની આ માનસિકતાને ધ્યાનમાં રાખીને, નવી યોજના હેઠળ હવે માત્ર બેંકો જ નહીં, પરંતુ દેશભરના પ્રખ્યાત અને પ્રમાણિત ઝવેરીઓને પણ ‘કલેક્શન પાર્ટનર’ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
આ વ્યવસ્થા હેઠળ, ગ્રાહકો પોતાના ઘરનું સોનું સીધું જ વિશ્વાસુ ઝવેરી પાસે જમા કરાવી શકશે. ત્યારબાદ આ ઝવેરીઓ તે સોનાને સરકારી ઓથોરાઇઝ્ડ રિફાઇનર્સ અને બેંકો સુધી પહોંચાડશે. આ સરળ પ્રક્રિયાને કારણે ગ્રાહકોનો સમય બચશે અને યોજનાની સફળતાના ચાન્સ અનેકગણા વધી જશે.

માત્ર ૫% સોનું પણ દેશની આર્થિક સ્થિતિ બદલી શકે છે
ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન (AIJGF) ના આંકડા અનુસાર, જો ભારતીય પરિવારો પોતાના ઘરમાં રાખેલા કુલ સોનાના માત્ર ૫% ભાગને પણ આ નવી યોજના હેઠળ બેંક કે ઝવેરીઓ પાસે જમા કરાવી દે, તો તેનાથી ભારતીય બજારમાં આશરે $૮૦ થી $૯૦ બિલિયન (એટલે કે અંદાજે ₹૭ થી ૮ લાખ કરોડ રૂપિયા) ની જંગી રોકડ પ્રવાહિતા (Liquidity) ઊભી થઈ શકે છે. આ નાણાંનો ઉપયોગ દેશના ઉદ્યોગોને લોન આપવામાં અને બેંકિંગ સિસ્ટમને વધુ સદધર બનાવવામાં થઈ શકે છે. સૌથી મોટો ફાયદો એ થશે કે ભારતને દર વર્ષે અબજો રૂપિયા ખર્ચીને બહારના દેશોમાંથી સોનું આયાત કરવું નહીં પડે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ બને ત્યાં સુધી એક વર્ષ માટે સોનાની નવી ખરીદી મુલતવી રાખે. ભારત વિશ્વમાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રાહક છે. દર વર્ષે સોનાની આયાત પાછળ દેશનું કિંમતી વિદેશી હૂંડિયામણ (Foreign Exchange Reserve) વપરાઈ જાય છે, જેના લીધે ભારતીય રૂપિયા પર દબાણ વધે છે અને વેપાર ખાધ પણ મોટી થાય છે.
વર્ષ ૨૦૧૫ ની સ્કીમ કેમ નિષ્ફળ ગઈ હતી?
આ અગાઉ વર્ષ ૨૦૧૫ માં પણ સરકારે આવી જ એક ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લોન્ચ કરી હતી, જેમાં સોનું જમા કરાવવા બદલ વાર્ષિક ૨.૨૫% થી ૨.૫૦% સુધીનું વ્યાજ અપાતું હતું અને મુદત પૂરી થતાં સોનું અથવા રોકડા પૈસા પાછા મેળવવાનો ઓપ્શન હતો. પરંતુ, વિતેલા ૧૦ વર્ષમાં આ યોજના હેઠળ માત્ર ૩૮ ટન સોનું જ જમા થઈ શક્યું. જ્યારે એક અંદાજ મુજબ ભારતના ઘરો અને મંદિરોમાં ૨૫,૦૦૦ ટનથી વધુ સોનું નિષ્ક્રિય પડ્યું છે.
આ યોજના નિષ્ફળ જવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો પોતાની માતા-નાનીના જમાનાના ભાવનાત્મક દાગીનાને ઓગાળવા માટે તૈયાર નહોતા. ઉપરાંત, બેંકોની જટિલ પ્રક્રિયાઓ, વ્યાજનો ઓછો દર અને સોનું જમા કરાવતા જ આવકવેરા વિભાગ (Income Tax) ની નોટિસ આવશે તેવો ડર લોકોને સતાવતો હતો.

નવી યોજનાથી દેશને અને તમને શું થશે ફાયદો?
નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર આ વખતે ટેક્સના નિયમો સરળ બનાવે અને ગ્રાહકોને જ્વેલર્સ મારફતે આકર્ષક વ્યાજ દર ઓફર કરે, તો આ સ્કીમ સુપરહિટ થઈ શકે છે. જો બજારમાં ૧,૨૫૦ ટન સોનું પણ આવી જાય, તો ભારત આગામી બે વર્ષ સુધી સોનાની આયાત સંપૂર્ણ બંધ કરી શકે છે. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલર સામે આપણો રૂપિયો ઘણો મજબૂત બનશે. ગ્રાહકો માટે ફાયદો એ છે કે લોકરમાં પડેલું સોનું ચોરી થવાનો ભય નહીં રહે અને તેના પર વ્યાજ સ્વરૂપે વધારાની કમાણી પણ થતી રહેશે.