અમેરિકા-ઈરાન સંઘર્ષમાં મધ્યસ્થી બનીને શું પાકિસ્તાન પોતાની છબી સુધારશે?
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિનાશક જંગને રોકવા માટે હવે પાકિસ્તાને સક્રિય ભૂમિકા ભજવવાનો સંકેત આપ્યો છે. યુદ્ધ શરૂ થયાને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે અને જાનમાલનું ભારે નુકસાન થયું છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે એક મહત્વપૂર્ણ નિવેદન જારી કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે.
શાહબાઝ શરીફનો ‘X’ પર શાંતિ સંદેશ
વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, “પાકિસ્તાન મધ્ય પૂર્વમાં યુદ્ધને વાતચીત દ્વારા સમાપ્ત કરવાના ચાલી રહેલા પ્રયાસોનું સ્વાગત કરે છે. અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર મધ્ય પૂર્વ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત થાય.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ પ્રાથમિક સમજૂતી થાય, તો પાકિસ્તાન બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ અને નિર્ણાયક વાટાઘાટોનું આયોજન કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
Pakistan welcomes and fully supports ongoing efforts to pursue dialogue to end the WAR in Middle East, in the interest of peace and stability in region and beyond. Subject to concurrence by the US and Iran, Pakistan stands ready and honoured to be the host to facilitate…
— Shehbaz Sharif (@CMShehbaz) March 24, 2026
ત્રણ અઠવાડિયાનો ભીષણ સંઘર્ષ
નોંધનીય છે કે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર સેંકડો મિસાઈલો અને એટેક ડ્રોનથી હુમલા કર્યા છે. આ હુમલાઓમાં ઈરાનના કમાન્ડરો અને અનેક નાગરિકોના મોત થયા છે. વળતા પ્રહારમાં ઈરાને પણ અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. આ વૈશ્વિક તણાવ વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થીની દરખાસ્ત રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે.
પાકિસ્તાન કેમ બનવા માંગે છે મધ્યસ્થી?
રાજકીય વિશ્લેષકો માને છે કે પાકિસ્તાન આ તકનો ઉપયોગ પોતાની આંતરરાષ્ટ્રીય છબી સુધારવા અને અમેરિકા તથા ઈરાન બંને સાથેના સંબંધો સંતુલિત કરવા માટે કરી રહ્યું છે. પાકિસ્તાનના ઈરાન સાથે ભૌગોલિક સંબંધો છે અને અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી છે. શાહબાઝ શરીફે જણાવ્યું કે, “આ પાકિસ્તાન માટે સન્માનની વાત હશે જો અમે આ સંઘર્ષનો વ્યાપક ઉકેલ લાવવામાં મદદરૂપ થઈ શકીએ.”
વૈશ્વિક ઉર્જા સંકટ અને શાંતિની આશા
આ યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત થઈ છે અને વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત બાદ પાકિસ્તાનનું આ નિવેદન સૂચવે છે કે હવે તમામ પાડોશી દેશો આ યુદ્ધનો અંત ઈચ્છી રહ્યા છે. જો ઇસ્લામાબાદમાં આ પ્રકારની કોઈ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાય, તો તે ૨૦૨૬ની સૌથી મોટી રાજદ્વારી ઘટના બની શકે છે.
પાકિસ્તાનની આ દરખાસ્ત પર હવે વોશિંગ્ટન અને તેહરાન શું પ્રતિક્રિયા આપે છે તેના પર વિશ્વની નજર છે. જોકે, ઈરાને હાલમાં જ અમેરિકા સાથેની કોઈ પણ સીધી વાતચીતનો ઈનકાર કર્યો છે, પરંતુ પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશની મધ્યસ્થી કદાચ બરફ ઓગાળવામાં મદદરૂપ થઈ શકે છે.