સોનિયા ગાંધી પર વંદે માતરમ અટકાવવાનો આરોપ, કોંગ્રેસની સ્પષ્ટતા: ‘આ દાવો ખોટો, નવા કાયદા મુજબ જ ગવાયું’
દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલય ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમના ગાનને લઈને એક નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે કાર્યક્રમ દરમિયાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સંપૂર્ણ વંદે માતરમ ગાવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને અધવચ્ચે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ મુદ્દે કોંગ્રેસ પક્ષ તરફથી સત્તાવાર સ્પષ્ટતા આવી ગઈ છે. કોંગ્રેસના સીનિયર નેતા જયરામ રમેશે ભાજપના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.
જયરામ રમેશે ખુલાસો કરતા જણાવ્યું કે સોનિયા ગાંધીએ વંદે માતરમ ગાતા કોઈને અટકાવ્યા ન હતા, પરંતુ તેઓ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી લાવવાની વાત કરી રહ્યા હતા, કારણ કે ખડગેજી લાંબા સમયથી ઊભા હતા. ભાજપ દ્વારા લગાવવામાં આવી રહેલો આરોપ રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કાર્યક્રમમાં નવા નિયમો અને કાયદા મુજબ જ પૂરેપૂરું વંદે માતરમ ગાવવામાં આવ્યું હતું અને તેમાં કોઈ જ વિક્ષેપ પડ્યો ન હતો. કોંગ્રેસના અન્ય નેતા પવન ખેડાએ પણ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે કોંગ્રેસ કાર્યાલયમાં યોજાયેલા આ પ્રોટોકૉલ દરમિયાન ગાનમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી થઈ ન હતી.

નવા કાયદા મુજબ જ થયું વંદે માતરમનું ગાન
કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે કાર્યક્રમમાં વંદે માતરમનું પૂર્ણ સન્માન સાથે ગાન કરવામાં આવ્યું હતું અને તેને રોકવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. નક્કી કરેલા પ્રોટોકૉલ અને નવા કાયદાની જોગવાઈઓ મુજબ જ આખો કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર ભાજપના કેટલાક લોકો દ્વારા વિડિયોની પસંદગીગીરીની ક્લિપ વાયરલ કરીને સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે, જે બિલકુલ યોગ્ય નથી.
શું છે વંદે માતરમ અંગેનો નવો કાયદો?
તાજેતરમાં જ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ ટુ નેશનલ ઓનર (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૬ પસાર કરવામાં આવ્યું હતું. તેને બંને ગૃહમાં મંજૂરી મળ્યા બાદ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સ્વીકૃતિ મળ્યા પછી આ નવો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ વંદે માતરમને રાષ્ટ્રીય સન્માન સાથે જોડાયેલા કાયદાકીય માળખામાં વધારાનું રક્ષણ આપવામાં આવ્યું છે. નવી જોગવાઈઓ મુજબ, વંદે માતરમના ગાનનું અનાદર કરવું કે તેમાં જાણી જોઈને વિઘ્ન નાખવું એ શિક્ષાપાત્ર ગુનો બન્યો છે. આ કાયદા દ્વારા રાષ્ટ્રીય ગીતને કાયદાકીય સંરક્ષણની બાબતમાં રાષ્ટ્રગીત જન ગણ મન ની સમકક્ષ લાવવાનો પ્રયાસ કરાયો છે.
સંપૂર્ણ વંદે માતરમ ગાવાનો વિવાદ કેમ જન્મ્યો?
સરકાર દ્વારા રાષ્ટ્રીય ગીતના ગાન માટે એક નવો પ્રોટોકૉલ પણ જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયની નવી માર્ગદર્શિકા અનુસાર, સત્તાવાર સરકારી કાર્યક્રમો અને શાળાઓમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની માત્ર શરૂઆતની બે કડીઓને બદલે તમામ છ કડીઓ ધરાવતું પૂર્ણ સ્વરૂપ ગાવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે, જેનો સમયગાળો આશરે ૩ મિનિટ ૧૦ સેકન્ડનો છે. નવા નિયમો હેઠળ કેટલાંક વિશિષ્ટ સરકારી સમારંભોમાં તેને રાષ્ટ્રગીતની સાથે ચોક્કસ ક્રમમાં વાગડવા કે ગાવા માટેની સુનિશ્ચિત વ્યવસ્થા કરવામાં આવી છે.
શશિ થરૂરે અનિવાર્ય ગાન સામે ઉઠાવ્યા પ્રશ્નો
વંદે માતરમના પૂર્ણ સ્વરૂપને ફરજિયાત ગાવાના આ ફેરફાર સામે દેશમાં રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વંદે માતરમના આ પ્રકારે અનિવાર્ય ગાન અંગે પોતાના વિચારો રજૂ કરતા સવાલો ઉઠાવ્યા છે. તેમણે દલીલ કરી હતી કે કોઈપણ ગીત કે પ્રતીક પ્રત્યેનું સન્માન માત્ર કાયદાઓ બનાવીને જાગૃત કરી શકાતું નથી. આ ઉપરાંત, ખૂબ જ લાંબા ચાલતા સાર્વજનિક કાર્યક્રમોમાં લોકોને આટલો લાંબો સમય ઊભા રહેવામાં વ્યવહારુ મુશ્કેલીઓ પણ પડી શકે છે.
