આત્મનિર્ભર ભારતને દિશા આપતું સ્વદેશોત્સવ, પ્રદર્શનથી લઈને સેમિનારો સુધી વિશાળ આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આગળ ધપાવતી એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’ નું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું. સ્વર્ણિમ જાગરણ મંચ અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે આ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર સમારોહમાં વિશેષ ઉર્જાનો સંચાર થયો.
પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવમાં સ્વદેશી શક્તિનું દર્શન
સ્વદેશોત્સવ ૦૫ ડિસેમ્બરથી શરૂ થઈને ૦૯ ડિસેમ્બર સુધી ચાલશે અને તેમાં સ્વદેશી વિચારધારાનો વ્યાપક પરિચય કરાવતી ‘સ્વાનુભૂતિ પ્રદર્શની’ નો પણ સમાવેશ છે. ગૃહમંત્રી અમિત શાહે આ પ્રદર્શનીને ખુલ્લી મૂકતા જણાવ્યું કે ભારતીય કલા, હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોને નવું પ્લેટફોર્મ મળ્યુ છે. પ્રદર્શનમાં દેશના વિવિધ ભાગોમાંથી આવેલા કારાગીરો અને ઉત્પાદકોને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરવાની તક મળી રહી છે.
જ્ઞાન, નવીનતા અને જાગૃતિ માટે રોજના વિશેષ સેમિનારો
આ મહોત્સવમાં વિવિધ દિવસોને વિવિધ વિષયોને અર્પણ કરવામાં આવ્યા છે, જેમાં પર્યાવરણ, સ્ટાર્ટઅપ્સ, માતૃશક્તિની ભૂમિકા, સાયબર સુરક્ષા, આયુર્વેદ, બૌદ્ધિક માલિકીના અધિકારો અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ ઉપર ચર્ચાસત્રો યોજાઈ રહ્યા છે. ૫ થી ૯ ડિસેમ્બર સુધી ચાલી રહેલા આ સેમિનારો જ્ઞાનવર્ધક અને વિચારપ્રેરક બની રહ્યા છે, જે યુવા પેઢીને નવી દિશાઓ પ્રદાન કરશે. સેમિનારોમાં નિષ્ણાતો પોતાના અનુભવ અને વિચારો રજૂ કરી રહ્યા છે.
સ્વદેશી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો
સ્વદેશોત્સવ માત્ર પ્રદર્શન અને સેમિનારો પૂરતો મર્યાદિત નથી, પરંતુ દરરોજ સાંજે ૭ થી ૧૦ વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. લોકસંગીત, નૃત્ય અને વિવિધ કળાત્મક રજૂઆતોથી આ મંચ સજીવન બની રહ્યો છે. સ્થાનિક તેમજ રાષ્ટ્રીય કલાકારોની ભાગીદારીથી મહોત્સવનું આકર્ષણ વધુ ઊંચું થયું છે. લોકો ઉલ્લાસપૂર્વક આ કાર્યક્રમોમાં જોડાઈને ભારતીય કલા અને સંસ્કૃતિનો આનંદ લઈ રહ્યા છે.
સ્વદેશી ઉત્પન્નોને સમર્પિત વિશાળ મંચ
ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાયેલ આ પાંચ દિવસીય મહોત્સવ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા અને લોકો સુધી તેમની કિંમત પહોંચાડવાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ રહ્યુ છે. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ જાગરણ મંચના પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા, જે આ અભિયાનને વધુ મજબૂત બનાવે છે. સ્વદેશી ભાવનાને જનજન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ રાજ્યમાં વિશેષ પ્રતિસાદ મેળવી રહ્યો છે.

