કાઠમંડુમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ: સોશિયલ મીડિયા બૅન સામે Gen-Zનો પ્રચંડ વિરોધ
નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના સરકારી નિર્ણય સામે જનરલ-ઝેડ (Gen-Z) દ્વારા શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજધાની કાઠમંડુમાં હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. સરકારી અહેવાલ અને પોલીસના નિવેદનો અનુસાર, આ અથડામણમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જોકે અગાઉના અહેવાલોમાં આ આંકડો ઓછો દર્શાવવામાં આવ્યો હતો.
શું છે વિવાદનું કારણ?
નેપાળ સરકારે 2024માં એક કાયદો લાગુ કર્યો હતો, જે મુજબ દેશમાં કાર્યરત તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ નેપાળમાં સ્થાનિક કચેરી સ્થાપવી અને કરદાતા તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. આ નિયમનું પાલન ન કરનાર પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપવામાં આવી હતી. આ નિયમના પાલન માટે 28 ઓગસ્ટથી 7 દિવસનો સમય અપાયો હતો, જે 2 સપ્ટેમ્બરના રોજ પૂરો થયો.
આ નિયમના પાલન ન કરવાને કારણે, 3 સપ્ટેમ્બરના રોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિત કુલ 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો. આ જ નિર્ણય વિરોધ પ્રદર્શનોનું મુખ્ય કારણ બન્યો છે.
#WATCH | Nepal | Protest turned violent in Kathmandu as people staged a massive protest outside Kathmandu Parliament against the ban on Facebook, Instagram, WhatsApp and other social media sites, leading to clashes between police and protesters. pic.twitter.com/XsGv1u6UFY
— ANI (@ANI) September 8, 2025
કાઠમંડુમાં પરિસ્થિતિ વણસી
સોમવાર, 8 સપ્ટેમ્બરે કાઠમંડુમાં પરિસ્થિતિ વધુ વણસી. હજારો યુવાનોએ સંસદ ભવન તરફ કૂચ કરી અને સંસદના ગેટ નંબર 1 અને 2 પર કબજો જમાવી લીધો. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયર ગેસ અને પાણીનો છંટકાવ કર્યો. વિરોધ દરમિયાન સંસદ ભવનના ગેટ નંબર 2 પર આગ પણ લાગી હોવાના અહેવાલ છે.
સેનાની તૈનાતી અને કર્ફ્યુ
વધતી હિંસાને જોતા નેપાળ સરકારે તાત્કાલિક સુરક્ષા બેઠક બોલાવી હતી. ત્યારબાદ, કાઠમંડુમાં રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને તૈનાત કરવામાં આવી છે. સંસદ ભવન ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના નિવાસસ્થાન નજીક પણ સુરક્ષા કડક કરવામાં આવી છે.
વિરોધ કરનારાઓનો પક્ષ
એક વિરોધકર્તાએ જણાવ્યું કે તેમનો વિરોધ શાંતિપૂર્ણ હતો, પરંતુ પોલીસે હિંસા શરૂ કરી અને ગોળીબાર પણ કર્યો. તેમણે આ પગલાને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ભ્રષ્ટાચાર વિરોધી વિરોધને દબાવવાના પ્રયાસ તરીકે ગણાવ્યો. તેમના કહેવા મુજબ, આ સરકારી ક્રૂરતા છે અને લોકો પર પોતાની શક્તિ લાદવાનો પ્રયાસ છે.
મૃત્યુનો આંક
પોલીસના જણાવ્યા મુજબ, વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જોકે, અગાઉના અહેવાલોમાં આ સંખ્યા છ હોવાનું જણાવાયું હતું, જેમાંથી ચારના મોત નેશનલ ટ્રોમા સેન્ટરમાં અને બેના મોત સિવિલ હોસ્પિટલમાં થયા હતા. મૃત્યુનો ચોક્કસ આંકડો હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે.
