‘જો અમે એક દિવસ પણ યુદ્ધ કરીશું તો પાકિસ્તાનનો નકશો બદલી નાખીશું’, હક્કાનીની આસિમ મુનીરને ખુલ્લી ચેતવણી
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને આકરી ચેતવણી આપતા પાકિસ્તાનનો નકશો બદલી નાખવાની ધમકી આપી છે. હક્કાનીએ મુનીરને ઈતિહાસ યાદ રાખવાની સલાહ આપીને કહ્યું છે કે અફઘાનિસ્તાન કોઈ પણ આક્રમણનો સામનો કરવા તૈયાર છે.
ખોસ્તમાં શુક્રવારની નમાજ બાદ હુંકાર
અહેવાલ મુજબ, સિરાજુદ્દીન હક્કાનીએ શુક્રવારે ખોસ્તમાં જુમાની નમાજ બાદ જનમેદનીને સંબોધિત કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં (ખુતબામાં) કહ્યું કે, અફઘાન લોકો હવે પાકિસ્તાન વિરુદ્ધ લડવા માટે એકજૂટ છે. તેમણે પાકિસ્તાની નેતૃત્વને ચેતવણી આપતા કહ્યું, “જો અમે NATO વિરુદ્ધ લડ્યા હતા તેમ એક દિવસ માટે પણ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ છેડી દઈશું, તો પાકિસ્તાનનો નકશો હંમેશા માટે બદલાઈ જશે.”
‘મુનીર ભૂતકાળની ભૂલોમાંથી શીખે’
હક્કાનીએ પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર પર નિશાન સાધતા કહ્યું કે, જો મુનીર પોતાની અગાઉની ભૂલોમાંથી પાઠ નહીં શીખે તો પાકિસ્તાને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે ઉમેર્યું કે, “મુનીરે તેના પૂર્વજોને પૂછવું જોઈએ અને યાદ કરવું જોઈએ કે અફઘાનિસ્તાને પોતાના બલિદાન અને સંઘર્ષના બળે અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી હતી.” હક્કાનીના મતે પાકિસ્તાની સેનાનો અહંકાર તેમને વિનાશ તરફ દોરી જશે.
સીમા પર યુદ્ધ જેવી સ્થિતિ
નોંધનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં બંને દેશો વચ્ચે હિંસામાં મોટો ઉછાળો આવ્યો છે. અફઘાનિસ્તાને પાકિસ્તાની સરહદ પર વળતો હુમલો કર્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ અને કંધારમાં એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલ છે. બંને દેશો અત્યારે એકબીજા પર હુમલા તેજ કરી રહ્યા છે અને સરહદી વિસ્તારોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે.
પાકિસ્તાનનો પક્ષ: ‘અમારી ધીરજ ખૂટી ગઈ છે’
બીજી તરફ, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તાલિબાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, “NATO સેનાની વાપસી બાદ અમને આશા હતી કે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાશે અને તાલિબાન પ્રાદેશિક સ્થિરતા પર ધ્યાન આપશે. પાકિસ્તાને વર્ષો સુધી અફઘાન શરણાર્થીઓને આશ્રય આપીને સકારાત્મક ભૂમિકા ભજવી હતી, પરંતુ હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. હવે જંગ છેડાઈ ગઈ છે.”

