ગ્રામ વિકાસ અને સ્વચ્છતાલક્ષી માળાખા સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, સાવરકુંડલામાં માર્ગદર્શન કાર્યક્રમ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં ‘નિર્મલ ગુજરાત ૨.૦’ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિવિધ ગામના સરપંચો, તલાટી મંત્રીઓ અને અલગ-અલગ વિભાગના અધિકારીઓને ગ્રામ વિકાસ તેમજ સ્વચ્છતાલક્ષી માળખાકીય સુવિધાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બને અને ગામડાઓ સુવિધાયુક્ત બને તે હેતુથી આ તાલીમનું આયોજન તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને ખેડૂતો સાથે સંવાદ
વર્કશોપ દરમિયાન સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો માટે પરિસંવાદ, સેમિનાર અને મોડેલ ફાર્મની મુલાકાતો જેવા કાર્યક્રમો સતત યોજાઈ રહ્યા છે. ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને કુદરતી ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પદ્ધતિ દ્વારા ખેતીના વિવિધ આયામો વિશે ખેડૂતોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તાલીમ આપીને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ખર્ચ ઘટાડતી અને પર્યાવરણ લક્ષી ખેતીના ફાયદા
આ વર્કશોપમાં પ્રાકૃતિક ખેતી દ્વારા રોગ અને જીવાત પર કેવી રીતે કાબૂ મેળવવો, જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારવી અને ખેતીનો ખર્ચ કેવી રીતે ઘટાડવો તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ પર્યાવરણના સંરક્ષણ માટે પણ અનિવાર્ય છે. આવી તાલીમથી ખેડૂતોને ટકાઉ અને પર્યાવરણ મિત્ર ખેતી તરફ આગળ વધવાની પ્રેરણા મળશે, જે ભવિષ્યમાં ખેતી ક્ષેત્રે મોટા પરિવર્તનનું કારણ બનશે.
