ઈદ-ઉલ-ફિત્ર ૨૦૨૬: ભારત, સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં ચાંદ જોવા અંગેના અપડેટ્સ; જાણો ક્યારે મનાવવામાં આવશે ઈદ
મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર ઈદ-ઉલ-ફિત્ર હવે આંગણે આવીને ઉભો છે. રમઝાન માસના પવિત્ર ઉપવાસ (રોઝા) પૂર્ણ થયા બાદ શવ્વાલ મહિનાનો નવો ચંદ્ર જોવા મળે તે સાથે જ ઈદની ઉજવણી શરૂ થાય છે. હાલમાં ભારત, સાઉદી અરેબિયા, યુએઈ અને પાકિસ્તાન સહિતના દેશોમાં ચાંદ જોવા માટેની ગતિવિધિઓ તેજ બની છે.
સાઉદી અરેબિયામાં આજે ચાંદ જોવાની અપીલ
આજે ૧૮ માર્ચના રોજ રમઝાન માસનો ૨૯મો દિવસ છે. સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે દેશના તમામ નાગરિકોને આજે સાંજે શવ્વાલનો ચાંદ જોવાની અપીલ કરી છે. જો આજે સાઉદીમાં ચંદ્ર દેખાશે, તો ત્યાં ૧૯ માર્ચના રોજ ઈદ મનાવવામાં આવશે. જોકે, જો આજે ચંદ્ર નહીં દેખાય, તો સાઉદીમાં ઈદ ૨૦ માર્ચના રોજ મનાવવામાં આવશે. કતાર અને કુવૈતમાં પણ ૧૮ અથવા ૧૯ માર્ચના રોજ ચાંદ દેખાય તેવી શક્યતા છે.
ભારતમાં ક્યારે થશે ઈદની ઉજવણી?
ભારતમાં ભૌગોલિક તફાવતને કારણે સામાન્ય રીતે સાઉદી અરેબિયાના એક દિવસ પછી ઈદ મનાવવામાં આવે છે. ભારતમાં ૧૯ માર્ચના રોજ સાંજે ચાંદ જોવાની કોશિશ કરવામાં આવશે. જો ૧૯મીએ ચાંદ દેખાશે, તો ભારતમાં ૨૦ માર્ચે ઈદ મનાવવામાં આવશે. પરંતુ જો ૧૯મીએ ચાંદ નહીં દેખાય, તો ઉપવાસનો આંકડો ૩૦ થશે અને ઈદ ૨૧ માર્ચના રોજ મનાવવામાં આવશે. સ્થાનિક હિલાલ કમિટીઓ દ્વારા ચાંદની પુષ્ટિ થયા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દુબઈની સ્થિતિ
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ૧૯ માર્ચના રોજ ચંદ્ર દેખાય તેવી પ્રબળ શક્યતા છે, જેને આધારે ત્યાં ૨૦ માર્ચે ઈદની ઉજવણી થઈ શકે છે. દુબઈ (UAE) માં પણ ખગોળીય ગણતરી મુજબ ૨૦ માર્ચના રોજ ઈદ પડવાની શક્યતા છે, પરંતુ અંતિમ નિર્ણય મૂન સાઈટીંગ કમિટીની બેઠક બાદ લેવામાં આવશે.
ઈદ-ઉલ-ફિત્ર ૨૦૨૬: સંભવિત તારીખો
| દેશ | ચાંદ જોવાની તારીખ | ઈદની સંભવિત તારીખ |
| સાઉદી અરેબિયા | ૧૮ માર્ચ, ૨૦૨૬ | ૧૯ માર્ચ, ૨૦૨૬ |
| ભારત | ૧૯ માર્ચ, ૨૦૨૬ | ૨૦ અથવા ૨૧ માર્ચ |
| દુબઈ (UAE) | ૧૯ માર્ચ, ૨૦૨૬ | ૨૦ માર્ચ, ૨૦૨૬ |
| પાકિસ્તાન | ૧૯ માર્ચ, ૨૦૨૬ | ૨૦ માર્ચ, ૨૦૨૬ |
| બાંગ્લાદેશ | ૧૯ માર્ચ, ૨૦૨૬ | ૨૦ માર્ચ, ૨૦૨૬ |
| ઈરાન | ૧૯ અથવા ૨૦ માર્ચ | ૨૦ અથવા ૨૧ માર્ચ |
મહત્વનો નિર્ણય: આ વર્ષે ખુલ્લા મેદાનમાં નમાઝ નહીં
એક મહત્વના સમાચાર મુજબ, આ વર્ષે ઈદની નમાઝ ખુલ્લા મેદાન કે ઈદગાહમાં પઢવાને બદલે માત્ર મસ્જિદોની અંદર જ અદા કરવામાં આવશે. ઇસ્લામિક બાબતોની જનરલ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, પ્રાદેશિક સંવેદનશીલતા અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બહાર નમાઝ પઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમ ખાસ કરીને અખાતી દેશોમાં ચુસ્તપણે લાગુ કરવામાં આવશે.

