બ્રેન સ્ટ્રોક પછીની રિકવરી: હોસ્પિટલથી ઘરે આવ્યા પછી પણ સાવધાની જરૂરી, નિષ્ણાતોએ આપી ખાસ ટિપ્સ
બ્રેન સ્ટ્રોક પછી મગજના કોષોને નુકસાન થાય છે, જેના કારણે શરીરના અંગોની હલનચલન, બોલવાની ક્ષમતા કે યાદશક્તિ પર અસર પડી શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી જો યોગ્ય ‘રિકવરી પ્લાન’ ન હોય, તો ફરીથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે.
રિકવરીનો ‘ગોલ્ડન પીરિયડ’ શું છે?
જેમ સ્ટ્રોક આવ્યા પછીની પહેલી થોડી મિનિટો સારવાર માટે મહત્વની છે, તેમ સાજા થવા માટે પણ એક ‘ગોલ્ડન પીરિયડ’ હોય છે. HCAH ના પ્રેસિડેન્ટ ડો. ગૌરવ ઠુકરાલ જણાવે છે કે, સ્ટ્રોક પછીના શરૂઆતના 6 થી 12 અઠવાડિયા રિકવરી માટે સૌથી સુવર્ણ સમય માનવામાં આવે છે.
આ સમય દરમિયાન આપણું મગજ ‘ન્યુરોપ્લાસ્ટી’ની અવસ્થામાં હોય છે. આ એક એવી સ્થિતિ છે જેમાં મગજ પોતાની જાતને ફરીથી વ્યવસ્થિત (Re-organize) કરવાની ક્ષમતા ધરાવે છે. જો આ સમયગાળામાં યોગ્ય કાળજી, કસરત અને થેરાપી મળે, તો દર્દીની સ્થિતિમાં અદ્ભુત સુધારો આવી શકે છે.
રિહેબિલિટેશન કેમ અનિવાર્ય છે?
ઘણીવાર લોકો દવાઓ તો સમયસર લે છે, પણ ફિઝિયોથેરાપી કે અન્ય કસરતોને ગંભીરતાથી લેતા નથી. ડો. ગૌરવના મતે, ભારતમાં રિહેબિલિટેશન સેવાઓનો વ્યાપ વધારવાની તાતી જરૂર છે. અત્યારે દેશમાં અંદાજે 1,200 જેટલા જ સ્ટ્રોક રિહેબિલિટેશન સેન્ટર છે, જે આપણી વસ્તીના પ્રમાણમાં ખૂબ જ ઓછા છે. યોગ્ય રિહેબ સેન્ટરની મદદથી દર્દી ફરીથી પોતાના પગ પર ઊભો રહી શકે છે અને રોજિંદા કામ જાતે કરી શકે છે.
ઝડપી રિકવરી માટેના અસરકારક ઉપાયો
જો તમારા ઘરમાં કોઈ બ્રેન સ્ટ્રોકમાંથી રિકવર થઈ રહ્યું હોય, તો નીચેની બાબતો ખાસ નોંધવા જેવી છે:
નિયમિત ફિઝિયોથેરાપી: હાથ-પગની હલનચલન પાછી લાવવા માટે ડોક્ટરે બતાવેલી કસરતોમાં જરા પણ આળસ ન કરો. ફિઝિયોથેરાપી સ્નાયુઓને જકડાઈ જતા અટકાવે છે.
સ્પીચ થેરાપી: જો દર્દીને બોલવામાં કે શબ્દો યાદ રાખવામાં તકલીફ પડતી હોય, તો સ્પીચ થેરાપિસ્ટની મદદ લો. આનાથી તેમની સંવાદ કરવાની ક્ષમતા સુધરશે.
ખોરાક અને ગળવાની સમસ્યા: ઘણા દર્દીઓને ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય છે. આવી સ્થિતિમાં ENT (કાન-નાક-ગળાના નિષ્ણાત) ની સલાહ લેવી જોઈએ જેથી ગૂંગળામણ કે અન્ય જોખમ ન રહે.
દવાઓમાં ચોકસાઈ: બ્લડ પ્રેશર અને લોહી પાતળું કરવાની દવાઓ ડોક્ટરના કહ્યા મુજબ જ લેવી. એક પણ ડોઝ ચૂકવો જોખમી સાબિત થઈ શકે છે.
માનસિક ટેકો: સ્ટ્રોક પછી દર્દી ઘણીવાર હતાશા કે ડિપ્રેશનમાં સરી પડે છે. તેમને સતત પ્રોત્સાહન આપો અને અનુભવ કરાવો કે તેઓ જલ્દી સાજા થઈ જશે.
સતત ફોલો-અપ છે જરૂરી
હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી નિયમિત ચેક-અપ કરાવતા રહેવું જોઈએ. ડોક્ટરો આ દરમિયાન જોશે કે મગજમાં લોહીનું પરિભ્રમણ કેવું છે અને રિકવરી કેટલી ઝડપથી થઈ રહી છે.

