ગુજરાતના ચાર મહાનગરોમાં હાલ કરફ્યુ રાત્રિ દરમિયાન છે. પરંતુ રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કરફ્યુ લાદવા વિચારી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરોમાં શનિવાર અને રવિવારના દિવસે એટલે કે સપ્તાહાંત દરમિયાન દિવસનો કરફ્યુ અમલી બનાવાશે. તદુપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટા પાયે ભંગ થતો જોવા મળે છે તેના પાનના ગલ્લા, ચાની કીટલી, નાસ્તા અને પાણીપૂરીની લારી અને સ્ટ્રીટફૂડના આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઇ શકે છે. હાલ આ મુજબની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, પરંતુ ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. દરમિયાન રાજ્યના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું છે કે રાજ્યમાં ફરી લૉકડાઉનના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે અને સરકારની આવી કોઈ વિચારણા નથી.
