સંસદનું ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત છતાં સમાપ્ત કેમ નહીં?
સંસદના ચોમાસુ સત્રને અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા બાદ પણ તેને ઔપચારિક રીતે સમાપ્ત (Prorogue) કરવામાં આવી રહ્યું ન હોવાનો મુદ્દો દેશના રાજકારણમાં ગરમાયો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે શુક્રવારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે, સરકાર કોઈ ચોક્કસ રાજકીય વ્યૂહરચના હેઠળ સત્રના ઔપચારિક સમાપનમાં જાણીજોઈને વિલંબ કરી રહી છે.
જયરામ રમેશે જણાવ્યું કે, સામાન્ય રીતે સંસદ ગૃહ અનિશ્ચિત સમય માટે સ્થગિત થાય અને સત્ર સત્તાવાર રીતે સમાપ્ત જાહેર કરાય તે બંને ઘટનાઓ વચ્ચે માંડ ત્રણ કે ચાર દિવસનો જ સમયગાળો હોય છે. જોકે, વર્ષ ૨૦૨૬ ના આ ચોમાસુ સત્રમાં આ તફાવત વધીને હવે ૨૯ દિવસથી વધુનો થઈ ગયો છે. આ સાથે જ સરકારે વર્ષ ૨૦૧૫ ના ચોમાસુ સત્ર દરમિયાન સ્થાપિત ૨૮ દિવસનો પોતાનો જ પાછલો રેકોર્ડ તોડી નાખ્યો છે.
બંધારણીય સુધારા બિલ અને રાજકીય ગણિતનો દાવો
કોંગ્રેસ સાંસદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વ્યૂહરચના પર સીધા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે સરકાર પ્રસ્તાવિત બંધારણ સુધારા બિલને પસાર કરાવવા માટે લોકસભામાં જરૂરી બે-તૃતીયાંશ બહુમતી મેળવવાના પ્રયાસો કરી રહી છે, જેના કારણે સત્રને ટેકનિકલી ખુલ્લું રાખવામાં આવ્યું છે.
રમેશના જણાવ્યા મુજબ, શાસક પક્ષ પાસે આ મહત્વપૂર્ણ બિલ પસાર કરાવવા માટે જરૂરી આંકડાકીય બહુમતીનો અભાવ છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે ૧૭ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ જે પક્ષોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, તેમના વલણને બદલવા માટે અને તેમને પોતાની તરફ કરવા માટે વિવિધ પ્રકારના દબાણ, ધાકધમકી અને પ્રલોભનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
तो आज मोदी सरकार ने 2015 में बनाए अपने ही रिकॉर्ड को तोड़ते हुए एक नया रिकॉर्ड कायम कर दिया है।
संसद को अनिश्चितकाल के लिए स्थगित किए जाने और उसके सत्रावसान के बीच का अंतर 29 दिन हो गया है। 2015 के मानसून सत्र में यह अंतर 28 दिनों का था। 2026 के मानसून सत्र में यह अंतर हर दिन…
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 11, 2026
વિપક્ષ સામે માનસિક યુક્તિ અને સસ્પેન્સ
કોંગ્રેસ નેતાએ દલીલ કરી હતી કે સરકાર જ્યારે પણ ઇચ્છે ત્યારે બંધારણીય જોગવાઈઓ મુજબ નવું સત્ર બોલાવી જ શકે છે, આમ છતાં સત્ર સમાપ્ત ન કરીને વિપક્ષ પર એક પ્રકારનું માનસિક દબાણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારી તંત્ર આ ભ્રમમાં છે કે સસ્પેન્સ જાળવી રાખવાથી વિપક્ષ હચમચી જશે, પરંતુ વિપક્ષી એકતા આવી યુક્તિઓ સામે મજબૂત રહેશે.
સીમાંકન પ્રક્રિયા પર પારદર્શિતાનો પ્રશ્ન
ચોમાસુ સત્ર ઉપરાંત જયરામ રમેશે દેશમાં પ્રસ્તાવિત સીમાંકન (Delimitation) પ્રક્રિયા અંગે પણ સરકારની કામગીરી સામે શંકા વ્યક્ત કરી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સીમાંકન જેવા અત્યંત સંવેદનશીલ અને ભારતીય પ્રજાસત્તાકના પાયા સમાન મુદ્દા પર તમામ પક્ષો વચ્ચે વ્યાપક રાજકીય સર્વસંમતિ સાધવા માટે સરકારે હજુ સુધી સર્વપક્ષીય બેઠક કેમ યોજી નથી?
તેમણે ઉમેર્યું કે વિપક્ષી દળો માર્ચ ૨૦૨૬ ના મધ્યથી જ આ વિષય પર સર્વપક્ષીય ચર્ચાની સતત માંગ કરી રહ્યા છે. સીમાંકન સંબંધિત દરખાસ્તોને ગુપ્ત રાખવા પાછળનું કારણ શું છે તે અંગે પણ તેમણે સ્પષ્ટતા માંગી હતી અને લોકશાહીના હિતમાં પારદર્શક ચર્ચા હાથ ધરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
