શું આગામી સમયમાં સામાન્ય ગ્રાહકો પર પણ લાગશે ચાર્જ? જયરામ રમેશે વ્યક્ત કરી મોટી આશંકા
દેશમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ના ઉપયોગ અને વેપારીઓ પર વસૂલવામાં આવનારા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના નવા નિયમોને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકી દબાણ સામે ઝૂકી રહ્યા છે અને યુએસ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે ભારતમાં UPI ચાર્જ લાદવાનો ચોરદરવાજેથી માર્ગ મોકળો કરી રહ્યા છે.
‘ગ્રાહકોના ખિસ્સા પર જ પડશે આડકતરો બોજ’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ મારફતે પોતાના વિચારો વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે ચૂપચાપ UPI પર ફી લાદવા માટેનો રસ્તો સાફ કરી દીધો છે. હવેથી ₹૨,૦૦૦ થી વધુ મૂલ્યના વેપારી UPI વ્યવહારો પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલી શકાશે.

રાહુલ ગાંધીએ ગણતરી રજૂ કરતા નોંધ્યું હતું કે, જોકે આવા ₹૨,૦૦૦ થી વધુના વ્યવહારો કુલ ટ્રાન્ઝેક્શનની સંખ્યાના માત્ર ૫ ટકા જેટલા જ છે, પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ (Transaction Value) તે UPI ના કુલ નાણાકીય વ્યવહારોનો આશરે ૬૫ ટકા જેટલો વિશાળ હિસ્સો ધરાવે છે.
કેન્દ્ર સરકારના એ દાવા સામે કે ગ્રાહકો પાસેથી કોઈ પ્રત્યક્ષ ફી વસૂલવામાં નહીં આવે, કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર ભલે ગમે તેટલા દાવા કરે કે ગ્રાહક પર ચાર્જ નહીં લાગે, પરંતુ જ્યારે દુકાનદાર કે વેપારી પર ફી લાદવામાં આવશે, ત્યારે તે રકમ આખરે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ઉમેરાશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે આડકતરી રીતે આ નાણાકીય બોજ સામાન્ય ગ્રાહકના ખિસ્સામાંથી જ જવાનો છે.
અમેરિકી પેમેન્ટ કંપનીઓ અને વિદેશી દબાણનો આક્ષેપ
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિઝા અને માસ્ટરકાર્ડ જેવી વિદેશી તથા અમેરિકી પેમેન્ટ કંપનીઓ લાંબા સમયથી ભારતની ‘ઝીરો-MDR’ નીતિનો વિરોધ કરી રહી હતી. હવે મોદી સરકાર તેમની માગણીઓ સામે નમી ગઈ છે અને વિદેશી દબાણમાં આવીને નીતિ બદલી રહી છે. તેમણે ભૂતકાળના ટ્રેડ ડીલનો સંદર્ભ આપતા વડાપ્રધાન પર ‘સમાધાનકારી વલણ’ અપનાવવાનો આક્ષેપ મૂક્યો હતો.
બીજી તરફ, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આ પગલું ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકી પેમેન્ટ જાયન્ટ્સને ખુશ કરવા માટે લેવામાં આવ્યું છે?
જયરામ રમેશે ધ્યાન દોર્યું હતું કે તાજેતરમાં ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, ૨૦૦૭’ હેઠળ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને માત્ર ₹૨,૦૦૦ થી ઓછી રકમના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલતા અટકાવવામાં આવ્યા છે. પરંતુ ₹૨,૦૦૦ થી વધુના વ્યવહારો પર ચાર્જ લાદવા અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સુરક્ષા કે કાનૂની મર્યાદા આપવામાં આવી નથી.

ભવિષ્યમાં સામાન્ય વ્યવહારો પર પણ ચાર્જની આશંકા
વિપક્ષી નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે સરકાર ભવિષ્યમાં અન્ય કોઈ ગેઝેટ કે જાહેરનામા મારફતે આ મર્યાદાઓમાં પણ ફેરફાર કરી શકે છે. જયરામ રમેશે દાવો કર્યો હતો કે સરકાર આગામી દિવસોમાં સામાન્ય નાગરિકો વચ્ચે થતા પર્સન-ટુ-પર્સન (P2P) UPI વ્યવહારો પર પણ ચાર્જ લાદવાની તૈયારી કરી રહી છે.
આમ, એક તરફ સરકાર નોન-ડિજિટલ અને ડિજિટલ પેમેન્ટ નેટવર્કને સુરક્ષિત અને ટકાઉ બનાવવા માટે નવી નીતિઓ લાવી રહી હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ વિપક્ષ તેને સામાન્ય જનતા પર આર્થિક પ્રહાર અને વિદેશી કંપનીઓ સામેનું સમર્પણ ગણાવી રહ્યો છે. ૧૫ ઓક્ટોબરથી અમલી બનનારા આ નિયમોને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બનવાની શક્યતા છે.
