Adani અદાણી પાવરના ૩૨૦૦ મેગાવોટ ક્ષમતાના આસામ પ્રકલ્પનો મુખ્ય મંત્રી હિમંતા બિસ્વ શર્માના હસ્તે શિલાન્યાસ
ઉત્તર-પૂર્વ ભારત અને ખાસ કરીને આસામના ઔદ્યોગિક તથા ઊર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક નવો અધ્યાય શરૂ થયો છે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસવા સરમાએ લોઅર આસામના ધુબરી જિલ્લા સ્થિત ચાપાર ખાતે અદાણી પાવર લિમિટેડ (APL) દ્વારા નિર્માણ પામનારા ૩,૨૦૦ મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ (USTPP) નો વિધિવત શિલાન્યાસ કર્યો હતો.
આશરે ₹૪૮,૦૦૦ કરોડના આંગીન રોકાણ સાથે આકાર લઈ રહેલો આ પ્રકલ્પ આસામના ઇતિહાસમાં એક જ ક્ષેત્રમાં કરવામાં આવેલા સૌથી મોટા રોકાણોમાંનો એક છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતામાં આત્મનિર્ભરતા આવશે. આ ઉપરાંત, નિર્માણના તબક્કામાં ૨૦,૦૦૦ અને પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ અંદાજે ૫,૦૦૦ કાયમી રોજગારી મળીને કુલ ૨૫,૦૦૦ લોકોને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો પૂરી પાડશે. આ શિલાન્યાસ સમારોહમાં આસામ સરકારના વરિષ્ઠ મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને અદાણી સમૂહના ડિરેક્ટર શ્રી જીત અદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આસામના ઊર્જા ક્ષેત્રમાં ₹૬૩,૦૦૦ કરોડનું કુલ રોકાણ અને ૨૦૩૦થી ઉત્પાદન
અદાણી સમૂહ દ્વારા આસામના ઊર્જા ક્ષેત્રને મજબૂત કરવા માટે કુલ ₹૬૩,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેનો આ ચાપાર પાવર પ્લાન્ટ એક અગત્યનો ભાગ છે. આધુનિક અલ્ટ્રા-સુપરક્રિટિકલ ટેક્નોલોજી પર આધારિત આ પ્લાન્ટમાં ૮૦૦-૮૦૦ મેગાવોટના ચાર અત્યાધુનિક યુનિટ્સ હશે, જે ઉચ્ચ કાર્યક્ષમતા અને પર્યાવરણીય સુરક્ષાના આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવશે. આ પાવર પ્લાન્ટ ડિસેમ્બર ૨૦૩૦થી તબક્કાવાર રીતે પોતાનું વીજ ઉત્પાદન શરૂ કરી દેશે.
આ સિવાય અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા ૨,૭૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા બે પમ્પડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાં ₹૧૫,૦૦૦ કરોડનું અલગથી રોકાણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના વીજ વિતરણ માળખાના આધુનિકીકરણ અને ક્ષતિ અટકાવવા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ પણ પૂરજોશમાં આગળ વધારવામાં આવી રહ્યો છે.

શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસવા સરમાએ જણાવ્યું હતું કે, “ચાપારનો આ ૩,૨૦૦ મેગાવોટનો પ્રકલ્પ ‘એડવાન્ટેજ આસામ રોકાણ શિખર ૨.૦’ દ્વારા સ્થપાયેલા રોકાણકારોના વિશ્વાસનું પ્રતીક છે. આ વિશાળ રોકાણથી આસામ ઊર્જા ક્ષેત્રનું હબ બનશે, અને તેનાથી સ્ટેટ જીએસટી (SGST) ની આવકમાં વધારો થવાની સાથે સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે.”
સ્થાનિક વેન્ડર ઇકોસિસ્ટમ અને સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ
અદાણી સમૂહના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ આ પ્રસંગને આસામના વિકાસની નવી યાત્રા ગણાવતા કહ્યું હતું કે, “આ પ્રકલ્પ ઘરો, વ્યવસાયો અને ઔદ્યોગિક એકમોને સસ્તી તથા સાતત્યપૂર્ણ વીજળી પૂરી પાડશે. આસામનું વિશિષ્ટ ભૌગોલિક સ્થાન સમગ્ર ભારત માટે ‘બેટરી’ સમાન બનીને ભવિષ્યના વિકાસને નવી ઉર્જા આપવાની ક્ષમતા ધરાવે છે.” આ પ્રોજેક્ટના લીધે સ્થાનિક કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સ, ટ્રાન્સપોર્ટ ઓપરેટરો અને આનુષાંગિક સેવાઓ આપતા નાના-મોટા સાહસિકો માટે એક મોટું માર્કેટ તૈયાર થશે, જે અદાણી ગ્રુપની વિસ્તરતી વેન્ડર ઇકોસિસ્ટમનો ભાગ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી સમૂહ આસામમાં માત્ર ઊર્જા જ નહીં પરંતુ એવિએશન અને સિમેન્ટ ક્ષેત્રે પણ સક્રિય છે. ગુવાહાટી સ્થિત લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ-૨ કાર્યરત થઈ ચૂક્યું છે, જેનાથી રાજ્યની કનેક્ટિવિટી સુધરી છે.
આ સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા અપર આસામના શિવસાગર અને ધેમાજી જિલ્લાના પૂર પ્રભાવિત ૮,૦૦૦થી વધુ પરિવારોને રાશન, દવાઓ અને આરોગ્ય સામગ્રી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત કામરૂપ ગ્રામીણ જિલ્લાના ૧૯ ગામોમાં શિક્ષણ, આરોગ્ય અને આજીવિકાના ક્ષેત્રે અદાણી ફાઉન્ડેશન સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે. ઓક્ટોબર ૨૦૨૫માં સ્પર્ધાત્મક બિડિંગમાં સફળ થયા બાદ નવેમ્બર ૨૦૨૫માં APLને આસામ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (APDCL) તરફથી લેટર ઓફ એવોર્ડ મળ્યો હતો, જેનું આજે સફળતાપૂર્વક ભૂમિપૂજન સંપન્ન થયું છે.
