વાયુ પ્રદૂષણ અને ઠંડીનું સંયોજન, અમદાવાદીઓના સ્વાસ્થ્ય પર ડબલ હુમલો
અમદાવાદ શહેરમાં મિશ્ર ઋતુ દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ એક જ દિવસે શરદી અને ઉધરસના દસ હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે ડેન્ગ્યુના 45 અને કમળાના 102 નવા કેસ સામે આવ્યા છે. પરિણામે શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ, UHC અને CHC કેન્દ્રોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
શિયાળો હવે આરોગ્ય માટે જોખમી સાબિત થતી ઋતુ
ઉનાળાની ગરમી અને વરસાદી ભેજ પછી આવતી ઠંડી હવા શહેરને સુહાવણું બનાવે છે, પરંતુ તેની પાછળ આરોગ્ય માટે ગંભીર જોખમ છુપાયેલું છે. શિયાળામાં પ્રદૂષણના સૂક્ષ્મ રજકણો હવામાં નીચે સુધી ફેલાઈ જાય છે, જે સીધો ફેફસાં પર પ્રહાર કરે છે. હાલ અમદાવાદમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરથી ઉપર નોંધાઈ રહ્યું છે. આ સ્થિતિ અનેક રોગોને આમંત્રણ આપી રહી છે.
ઠંડીમાં વાયરસજન્ય ચેપ ઝડપથી ફેલાય છે
ડોક્ટરો જણાવે છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન શરદી, ઉધરસ, શ્વાસની તકલીફ અને અન્ય ચેપજન્ય રોગોમાં વધારો થાય છે. ઠંડીના કારણે રક્તનળીઓ સંકોચાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. આ સ્થિતિ હૃદય પર વધારાનો ભાર નાખે છે અને હાર્ટ એટેક તથા બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધે છે. ખાસ કરીને વહેલી સવારે બહાર નીકળતા લોકો માટે આ સમય વધુ જોખમી રહે છે.
સામાન્ય લાગતી તકલીફ ગંભીર બની શકે છે
શરદી, ઉધરસ અને ગળામાં દુખાવો ઘણીવાર સામાન્ય ગણવામાં આવે છે, પરંતુ સમયસર કાળજી ન લેવાય તો તે ન્યુમોનિયા કે બ્રોન્કાઇટિસ જેવી ગંભીર બીમારીમાં ફેરવાઈ શકે છે. અસ્થમાના દર્દીઓ માટે શિયાળો સૌથી કઠિન સમય ગણાય છે. ઠંડી હવા અને પ્રદૂષણના કારણે શ્વાસનળીમાં સોજો આવે છે. સાથે જ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ આ ઋતુમાં ઘટી જાય છે.
બાળકો અને વૃદ્ધો વધુ જોખમમાં
શિયાળામાં લોકો બહાર ઓછું જાય છે અને સૂર્યપ્રકાશ ઓછો મળતા શરીર નબળું પડે છે. વાયરસ અને બેક્ટેરિયા ઠંડી હવામાં લાંબા સમય સુધી સક્રિય રહેતા હોવાથી ચેપ ઝડપથી ફેલાય છે. એક વ્યક્તિને થયેલી ઉધરસ આખા પરિવાર સુધી પહોંચે છે. બાળકો અને વૃદ્ધોમાં રોગો ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ થવાના કેસ વધે છે.
દીર્ઘરોગી દર્દીઓ માટે શિયાળો પડકારરૂપ
અસ્થમા, બ્રોન્કાઇટિસ અને COPD ધરાવતા દર્દીઓ માટે શિયાળો મુશ્કેલ બની જાય છે. ઠંડી હવામાં શ્વાસનળી વધુ સંકોચાય છે. આ સાથે વૃદ્ધોમાં સાંધા, કમર અને ઘૂંટણના દુખાવા વધે છે. આર્થ્રાઇટિસના દર્દીઓ માટે ઠંડી પીડાદાયક બને છે. ત્વચા સૂકી પડવી, ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યાઓ પણ આ સમયમાં વધારે જોવા મળે છે.

