૩૦૦ ફૂટ નીચે પટકાયેલા વિમાનના કેપ્ટનનો બીજા ટેસ્ટમાં પણ રિપોર્ટ પોઝિટિવ:
બંને પાઇલટ્સ ગ્રાઉન્ડેડ૪ ઓગસ્ટના રોજ ફૂકેટથી નવી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 માં હવામાં સર્જાયેલી ગંભીર અશાંતિ (ટર્બ્યુલન્સ) અને અચાનક ઊંચાઈ ઘટવાના કેસમાં એક સસપેન્સ અને ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી સત્તાવાર માહિતી અનુસાર, આ ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડ (કેપ્ટન) નો ડોપ ટેસ્ટ એટલે કે સાયકોટ્રોપિક સબ્સ્ટન્સ સ્ક્રીનીંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવામાં અચાનક વિમાન આશરે ૩૦૦ ફૂટ નીચે પટકાયા બાદ સર્જાયેલી આ હોનારતમાં ૧૭ લોકો ઘાયલ થયા હતા, જેના પછી હાથ ધરવામાં આવેલી વૈજ્ઞાનિક તપાસમાં આ વિગત સામે આવી છે.
ઘટના બાદ તરત જ નક્કી કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (SOP) અનુસાર બંને પાઇલટ્સના બ્લડ અને યુરિન સેમ્પલ સ્ક્રીનીંગ માટે મોકલવામાં આવ્યા હતા. પ્રારંભિક સ્ક્રીનીંગ પરીક્ષણમાં નોન-નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ વધુ ચોકસાઈ માટે નમૂનાઓને સ્પેશિયલાઇઝ્ડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
બીજા લેબ ટેસ્ટમાં પણ પોઝિટિવ પરિણામની પુષ્ટિ
પ્રારંભિક શંકાસ્પદ પરિણામ બાદ, પાઇલટના નમૂનાઓને અત્યાધુનિક અને ચોક્કસ ગણાતી GC/MS (ગેસ ક્રોમેટોગ્રાફી-માસ સ્પેક્ટ્રોમેટ્રી) અને LC-MS જેવી વૈજ્ઞાનિક તકનીકો દ્વારા કન્ફર્મેશન એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા. આ બીજા અને વધુ સચોટ ચકાસણી ટેસ્ટમાં પણ પરિણામ પોઝિટિવ આવ્યું છે. આનો સીધો અર્થ એ થાય છે કે પ્રથમ પરીક્ષણમાં મળેલા સંકેતો સંપૂર્ણપણે સાચા હતા.
જોકે, નાગરિક ઉડ્ડયન સત્તામંડળના સૂત્રો જણાવે છે કે ડોપ ટેસ્ટ પોઝિટિવ આવવા માત્રથી જ હવામાં વિમાનનું ૩૦૦ ફૂટ નીચે પટકાવું સીધું જોડાયેલું છે કે કેમ, તે આખરી તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. તેમ છતાં, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલે બંને પાઇલટ્સને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ફ્લાઇંગ રોસ્ટરમાંથી તાત્કાલિક અસરથી દૂર કરી દેવામાં આવ્યા છે.
૧૩૭ મુસાફરોના જીવ અધ્ધર થયા હતા
ઉલ્લેખનીય છે કે ૪ ઓગસ્ટના રોજ એર બસ A320 એરક્રાફ્ટ (VT-EXO) દ્વારા સંચાલિત ફ્લાઇટ AI2379 ફૂકેટથી દિલ્હી માટે રવાના થઈ હતી. ક્રૂઝિંગ સ્ટેજ દરમિયાન વિમાને અચાનક જ ૩૦૦ ફૂટ જેટલી ઊંચાઈ ગુમાવી દીધી હતી. વિમાનમાં ૧૩૭ મુસાફરો અને ૨ પાઇલટ તેમજ ૬ કેબિન ક્રૂ સહિત કુલ ૮ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ આંચકામાં કેટલાક મુસાફરો અને કેબિન ક્રૂ મેમ્બર્સ મળી કુલ ૧૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં વિમાનને સ્થિર કરી દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.
મંત્રાલય અને એર ઇન્ડિયાના ટોચના અધિકારીઓની કટોકટીની બેઠક
આ ગંભીર ઘટના અને પાઇલટના પોઝિટિવ ડોપ ટેસ્ટના અહેવાલો બહાર આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેને અત્યંત ગંભીરતાથી લીધો છે. એર ઇન્ડિયાના મુખ્ય કારોબારી અધિકારી (CEO) કેમ્પબેલ વિલ્સન અને વરિષ્ઠ એરલાઇન અધિકારીઓએ મંગળવારે નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહા સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ સલાહકાર અને એર ઇન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેખરન, ભૂતપૂર્વ નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખારોલા તેમજ એર ઇન્ડિયાના સેફ્ટી હેડ દીપક જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રાલયે એરલાઇનને ફ્લાઇટ સેફ્ટી અને ક્રૂ મેમ્બર્સના મેડિકલ પ્રોટોકોલનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે.