પારડીના પરિયામાં રાસાયણિક ખેતીથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે ખેડૂતોને વાકેફ કરાયા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમમાં કૃષિ સખી પ્રતીક્ષાબેન અને જશોદાબેન તેમજ કોમ્યુનિટી રિસોર્સ પર્સન હિતેશભાઈ દ્વારા ખેડૂતોને સાંપ્રત સમયમાં પ્રાકૃતિક ખેતીની કેમ જરૂરીયાત છે તેના વિષય પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાસાયણિક ખેતીથી પકવેલા અનાજ, શાકભાજી અને ફળફ્રુટ આરોગવાથી અનેક પ્રકારની બિમારીઓ થઈ હોવાની સમજ આપી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એક માત્ર વિકલ્પ હોવાનું જણાવી તેનો વ્યાપ વધારવા ઉપર ભાર મુકાયો હતો. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત વિશે પણ સમજણ આપવામાં આવી હતી.
