સરકારી કર્મચારીઓના પગારમાં અસમાનતા ઘટશે? જાણો શું છે કર્મચારી સંગઠનોની ‘૧:૮ કમ્પ્રેશન રેશિયો’ની મોટી માંગ
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ૮મા પગાર પંચ (8th Pay Commission) ના ગઠન અને તેની ભલામણોને લઈને ચર્ચાઓ ખૂબ જ તેજ થઈ ગઈ છે. જ્યારે પણ દેશમાં નવું પગાર પંચ લાગુ કરવાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે બે બાબતો પર આખા દેશનું ધ્યાન કેન્દ્રિત થાય છે: પ્રથમ, સૌથી નીચલા સ્તરના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર (Minimum Basic Pay) કેટલો વધશે? અને દ્વિતીય, સર્વોચ્ચ સ્તરના અધિકારીઓનો મહત્તમ પગાર (Maximum Pay) કેટલો નક્કી થશે? પરંતુ આ બધાની વચ્ચે આ વખતે એક ખૂબ જ ગંભીર અને ન્યાયસંગત પ્રશ્ન ઊભો થયો છે કે, શું જુનિયર અને સિનિયર કર્મચારીઓ વચ્ચેના પગારનો આભ-જમીન જેટલો તફાવત ઘટશે? સરકારી પરિભાષામાં આ તફાવતને ‘કમ્પ્રેશન રેશિયો’ (Compression Ratio) કહેવામાં આવે છે, જેને સંતુલિત કરવા માટે કર્મચારી સંગઠનો સતત સરકાર પર દબાણ બનાવી રહ્યા છે.
શું છે આ ‘કમ્પ્રેશન રેશિયો’નું ગણિત?
કમ્પ્રેશન રેશિયો એ વાસ્તવમાં દેશના સૌથી નીચલા ક્રમના સરકારી કર્મચારી અને સૌથી ઉચ્ચ ક્રમના અધિકારી વચ્ચેના વેતન અંતરને માપવાનું એક સાધન છે. આ ગુણોત્તર જેટલો ઊંચો હોય, તેટલી જ સિસ્ટમમાં આર્થિક અસમાનતા વધુ હોવાનું સાબિત થાય છે. જો આ ગુણોત્તર નીચો હોય તો તેનો અર્થ એ છે કે કર્મચારીઓ વચ્ચે વેતનનો ભેદભાવ ઓછો છે. હાલમાં દેશમાં અમલી ૭મા પગાર પંચ હેઠળ આ ગુણોત્તર ૧:૧૩.૯ છે. આનો સીધો અર્થ એ થાય છે કે સૌથી ઉચ્ચ પદ પર બેઠેલા અધિકારીનો મૂળ પગાર, સૌથી નીચલા સ્તરના કર્મચારી કરતાં આશરે ૧૪ ગણો વધારે છે. હાલમાં વિવિધ રેલ્વે અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન (FNPO) જેવા અગ્રણી કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ અસમાનતા દૂર કરીને ૮મા પગાર પંચમાં આ ગુણોત્તર ઘટાડીને ૧:૮ કરવામાં આવે.
૧૯૪૭ થી અત્યાર સુધી: પગાર પંચના ઇતિહાસની રોચક સફર
ભારતમાં સરકારી કર્મચારીઓના વેતન માળખાને સમજવા માટે આઝાદીના સમયથી અત્યાર સુધીના ઇતિહાસ પર નજર નાખવી જરૂરી છે:
-
પ્રથમ પગાર પંચ (૧૯૪૬-૪૭): આઝાદીના સમયે દેશનું પ્રથમ પગાર પંચ આવ્યું ત્યારે લઘુત્તમ મૂળ પગાર માત્ર ₹૫૫ હતો અને મહત્તમ પગાર ₹૨,૦૦૦ નક્કી કરાયો હતો. તે સમયે કમ્પ્રેશન રેશિયો ૧:૩૬.૪ હતો, જે દર્શાવે છે કે અંગ્રેજોના સમયથી જ ઉચ્ચ અને નીચલા વર્ગ વચ્ચે આર્થિક ખાઈ બહુ મોટી હતી.
-
બીજું પગાર પંચ (૧૯૫૭): આ પંચમાં અસમાનતા ઘટી નહીં પરંતુ સર્વોચ્ચ સપાટીએ પહોંચી. લઘુત્તમ વેતન વધીને ₹૮૦ થયું, પણ મહત્તમ વેતન સીધું ₹૩,૦૦૦ થઈ ગયું, જેનાથી રેશિયો ૧:૩૭.૫ થયો. આ ઇતિહાસનો સૌથી મોટો વેતન તફાવત હતો.
-
ત્રીજું પગાર પંચ (૧૯૭૩): આ સમયે સરકારે પહેલીવાર સંતુલન લાવવાનો પ્રયાસ કર્યો. લઘુત્તમ પગાર ₹૧૯૬ અને મહત્તમ ₹૩,૫૦૦ થતાં ગુણોત્તર ઘટીને ૧:૧૭.૯ પર આવ્યો.
-
ચોથું અને પાંચમું પગાર પંચ (૧૯૮૬ અને ૧૯૯૬): ચોથા પંચમાં લઘુત્તમ પગાર ₹૭૫૦ અને મહત્તમ ₹૮,૦૦૦ થતાં રેશિયો ૧:૧0.૭ થયો. પાંચમા પંચમાં લઘુત્તમ પગાર ₹૨,૫૫૦ અને મહત્તમ ₹૨૬,૦૦૦ કરાતાં આ તફાવત હજુ ઘટીને ૧:૧૦.૨ ના સ્તરે પહોંચ્યો.
-
છઠ્ઠું અને સાતમું પગાર પંચ: છઠ્ઠા પંચમાં (લઘુત્તમ ₹૭,૦૦૦, મહત્તમ ₹૮૦,૦૦૦) આ ગુણોત્તર ફરી વધીને ૧:૧૧.૪ થયો. ત્યારબાદ સાતમા પગાર પંચે લઘુત્તમ મૂળ પગાર ₹૧૮,૦૦૦ અને મહત્તમ ₹૨,૫૦,૦૦૦ નક્કી કરીને આ તફાવતને ફરીથી વધારીને ૧:૧૩.૯ ના સ્તરે પહોંચાડી દીધો, જેના કારણે નીચલા સ્તરના કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો.
૮મા પગાર પંચ પાસેથી કર્મચારીઓની સાચી અપેક્ષાઓ
વર્તમાન સમયમાં મોંઘવારીના ચોંકાવનારા આંકડાઓને જોતાં, દેશના મધ્યમ અને નીચલા વર્ગના સરકારી કર્મચારીઓ આશા રાખીને બેઠા છે કે ૮મું પગાર પંચ તેમના જીવનધોરણને સુધારશે. જો સરકાર કર્મચારી સંગઠનોની માંગ સ્વીકારીને કમ્પ્રેશન રેશિયો ૧:૮ કરે છે, તો તેનો સૌથી મોટો ફાયદો ચોથા વર્ગના અને જુનિયર સ્તરના લાખો કર્મચારીઓને થશે. આનાથી લઘુત્તમ બેઝિક પ્રારંભિક પગારમાં મોટો ઉછાળો આવી શકે છે. વેતનની આ અસમાનતા ઘટવાથી માત્ર કર્મચારીઓની આર્થિક સ્થિતિ જ નહીં સુધરે, પરંતુ સમગ્ર વહીવટી તંત્રમાં કામ કરવાનો ઉત્સાહ પણ વધશે. હવે આખો દરોમદાર કેન્દ્ર સરકારના આગામી આર્થિક નિર્ણયો પર છે.

