સરકારી ગેરંટી અને ૭.૫% વ્યાજ દર: પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમની સંપૂર્ણ ગણતરી
જો તમે તમારી મહેનતની કમાણીને કોઈ એવી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં નાણાકીય જોખમ બિલકુલ ન હોય અને વળતર પણ આકર્ષક મળે, તો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. પોસ્ટ ઓફિસમાં કરવામાં આવતા દરેક રોકાણ પર કેન્દ્ર સરકાર પોતે ૧૦૦ ટકા સુરક્ષાની ગ્રેંટી આપે છે. સરકારી સ્કીમોમાં ‘પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ’ (PO TD) એક અત્યંત લોકપ્રિય માધ્યમ છે, જેમાં એકમુશ્ત (એક જ વાર) રોકાણ કરીને માત્ર વ્યાજ પેટે ૨ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકાય છે.
વિવિધ મુદત અને આકર્ષક વ્યાજદર
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમની સૌથી મોટી વિશેષતા એ છે કે રોકાણકારો તેમની જરૂરિયાત અને અનુકૂળતા મુજબ ૧ વર્ષ, ૨ વર્ષ, ૩ વર્ષ કે ૫ વર્ષની મુદત માટે પૈસા જમા કરાવી શકે છે. અલગ-અલગ સમયગાળા માટે સરકાર દ્વારા અલગ-અલગ વ્યાજદર નક્કી કરવામાં આવ્યા છે.
હાલમાં ૧ વર્ષની મુદતની ડિપોઝિટ પર ૬.૯ ટકા વ્યાજ આપવામાં આવે છે, જ્યારે ૨ વર્ષના રોકાણ પર ૭.૧ ટકા વ્યાજ મળે છે. આ ઉપરાંત ૩ વર્ષ અને ૫ વર્ષની લાંબા ગાળાની ડિપોઝિટ પર વાર્ષિક ૭.૫ ટકા લેખે શાનદાર વ્યાજ ચૂકવવામાં આવે છે.

ટેક્સમાં રાહત અને રોકાણના નિયમો
આ યોજનામાં રોકાણ કરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે. માત્ર ૧,૦૦૦ રૂપિયાથી પણ ખાતું ખોલાવીને રોકાણની શરૂઆત કરી શકાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે આમાં મહત્તમ રોકાણની કોઈ સીમા નથી, એટલે કે રોકાણકાર પોતાની ક્ષમતા મુજબ ગમે તેટલી રકમ જમા કરાવી શકે છે.
નાણાકીય સુરક્ષા ઉપરાંત, ૫ વર્ષની મુદતવાળી ટાઈમ ડિપોઝિટ પર ઇન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧ ની કલમ ૮૦C હેઠળ ટેક્સમાં પણ છૂટ મળે છે. આ સ્કીમમાં વ્યક્તિગત (સિંગલ) ખાતું તેમજ બે કે તેથી વધુ વ્યક્તિઓ મળીને સંયુક્ત (જોઈન્ટ) ખાતું પણ ખોલાવી શકે છે.

માત્ર વ્યાજથી ૨ લાખ રૂપિયાની કમાણી: ગણતરીનું સમીકરણ
આ સ્કીમમાં ગણતરી દ્વારા સમજીએ તો, જો કોઈ રોકાણકાર ૫ વર્ષની મુદત માટે એકસાથે ૪.૫ લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો ૭.૫ ટકાના વાર્ષિક વ્યાજ દરે ૫ વર્ષની પાકતી મુદતે (મેચ્યોરિટી પર) કુલ ૬,૫૨,૪૭૭ રૂપિયા મળશે. આ રકમમાં રોકાણકારે જમા કરાવેલા ૪.૫ લાખ રૂપિયા સિવાય માત્ર ૨,૦૨,૪૭૭ રૂપિયા ચોખ્ખા વ્યાજની કમાણી હશે.
બીજી તરફ, જો કોઈ વ્યક્તિ ટૂંકા સમયગાળામાં એટલે કે ૩ વર્ષમાં જ વ્યાજમાંથી ૨ લાખ રૂપિયાથી વધુ કમાવા માંગતી હોય, તો તેને ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ૭.૧ ટકાના દર અનુસાર ૩ વર્ષ પૂરા થવા પર કુલ ૧૨,૩૫,૦૭૫ રૂપિયા મળશે, જેમાં ૨,૩૫,૦૭૫ રૂપિયા માત્ર વ્યાજનો નફો હશે. આમ, શૂન્ય જોખમે ગેરંટેડ વળતર મેળવવા માટે આ એક ઉત્તમ આયોજન છે.