સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પૂરી થયા બાદ સર્ચ કમિટીની બેઠક ન મળતા ઇન્ચાર્જ કુલપતિ તરીકે સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.ગીરીશ ભીમાણીની નિમણૂક કરવામાં આવી છે.
જ્યાં સુધી કાયમી કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો.ગીરીશ ભીમાણી કુલપતિની જવાબદારી નિભાવશે. આજથી તેઓએ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.
ડો. ગિરીશ ભીમાણી હાલમાં સાયન્સ ફેકલ્ટીના ડીન છે સાથે આંકડાશાસ્ત્ર વિભાગના તેઓ અધ્યક્ષ છે. રાજકીય વાત કરવામાં આવે તો છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ભાજપના સિનિયર સિન્ડિકેટ સભ્ય તરીકે કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અધ્યાપકની ભરતીમાં વોટ્સએપ ગ્રુપમાં થયેલી ભલામણ કાંડમાં ડો.ગિરીશ ભીમાણી દ્વારા 2 વ્યક્તિની ભલામણ કરવામાં આવી હોવાનું ખુલતા જેતે સમયે આ પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું હતું.
પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી એ ઈન્ચાર્જ કુલપતિ ડો. ભીમાણીને સ્વામી વિવેકાનંદના વિચારો દર્શાવતું ‘આપણા હાથમાં ભારતનું ભાવિ’, ‘રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦’નું પુસ્તક તથા જાણીતા ખગોળશાસ્ત્રી ડો.જે. રાવલે સાહિત્ય અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીએ ઈન્ચાર્જ કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણી ને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય, એકેડેમિક કાઉન્સીલના સભ્ય, ભવનના અધ્યક્ષ, યુનિવર્સિટીના અધિકારીઓ, કુલસચિવ ડો. અમીતભાઈ પારેખ, પરીક્ષા નિયામક ડો. નિલેષભાઈ સોની, સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.