ભૂલથી પણ ઉનાળામાં આ વસ્તુઓ ન ખાતા, હોસ્પિટલ જવાનો વારો આવી શકે છે!
ઉનાળાની કાળઝાળ ગરમી માત્ર પરસેવો અને થાક જ નથી લાવતી, પરંતુ તે આપણી પાચનશક્તિ માટે પણ પડકારજનક સાબિત થાય છે. ગરમી વધતાની સાથે જ પેટના ચેપ અને ઝાડા-ઊલટીના કેસોમાં મોટો ઉછાળો જોવા મળે છે. જેને આપણે સામાન્ય રીતે “ઋતુગત ફેરફાર” માનીને અવગણીએ છીએ, તે ખરેખર એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ (Acute Gastroenteritis) હોઈ શકે છે.
ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ગેસ્ટ્રોએન્ટેરોલોજી ડાયરેક્ટર ડૉ. પંકજ પુરીના જણાવ્યા અનુસાર, ઉનાળામાં આ રોગ વધવાનું મુખ્ય કારણ પર્યાવરણીય પરિસ્થિતિઓ છે. ઊંચું તાપમાન અને ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયા અને વાયરસના વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે, જેના કારણે ખોરાક અને પાણી ઝડપથી પ્રદૂષિત થાય છે.
ઉનાળામાં પેટની સમસ્યાઓ કેમ વધે છે?
ગરમી અને ભેજ સૂક્ષ્મજીવો માટે ‘બ્રીડિંગ ગ્રાઉન્ડ’ જેવું કામ કરે છે. ઉનાળામાં ખોરાક ખૂબ જ ઝડપથી બગડી જાય છે. આ ઉપરાંત, પાણીના સ્ત્રોતોમાં પ્રદૂષણ વધવાની શક્યતા રહે છે. ખાસ કરીને જ્યારે આપણે બહાર ફરવા જઈએ છીએ અથવા રસ્તા પરનો ખોરાક ખાઈએ છીએ, ત્યારે હાઈજીન (સ્વચ્છતા) જાળવવામાં કચાસ રહી જાય છે. આ પરિબળોને કારણે હાનિકારક જીવાણુઓ આપણા શરીરમાં પ્રવેશે છે.
સામાન્ય લક્ષણો:
-
વારંવાર પાતળા ઝાડા થવા.
-
પેટમાં અસહ્ય મરોડ કે દુખાવો.
-
ઉબકા આવવા અથવા ઊલટી થવી.
-
શરીરમાં પાણી ઓછું થઈ જવું (ડીહાઈડ્રેશન).
શરૂઆતમાં આ લક્ષણો સામાન્ય લાગે છે, પરંતુ જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
એન્ટિબાયોટિક્સનો ઉપયોગ: એક મોટી ભૂલ
આજકાલ લોકોમાં એક ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે – સામાન્ય ઝાડા થતા જ જાતે જ મેડિકલ સ્ટોર પરથી એન્ટિબાયોટિક્સ લાવીને લઈ લેવી. ડૉ. પુરી આ બાબતે લાલબત્તી ધરે છે. તેઓ કહે છે કે, ઉનાળામાં થતા મોટાભાગના ઝાડા ‘વાયરલ’ હોય છે. વાયરસથી થતા રોગોમાં એન્ટિબાયોટિક્સ કોઈ કામ કરતી નથી, કારણ કે એન્ટિબાયોટિક્સ ફક્ત બેક્ટેરિયા સામે લડવા માટે હોય છે.
બિનજરૂરી એન્ટિબાયોટિક્સ લેવાના નુકસાન:
-
ગટ ડિસબાયોસિસ: તે પેટમાં રહેલા સારા બેક્ટેરિયાનો નાશ કરે છે, જેનાથી પાચન વધુ બગડે છે અને બીમારી લાંબી ચાલે છે.
-
એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ: શરીર એ એન્ટિબાયોટિક્સ સામે ટેવાઈ જાય છે, પરિણામે ભવિષ્યમાં જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે તે દવાઓ અસર કરતી નથી.
સારવારનો સાચો રસ્તો: રિહાઈડ્રેશન અને ખોરાક
જ્યારે ઉનાળામાં પેટ ખરાબ થાય, ત્યારે સૌથી મહત્વની બાબત શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવાની છે. ડૉ. પુરીના મતે, ORS (ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ્સ) એ આ બીમારીનો પાયાનો ઇલાજ છે.
તમે શું કરી શકો?
-
ORS નું દ્રાવણ: ઘરે ORS બનાવીને અથવા પેકેટ લાવીને સતત પીતા રહો. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ખોટ પૂરી કરે છે.
-
કુદરતી પીણાં: નાળિયેર પાણી, લીંબુ શરબત, છાશ અને સાદું પાણી પુષ્કળ પ્રમાણમાં પીવો.
-
ગંભીર કિસ્સામાં: જો દર્દી પાણી પણ ન પી શકતો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જેથી ગ્લુકોઝના બાટલા (IV Fluids) ચડાવી શકાય.
ખોરાક કેવો લેવો? માંદગી દરમિયાન પેટને આરામ આપવો જરૂરી છે. હળવો અને જલદી પચી જાય તેવો ખોરાક લો. જેમ કે:
-
ખિચડી અને દહીં.
-
કેળા (જે પોટેશિયમ આપે છે).
-
ટોસ્ટ અથવા મમરા.
કોણે વધુ સાવધ રહેવાની જરૂર છે?
પેટનો ચેપ ગમે તેને લાગી શકે છે, પરંતુ અમુક લોકો માટે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે:
-
નાના બાળકો: તેમના શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે, જે ઝડપથી ઘટી શકે છે.
-
વૃદ્ધો: ઉંમરના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે.
-
બીમાર વ્યક્તિઓ: જેમને ડાયાબિટીસ, કિડનીની તકલીફ અથવા નબળી ઈમ્યુનિટી હોય.
આવા કિસ્સાઓમાં ઘરેલું નુસખા કરવાને બદલે તબીબી સલાહ લેવી હિતાવહ છે.
બચાવના ઉપાયો: પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર
ગરમીમાં પેટની સમસ્યાઓથી બચવા માટે આ સાદી સાવચેતીઓ રાખવી જોઈએ:
-
પાણીની શુદ્ધતા: હંમેશા ફિલ્ટર કરેલું અથવા ઉકાળેલું પાણી પીવો. બહારનું અજાણ્યું પાણી પીવાનું ટાળો.
-
ખુલ્લો ખોરાક ટાળો: રસ્તા પર મળતો ખુલ્લો ખોરાક, કાપેલા ફળો કે ઠંડા પીણાંમાં વપરાતો બરફ ચેપનું કારણ બની શકે છે.
-
હાથની સ્વચ્છતા: જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુથી વ્યવસ્થિત હાથ ધોવાની આદત પાડો.
-
તાજો ખોરાક: બને ત્યાં સુધી તાજો રાંધેલો ખોરાક જ ખાવો. વાસી કે લાંબો સમય ફ્રિજની બહાર રાખેલો ખોરાક ખાવાનું ટાળો.

