દેશમાં ચોમાસું: ગુજરાત સહિત ૨૫ રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી, IMD ની નવી આગાહી
દેશમાં ચોમાસાની ઋતુ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે હવામાન વિભાગે (IMD) ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે. ૧૬ સપ્ટેમ્બરના રોજ ઉત્તર ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારો સહિત દેશના ૨૫ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તોફાની પવનની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન આશરે ૮૦ થી ૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (Landslide) ના ભયને પગલે પ્રવાસીઓને સાવચેત રહેવા અને ગીચ જંગલવાળા વિસ્તારોમાં વાહન ન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે, સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાકાંઠાથી દૂર રહેવા જણાવાયું છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન અને દરિયાઈ પવનની અસર
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર-પૂર્વ આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં નીચલા વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે.
ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા અને અતિ ઝડપી પવનોને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં વાવાઝોડાની અસર વધુ તીવ્ર બની શકે છે. આ પરિબળોને કારણે દેશના મોટા ભાગોમાં વાદળોની ઘનતા વધી છે.
ગુજરાતમાં હવામાનની સ્થિતિ
ગુજરાતમાં ચોમાસાની વાપસી પહેલા હવામાન વિભાગે રાજ્યના મધ્ય અને ઉત્તર ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને આણંદ, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેનાથી ખુલ્લા ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
દેશના અન્ય રાજ્યો અને મહાનગરોનો વરતારો
રાજધાની દિલ્હીમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમ વરસાદ અને ૨૦ થી ૩૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે, જ્યાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી સેલ્સિયસ રહેશે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, મેરઠ, આગ્રા, બરેલી અને લખનૌ સહિત ૨૫થી વધુ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. બિહારના પટના, ગયા, સિવાન અને પૂર્ણિયા જેવા વિસ્તારોમાં ૫૫ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે મુશળધાર વરસાદ પડી શકે છે. ઝારખંડના રાંચી અને ધનબાદ તેમજ છત્તીસગઢના રાયપુર અને બિલાસપુર વિસ્તારમાં ૭૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
પહાડી વિસ્તારોની વાત કરીએ તો ઉત્તરાખંડના નૈનિતાલ, ઋષિકેશ અને હરિદ્વાર તેમજ હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મનાલીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં પણ ૬૫ થી ૭૦ કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
