ત્ર્યંબકેશ્વર મંદિરમાં VIP દર્શનનું કૌભાંડ: ટ્રસ્ટના સભ્ય અને NCP નેતાની ધરપકડ, ભક્તો સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું ભગવાન શિવનું જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ આ પવિત્ર સ્થળ પર VIP દર્શનના નામે ચાલતા એક મોટા કાળાબજારના કૌભાંડે સૌને ચોંકાવી દીધા છે. આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જેમના પર મંદિરની વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, તેવા મંદિર ટ્રસ્ટના સભ્ય અને શરદ પવારની પાર્ટી (NCP) ના નેતા પુરુષોત્તમ લોહગાંવકરની પોલીસે ધરપકડ કરી છે.
શું હતો આખો મામલો? VIP દર્શનની લાલચ
ત્ર્યંબકેશ્વર મંદિરમાં ખાસ કરીને રજાના દિવસો અને તહેવારોમાં ભક્તોની ભારે ભીડ ઉમટે છે. સામાન્ય લાઈનમાં દર્શન માટે 4 થી 5 કલાક જેટલો લાંબો સમય લાગે છે. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો ભક્તોને ‘શોર્ટકટ’ દ્વારા માત્ર 10 જ મિનિટમાં દર્શન કરાવવાની લાલચ આપતા હતા. આ ગેંગ VIP દર્શનના નામે ભક્તો પાસેથી મોટી રકમ વસૂલતી હતી, જેનો સીધો ફાયદો મંદિરના અંદરના વહીવટદારો અને રાજકીય નેતાઓને થતો હતો.
ભક્તોને કેવી રીતે બનાવવામાં આવ્યા શિકાર?
આ કૌભાંડનો પર્દાફાશ નાસિકના જ એક શ્રદ્ધાળુ અનંત સુરેશની સતર્કતાને કારણે થયો છે. અનંત સુરેશ જ્યારે તેમના મિત્ર સાથે દર્શન કરવા પહોંચ્યા, ત્યારે તેમણે 200 રૂપિયાનો સત્તાવાર ‘ડોનેશન પાસ’ લીધો હતો. તેઓ લાઈનમાં ઉભા હતા ત્યારે ગોતીરામ માંજી નામના શખ્સે તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે, જો તેઓ 3000 રૂપિયા આપે તો લાઈનમાં ઉભા રહ્યા વગર સીધા જ દર્શન કરાવી દેશે.
પૈસા નક્કી થયા બાદ અન્ય આરોપી અભિષેકની મદદથી તેમને VIP એન્ટ્રી અપાવવામાં આવી. દર્શન કરીને બહાર આવ્યા બાદ તેમની પાસેથી 3000 રૂપિયા રોકડા વસૂલવામાં આવ્યા હતા, પરંતુ તેની કોઈ જ રસીદ આપવામાં આવી નહોતી. અનંત સુરેશને છેતરપિંડીની શંકા જતા તેમણે આ બાબતે મંદિર ટ્રસ્ટને લેખિત ફરિયાદ કરી હતી.
તપાસમાં ખુલ્યું રાજકીય કનેક્શન
જ્યારે ટ્રસ્ટે આ ફરિયાદની તપાસ કરી અને પોલીસને જાણ કરી, ત્યારે આખું નેટવર્ક સામે આવ્યું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ગેરકાયદેસર વસૂલાત પાછળ મંદિર ટ્રસ્ટના જ સભ્ય અને NCP નેતા પુરુષોત્તમનો મુખ્ય હાથ હતો. તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એજન્ટો દ્વારા ભક્તોને અંદર મોકલતા હતા અને વસૂલાયેલા પૈસામાં પોતાનો હિસ્સો લેતા હતા.
પોલીસે મોડી રાત્રે પુરુષોત્તમ અને એજન્ટ ગોતીરામની ધરપકડ કરી લીધી છે. જોકે, અન્ય એક આરોપી અભિષેક હજુ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. આ ધરપકડ બાદ નાસિકના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે.
ત્ર્યંબકેશ્વરની સુરક્ષા અને વ્યવસ્થા પર ઉઠતા સવાલ
આ પહેલીવાર નથી જ્યારે ત્ર્યંબકેશ્વર મંદિરની વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હોય. અગાઉ પણ અહીં પાર્કિંગ, એન્ટ્રી પાસ અને સિક્યુરિટી ગાર્ડ્સના ગેરવર્તણૂક અંગે અનેક ફરિયાદો ઉઠી છે. ઘણીવાર ભક્તો સાથે મારામારીની ઘટનાઓ પણ સામે આવી છે. શ્રદ્ધાળુઓનો આક્ષેપ છે કે શ્રદ્ધાના નામે અહીં મોટો વેપાર ચાલી રહ્યો છે અને વહીવટીતંત્ર લાચાર છે.
પ્રશાસનની ચેતવણી અને અપીલ
આ ઘટના બાદ પોલીસ અને મંદિર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ એજન્ટ કે વચેટિયાની વાતોમાં ન આવે. દર્શન માટે જે સત્તાવાર બારી છે ત્યાંથી જ પાસ લેવો અને દરેક પૈસાની રસીદ માંગવી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં હજુ કેટલા લોકો સામેલ છે અને આ કાળાબજારી કેટલા સમયથી ચાલી રહી હતી.

